← સ્તુતિ ઓખાહરણ
કડવું-૧
પ્રેમાનંદ
કડવું-૨ →
શ્રી અંબાજીની પ્રાર્થના


કડવું-૧
શ્રી અંબાજીની પ્રાર્થના

આદ્યશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહિ પાણી;
સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી. (૧)

તારું વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક;
સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો શેષ. (૨)

જુજલાં રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી;
મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુરમત કાપી. (૩)

ભક્તિભાવ કરી ચરણે લાગું, મા આદ્યશક્તિ જાણી;
અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. (૪)

તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે;
બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. (૫)

હંસાવતી ને બગલામુખી, અંબીકા તું માય;
ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. (૬)

મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય;
બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. (૭)

શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય;
અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. (૮)

સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જોતી;
સોળે શણગાર તેં સજ્યા મા, નાકે નિરમળ મોતી. (૯)

ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય;
અગર કપુરે તારી કરું આરતી, સેવકજન શિર નમાય. (૧૦)

તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા;
સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. (૧૧)

માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ;
કુશળક્ષેમ રાખજો મા સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. (૧૨)