આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય


૨. સર્વ રાજ્યો વચ્ચે ને સર્વ રાજ્યોની પ્રજા વચ્ચેનો સંબંધ નિકટ અને પરસ્પર લાભદાયી થાય એવાં પગલાં ભરવાં.
૩. કાઠિયાવાડ સમસ્તની પ્રજાની આર્થિક, રાજકીય અને નૈતિક ઉન્નતિ થાય એવાં પગલાં ભરવાં; પરિષદનું દરેક કાર્ય શાંતિ અને સત્યને જ માર્ગે કરવું.

રાજાઓને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાનો બોજો પરિષદ ન જ ઉપાડી શકે. એવું ધ્યેય રાખે તો રાજા પ્રજા બન્નેને નુકસાન થાય. રાજાઓ સરકારના ખંડિયા છે. તેઓ એવી પરિષદ ભરવાની રજા ન આપી શકે એટલું જ નહીં, પણ તેઓને સ્વતંત્ર કરવાની હિલચાલ તેમને પસંદ પડે તો પણ તેઓએ તેની સામે જ થવું જોઈએ. એટલે રાજાઓ પોતે પોતાની સ્વતંત્રતાને ધ્યેય માની તેને સારુ જાહેર પ્રવૃત્તિ ન કરે અથવા ન કરી શકે ત્યાંસુધી એ દિશામાં પ્રજાનો બધો પ્રયત્ન હું નિરર્થક ને હાનિકારક જ સમજું.

રાજાઓના જુલમની સામે જાહેર મત કેળવવાનું કાર્ય તો પરિષદનું હોવું જ જોઈએ. તેનો સમાવેશ પહેલી કલમમાં થાય છે.

પ્રત્યેક રાજ્યની પ્રજા પોતાના સ્થાનિક સવાલોનો ચુકાદો ભલે કરે. પણ કાઠિયાવાડ એક પ્રજા છે એટલે તેને સમગ્ર પ્રજાની પરિષદ ભરવાનો અધિકાર છે ને તેની એ ફરજ પણ છે. સમગ્ર પરિષદ આખી પ્રજાને સામાન્ય એવા પ્રશ્નો ચર્ચી શકે એટલું જ નહીં, પણ સ્થાનિક સવાલોમાં પણ હાથ નાંખી તેમાં સમસ્ત પ્રજામત બાંધી તે મતની મદદ સ્થાનિક સવાલમાં આપી શકે.

રાજકીય શબ્દનો બહોળો અર્થ હું પાછલા અંકોમાં સમજાવી ગયો છું. તે જ ખરો અર્થ છે એમ માનું છું. પરિષદે