દીનાનાથની ઢાળો/ઢાળ ૬ઠ્ઠી
← ઢાળ ૫મી | દીનાનાથની ઢાળો ઢાળ ૬ઠ્ઠી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૭મી → |
(ઢાળ ૬ ઠ્ઠી)
હઠ લઈ બેઠા છો હરિરાય, હવે હદ થાય છે રે;
જગદીશ્વરજી જન્મ જડેલો, નિષ્ફળ જાય છે રે. એ ટેક.
શો અપરાધ થયો છે સ્વામિ, પુછું છું પ્રાણેશ્વર શીરનામી;
અંતર્યામી અતિ અંતર, ઉભરાય છે રે. હઠ૦ ૧
છે ભગવાન મને ભય ભારે, આપ વિના નહિ કોઇ ઉગારે;
આ સંસારે અધવચ વહાણ તણાય છે રે. હઠ૦ ૨
ઘણા ઘણાની વહારે ધાયા, સેવકને ટાણે સંતાયા,
માધવ ન કરો માયા, નયન ભરાય છે રે. હઠ૦ ૩
કેશવ હરિ બહુ કઠણ ન થાશો, નિર્દય થઈને દૂર ન જાશો;
પ્રિય કરૂણામૃત પાસે, જીવન જાય છે રે. હઠ૦ ૪