૨. સર્વ રાજ્યો વચ્ચે ને સર્વ રાજ્યોની પ્રજા વચ્ચેનો સંબંધ નિકટ અને પરસ્પર લાભદાયી થાય એવાં પગલાં ભરવાં.
૩. કાઠિયાવાડ સમસ્તની પ્રજાની આર્થિક, રાજકીય અને નૈતિક ઉન્નતિ થાય એવાં પગલાં ભરવાં; પરિષદનું દરેક કાર્ય શાંતિ અને સત્યને જ માર્ગે કરવું.
રાજાઓને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાનો બોજો પરિષદ ન જ ઉપાડી શકે. એવું ધ્યેય રાખે તો રાજા પ્રજા બન્નેને નુકસાન થાય. રાજાઓ સરકારના ખંડિયા છે. તેઓ એવી પરિષદ ભરવાની રજા ન આપી શકે એટલું જ નહીં, પણ તેઓને સ્વતંત્ર કરવાની હિલચાલ તેમને પસંદ પડે તો પણ તેઓએ તેની સામે જ થવું જોઈએ. એટલે રાજાઓ પોતે પોતાની સ્વતંત્રતાને ધ્યેય માની તેને સારુ જાહેર પ્રવૃત્તિ ન કરે અથવા ન કરી શકે ત્યાંસુધી એ દિશામાં પ્રજાનો બધો પ્રયત્ન હું નિરર્થક ને હાનિકારક જ સમજું.
રાજાઓના જુલમની સામે જાહેર મત કેળવવાનું કાર્ય તો પરિષદનું હોવું જ જોઈએ. તેનો સમાવેશ પહેલી કલમમાં થાય છે.
પ્રત્યેક રાજ્યની પ્રજા પોતાના સ્થાનિક સવાલોનો ચુકાદો ભલે કરે. પણ કાઠિયાવાડ એક પ્રજા છે એટલે તેને સમગ્ર પ્રજાની પરિષદ ભરવાનો અધિકાર છે ને તેની એ ફરજ પણ છે. સમગ્ર પરિષદ આખી પ્રજાને સામાન્ય એવા પ્રશ્નો ચર્ચી શકે એટલું જ નહીં, પણ સ્થાનિક સવાલોમાં પણ હાથ નાંખી તેમાં સમસ્ત પ્રજામત બાંધી તે મતની મદદ સ્થાનિક સવાલમાં આપી શકે.
રાજકીય શબ્દનો બહોળો અર્થ હું પાછલા અંકોમાં સમજાવી ગયો છું. તે જ ખરો અર્થ છે એમ માનું છું. પરિષદે