તરછોડ નહીં
મુજ ખાતર ત્હેં બહુ, નાથ ! સહ્યું,
કટુ વેણ છતાં હજુ ત્હેં ન કહ્યું;
તરછોડીશ કાં ? અપરાધી નહીં નકી !
આ જગમાં ક્યમ જાય રહ્યું ?
ઉરનું પુષ્પ ન પોષી શકી,
રડતું નિરખ્યું તુજ આ મૃદુ અન્તર;
એ દવમાં ઉર આય નિરન્તર,
ના મુજ આંખ થઈ હલકી.
રસ કૈં મૃદુ આ ઉરથી ઝર્યો કદિ,
સુન્દર ભાવ હશે ન ધર્યો કદિ.
તું ય અતૃપ્ત અતૃપ્ત ફર્યો કદિ,
ત્હેં મુજ ત્હોય નિભાવ કર્યો !
નવ રાવ તણું સ્થલ તું વિણ છે,
પરવારી રહી સહુ અન્ય, સખે !
જ્યમ રાખીશ તેમ હશે નયને,
તરછોડ નહીં ! જલ લૂછ, સખે !
૨૩-૧૦-૯૭
પ્હાડી સાધુ[૧]
'ભલા પ્હાડી સાધુ ! વિકટ સહુ આ પન્થ ગિરિના,
'તહીં દૂરે દીવા ટમટમ થતા આદરભર્યા;
'મ્હને દોરી જા વા જરીક કહી દે માર્ગ ચડવા,
'તહીં આ પન્થીને શયન વળી કૈં હૂંફ મળશે.
'ભરી ધીમે ધીમે દિવસ સઘળો કલાન્ત પગલાં,
'પ્રવાસી થાકેલો વિધુર ભટકે માર્ગ વિસર્યો;
'અજાણ્યાં સર્વે આ તુમુલ વન સીમા વગરનાં,
'અગાડી જાતાં જે વધુ વધુ દિસે દીર્ઘ બનતાં.
- ↑ *અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિમથના The Hermit નામના કાવ્ય ઉપરથી