અખેગીતા/કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો

← કડવું ૩૦ મું - શ્રુતિ - સ્મૃતિ -પુરાણ- શાસ્ત્રના મત અખેગીતા
કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો
અખો
કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા →


કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો

રાગ ધન્યાશ્રી

વૈશેષિક કહે જંત વિશેષજી, જંતવિના નોહે ના વેષજી;
એમ તે ગણે ગુણના લેખજી, કોણે ન હોય જીવનો ઉવેખજી[૧].

પૂર્વછાયા

નોહે ઉવેખ એહનો, સહુજ દેખે દેહને;
હવે કહું સિધ્ધાંત મોટું, સાંખ્ય બોલે તેહને. ૧

સાંખ્ય સંખ્યા કાઢે તત્વની, જીવકેરૂં રૂપ કહે;
કહે માયા એ મલિન બ્રહ્મ છે, કર્મ ભારને તે વહે. ૨

માયા કેરો સંગ છુટે, તોય પ્રાય શિવ તે છે સદા;
આવર્ણના વિક્ષેપમાટે[૨], ભોગવે છે આપદા. ૩

વેદાંત કહે છે વાત મોટી, એ તો અજા રમે છે અણછતી;
કર્તા કારયિતા[૩] એજ માયા છે, દીસે છે જાતી આવતી. ૪

એ તો માયાને માયા ફુરી[૪] છે, કર્મ જીવ ને ફળ અજા;
જે જે કર્તવ્ય તે માયાનું,જો ધર્મની બાંધે ધજા. ૫

એ મૂલ મત ખટ દરશનનું, શાસ્ત્રકેરૂં કહિયું રદે;
અર્વાકી[૫] તેહના ઉપાસક, તે તો મનના મત બહોળા વદે. ૬

જીવ થાપ્યો મત સઘળે, પછે આચરણ અળગા આચર્યાં;
જીવરૂપે માના ઉદરથી, અળગા કો નવ નીસર્યા. ૭

સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે;
વેદાંતને વાટ સૂજે સુધી[૬], જો માયા મુખથી નવ બકે. ૮

એક એક માંહોમાંહે ખટપટે, હારદ[૭] હેત મળે નહીં;
મધ્યે બેઠી માયા મોટી, તે અપત્યને[૮] રાખે અહીં. ૯

કહે અખો સહુકો સુણો, એમ સમજ છે મહંતને;
એહનું હારદ તો હાથ આવેમ જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. ઉપેક્ષા.
  2. બહિર્મુખ વૃત્તિને લીધે
  3. કરાવનારી
  4. સ્ફુરી
  5. અર્વાચીન
  6. પાંસરી
  7. અભિપ્રાય
  8. પોતાનાં છોકરાંને