આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
દેશી રાજ્યોનો પ્રશ્ન


“આપણામાં શૌર્ય કંઈકે પણ રહ્યું હશે, કાર્યશક્તિ હશે, તો અંકુશથી વધારે કાર્ય કરતા થઈશું એમાં મને શંકા નથી. આપણી પાસે રચનાત્મક કાર્ય એટલાં પડેલાં છે કે તે કરતાં કરતાં આપણને ટીકા કરવાનો સમય જ નથી રહેવાનો; અને એ કામ પૂરું કર્યે જાગીને આપણે જોઈશું તો બધું કુશળ જ જોઈશું.”

આ સૂત્રો આપ્યાં. હવે થોડા હૃદયના ઉદ્‌ગારો આપું, જે ગાંધીજીનું વ્યક્તિત્વ તેમના જ શબ્દોમાં વ્યક્ત કરનારા છે:

“હું જન્મે સત્યાગ્રહી રહ્યો, કર્મે સત્યાગ્રહી રહ્યો, અને સત્યાગ્રહી તરીકે મરીશ. તમારાં રાજ્યોના સડા માટે પણ સત્યાગ્રહ કરી શકું એમ છું. પણ આજે મારો એ પહેલો ધર્મ નથી.”

“મારે શરમાવું પડે કે તમારે શરમાવું પડે કે કોઈને પણ શરમાવું પડે એવું મારાથી ન જ બને.”

“મારો સ્વભાવ જ એ રહ્યો કે અસહ્ય બોજો ઉઠાવી શકાય ત્યાંસુધી ઉઠાવવો, અને ઉઠાવતાં તૂટી પડાય તો તૂટી પડવું, એમ ન કરે તે માણસ તેટલે અંશે ઓછો સત્યનો પૂજારી છે, અને દોરવા ઇચ્છે તો લોકોને એટલે અંશે ઓછો દોરી શકે. સેવા કરનારે પોતાનાં લાજ, આબરૂ, માન એ સર્વસ્વ હોમીને જ પ્રજાની સેવાનો ઇરાદો રાખવો.’

“આ ઠરાવના શબ્દમાં તમે ફેર ન કરી શકો, કારણકે એકેએક શબ્દ તોળીતોળીને લખાયેલો છે. મારો સ્વભાવ જ એ છે કે જેવું બોલું છું તેવું લખું છું, અને લખું છું તેવું બોલું છું.”