અખેગીતા/કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ

←  કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય અખેગીતા
કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ
અખો
કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન →


કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ.

રાગ ધન્યાશ્રી

સંત સંગત કરતાં વિલંબ ન કીજેજી, જેમ તેમ કરીને હરિરસ પીજેજી;
મહાજન સંગે કારજ સીજેજી, વસ્તુ-રૂપ[૧] થઇને તો જીવીજેજી[૨]

પૂર્વછાયા

વસ્તુ-રૂપે થઇ જીવિયે, તે કળા જાણે મહંત;
તત્વ સઘળાં એમ દીસે, જેમ પટરૂપે[૩] તંત[૪]. ૧

જેમ છીપને રત ખરી ઉપજે, તો ઉપર આવે જળમાંહેથી;
સુરત્યનો[૫] તાણ્યો તે પરજન્ય, આવી વરસે ક્યાંહેથી. ૨

તેહનાં મુખ વિકસી[૬] રહે, લેવા કાજે બિંદુને;
તો મુક્તાફળ[૭] નીપજે મનોહત, પામે નિજ આનંદને. ૩

જે મેહેરામણથી[૮] બહાર નાવે, તેતાં ઠાલી રહે ખરી;
તેમ હરિ ગુરુ સંતને જે ન સેવે, તે ન પામે નિશ્ચે હરિ. ૪

તેજ વૃષાનાં[૯] બિંદુ બીજાં, પડે અહિના[૧૦] મુખવિષે;
તેહ હલાહલ[૧૧] થ ઇ નીવડે, તેણે મૃત્યુ પામે જે કો ભખે. ૫

સંત-ચન તે કહે યથારથ, વાંકું ગૃહે ખલબુધવડે[૧૨] ;
પાત્રયોગે ભલો ભુંડો, ક્ષેત્રનો વહેરો પડે. ૬

નિર્મલ બુધે સંત સેવીયે, તો ઉપજે નિર્મલ જ્ઞાન;
મનસા વાચા કર્મણાએ, રાખો હરિ વિષે ધ્યાન. ૭

જેમ કુંઝી [૧૩] મૂકે ઈંડાંને, તે દૂર જઇ ચારો કરે;
તેની સુરત્ય રહે માંહોમાંહે, તો અપત્ય ત્યાંથી ઉછરે. ૮

વણસેવેસેવ્યા વિના. સેવાય બાલક, જેને કૃપા આવે ગુરુ તણી,
તેમ સુલક્ષણાને મળે શ્રીહરિ, તેનું મન રહે ગુરૂચરણભણી. ૯

કહે અખો સહુકો સાંભળો, એ કહ્યું છે બુધ્ધવંતને;
જે સુણતામાંહે ઝડપે વચનને, તે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦


  1. બ્રહ્મરૂપ.
  2. જીવીએ.
  3. લૂગડારૂપે.
  4. તાંતણા.
  5. મનોવૃત્તિનો.
  6. ફાડી.
  7. મોતી.
  8. સમુદ્રમાંથી.
  9. વરસાદના.
  10. સર્પના.
  11. આકરૂં ઝેર.
  12. અવળી બુધ્ધિ વડે.
  13. કુંઝડી.