એવા રે અમો એવા
નરસિંહ મહેતા


એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળિ તેવા રે;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે. એવારે.
જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે;
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. એવારે.
સઘળા સાથમાં હું એક ભુંડો, ભૂંડાથી વળિ ભૂંડો રે;
તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે ઊંડો રે.એવારે.

કર્મ-ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જેથકી પામે, મારા પ્રભુની તોલે ના’વે રે. એવારે.
હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે. એવારે.