આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

અલબત્ત, મહાસભાએ પણ પોતાની મર્યાદા સમજવી પડશે. જો તે મિત્રભાવે અને શાંતિપૂર્વક પોતાનું કામ કરશે તો જ તેની અસર પડવાની આશા તે રાખી શકશે. તેણે બધા પક્ષો વચ્ચે સરખો ન્યાય તોળવો પડશે. બળ અગર તો દબાણનો બધો દેખાવ તેણે તજવા જોઈશે. આ દૃષ્ટિએ ધામી રાજ્ય બહારના લોકો સરઘસમાં ભળ્યાનું કહેવાય છે તે વસ્તુ મહાસભાની રાહબરી હેઠળ અશક્ય હોત. વળી જો મહાસભા અહિંસાને વળગી રહેશે તો જ તેના પ્રભાવ કારગત નીવડી શકશે. નૈતિક પ્રભાવ એ જ એની એકમાત્ર મૂડી છે. બીજી કોઈ પણ ભૂમિકા તે સ્વીકારશે તે ઘડીએ જાદવાસ્થળી અને ખૂનરેજી ચાલવાની. ધામીના બનાવને મહાસભાવાદીઓ બોધપાઠરૂપ સમજે. આ હું એની દેખાતી મર્યાદા સાથે કહું છું, કારણ કે ધામીમાં શું બન્યું છે અને સાથે કોને વાંકે બન્યું છે તે કશું હજી આપણે જાણતા નથી એ સૌ કબૂલ કરે છે. ઘટતી અદાલતી તપાસને અભાવે યોગ્ય પગલું લેવું અશક્ય છે.

ઍબટાબાદ, ૨૨-૩-૩૨
હરિજનબંધુ, ૩૦-૭-૧૯૩૯