નાગદમન
નરસિંહ મહેતા


જલકમલ છાંડી જાનેબાળા, સ્વામી અમારો જાગશે;
જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે. જલ. ટેક
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો;
નિશ્ચે તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો. જલ.
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરિએ વળાવિયો;
મથુરા નગરીમાં જુગટું રમતાં, નાગનું શીશ હું હારિયો. જલ.
રંગે રૂડો રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો.જલ.
મારી માતાએ બેહુ જનમ્યાં, તેમાં હું નટવર નહાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો. જલ.
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિઓ
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો. જલ.
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો;
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરિયો. જલ.
ચરણ ચાંપી મૂંછ મરડી, નાગણે નાગ જગાવિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો. જલ.
બેઉ બળિયા બાથે વળગિયા, કૃષ્ણે કાલિનાગ નાથિયો;
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો. જલ.
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લેઈ જશે, પછી નાગનું શીશ કાપશે. જલ.
બેઉ કર જોડી વીનવે, સ્વામી, મૂકો અમારા કંથને;
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને. જલ.
થાળ ભરીને શગ મોતિયે, શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો. જલ.


અન્ય સંસ્કરણ

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો