ઘનશ્યામ નામને હું જાઉં વારણે

ઘનશ્યામ નામને હું જાઉં વારણે
પ્રેમાનંદ સ્વામી



ઘનશ્યામ નામને હું જાઉં વારણે

ઘનશ્યામ નામને હું જાઉં વારણે જો,
પુરુષોત્તમ પ્રગટ્યા અમ કારણે જો... ઘનશ્યામ ૧

આવ્યા દીન તણાં દુઃખ કાપવા જો,
નિજ જનને વાંછિત સુખ આપવા જો... ઘનશ્યામ ૨

આવ્યા અધર્મનાં મૂળ ઉખાડવા જો,
કળિમળ રૂપ મતને પાછો પાડવા જો... ઘનશ્યામ ૩

ધરી મૂર્તિ મુનિ મનમોહની જો,
જાદુગારી વહાલાજીની જોહની જો... ઘનશ્યામ ૪

વશીકરણ ભર્યાં એનાં વેણ છે જો,
સ્નહ કરુણાભર્યાં એનાં નેણ છે જો... ઘનશ્યામ ૫

અધમ ઓધારણ ભક્તવત્સલ ટેક છે જો,
પ્રેમાનંદના સ્વામી એવા એક છે જો... ઘનશ્યામ ૬