ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ કાઉન્સિલને અરજી

← નાતાલના ગવર્નરને મળેલું પ્રતિનિધિમંડળ ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ કાઉન્સિલને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દાદાભાઈ નવરોજીને પત્ર-૧ →


૨૯. નાતાલ કાઉન્સિલને અરજી
ડરબન,

જુલાઈ ૪, ૧૮૯૪

લેજિસ્લેટિવ કાઉન્સિલના પ્રમુખ અને સભ્યોને કરવામાં આવેલી નીચેની અરજી માનનીય મિ. કૅમ્પબેલે રજૂ કરી:

નાતાલ સંસ્થાનમાં વસતા નીચે
સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે

જુલાઈ માસની ૨જી તારીખે મતાધિકારના કાયદામાં સુધારો કરવાના જે ખરડાનું ત્રીજી વારનું વાચન માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં થઈ ચૂકયું છે તેની બાબતમાં આ નમ્ર અરજી તમારી માનનીય કાઉન્સિલને કરવાને સંસ્થાનમાં વસતી હિંદી કોમે તમારા અરજદારોની નિમણૂક કરી છે. પોતાની ફરિયાદો વિસ્તારથી રજૂ કરવાને બદલે તમારા અરજદારો તમારી માનનીય કાઉન્સિલને હિંદીઓએ માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીને એ ખરડાને અંગે કરેલી અરજી જોઈ જવાને અદબ સાથે વિનંતી કરે છે અને માનનીય સભ્યો સહેલાઈથી તરત જોઈ શકે તે ખાતર તે અરજીની એક છાપેલી નકલ આની સાથે જોડવામાં આવી છે. એ અરજી પર આશરે ૫૦૦ હિંદીઓએ સહી કરી છે. એક જ દિવસની ટૂંકી મુદતમાં એ સહીઓ થઈ છે. અરજદારોને વધારે સમય આપવામાં આવ્યો હોત તો જુદા જુદા જિલ્લાઓમાંથી મળેલા બધા હેવાલો પરથી તેમને પૂરી ખાતરી છે કે તેના પર ઓછામાં ઓછા ૧૦,૦૦૦ હિંદીઓએ સહી કરી હોત. તમારા અરજદારોને પૂરી આશા હતી કે માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલી અરજીમાં કરવામાં આવેલી તેમની વિનંતીમાં રહેલો ન્યાય પારખી તેનો સ્વીકાર કરશે. પણ તેમની આશા ફોકટ નીવડી છે. માનનીય કાઉન્સિલના માનનીય સભ્યોને ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે અરજી પર ઝીણવટથી ધ્યાન આપવાની અને કાયદાને તેમ જ સામાન્ય ન્યાયને અનુરૂપ તમારો માનનીય ઍસેમ્બલીના નિર્ણયમાં સુધારો કરવાનો અધિકાર વાપરવાની વિનંતી કરવાના આશયથી તમારા અરજદારોએ તમારી માનનીય કાઉન્સિલને અરજી કરવાની હિંમત કરી છે. ઉપર જણાવેલી અરજીના સંબંધમાં તમારા નીચે સહી કરનારા અરજદારો પૈકી કેટલાકને ધારાસભાના નીચલા સભાગૃહ [ઍસેમ્બબ્લી]ના કેટલાક માનનીય સભ્યોની મુલાકાત લેવાનું માન મળ્યું છે અને તે બધા સભ્યોએ ઉપર જણાવેલી અરજીમાં કરવામાં આવેલી વિનંતીમાં રહેલા ન્યાયનો સ્વીકાર કર્યો હતો, પણ સામાન્ય લાગણી એવી જણાઈ કે અરજી મોડી પડી હતી. એ સવાલની ઝાઝી ચર્ચામાં ન ઊતરતાં તમારા અરજદારો અદબ સાથે જણાવવાની રજા લે છે કે અરજી મોડી પડી હતી એ વાત માની લઈએ તોપણ એ ખરડો કાયદો બનશે તો તેનાં પરિણામો એવાં ગંભીર આવે એવાં છે, અને અરજીમાં કરેલી માગણી એટલી મધ્યમસરની છે કે અરજી મોડી થયાની હકીકતને અરજીની વિચારણા કરવામાં માનનીય સભ્યોએ વજન આપવું જોઈતું નહોતું. રજૂ કરવામાં આવેલા ખરડાઓમાં તેમની ધારાસભાની સમિતિમાં ચર્ચાવિચારણા થયા બાદ અને આના કરતાંયે ઓછા અનિવાર્ય સંજોગોમાં સુધ્ધાં સુધરેલા દેશોની પાર્લમેન્ટોએ સુધારો કર્યાના અથવા તેમને નામંજૂર કર્યાના દાખલાઓ શોધી કાઢવા મુશ્કેલ નથી. ઇંગ્લંડમાં ઉમરાવોની સભાએ આઇરિશ હોમરૂલ બિલ [આયર્લેન્ડ માટેના સ્વરાજ્યનો ખરડો] નામંજૂર કર્યાનો અને તેની બાબતમાં એ રીતે કયા સંજોગોમાં કામ લેવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરવાની તમારા અરજદારોને ઝાઝી જરૂર લાગતી નથી. તમારા અરજદારો નમ્રપણે રજૂઆત કરે છે કે મતાધિકારના કાયદામાં સુધારો કરવાનો ખરડો એટલો તળિયાઝાટક છે કે તે કાયદો બને પછી કોઈ પણ હિંદી ગમે તેટલો શક્તિશાળી હશે તોયે અત્યારે મતદારોની યાદીમાં નહીં હોય તો મતદાર બની નહીં શકે. તમારા અરજદારોને વિશ્વાસ છે કે તમારી માનનીય કાઉન્સિલ એવા અભિપ્રાયને મંજૂર નહીં રાખે અને તેથી ફરી વિચારણા કરવાને ખરડાને લેજિસ્લેટિવ એસેમ્બલીને મોકલી આપશે.

અને ન્યાય તેમ જ દયાના એ કાર્યને માટે તમારા અરજદારો ઋણી રહેવાની પોતાની ફરજ માનશે.

[મૂળ અંગ્રેજી]
धि नताल ऍदवर्टाइझर, ૫-૭-૧૮૯૪