આલિંગન આપીને પ્રેમથી પૂછવા લાગ્યો કે, “પ્રિય મુરે! સુમતિકાનો અને તારો જે પરસ્પર સંવાદ થયો, તે મેં બધો સાંભળ્યો છે. પરંતુ છેવટે તારા કાનમાં એણે શું કહ્યું, તે મારા સાંભળવામાં આવ્યું નહિ, માટે તે તું કહી સંભળાવ.”
“રાજાએ જે સાંભળવું ન જોઈએ તે સાંભળ્યું. હવે કોણ જાણે શું થશે” એવા વિચારથી ગભરાઈને જાણે તે થર થર કંપતી હોયની ! તેવો ભાવ દેખાડીને તે થરથરતા સ્વરથી કહેવા લાગી કે, “આર્યપુત્ર ! એ વાત આપ મને પૂછશો નહિ. હું આપને તે કહેવાની પણ નથી.”
“ તેનું કારણ ? જે વાત હતી, તે તો મારા વિશેની જ હતી, માટે એ હું સાભળું તો તેથી લાભ જ થશે કે હાનિ ?” રાજાએ સામી દલીલ મૂકી.
“લાભ થશે કે હાનિ, તે મારાથી કહી શકાય તેમ નથી. એ સાંભળીને ચિત્તને શાંત રાખી જે કાંઈ પણ કરવાનું હોય તે શાંતિથી કરશો, તો તો સારું; નહિ તો પરિણામ ઘણું જ ભયંકર આવશે. ગમે તે હો - હું તો તે મારા મુખથી કહેવાની નથી. કદાચિત એ વાર્તા ખોટી હોય, તો વિનાકારણ મારે શિરે વળી દુ:ખના પર્વત ઉલટી પડે; કેમ ખરું કે ખોટું?” મુરાદેવીએ કહ્યું.
“મને કાંઈ પણ દુઃખ થવાનું નથી, તું આ વાત બનાવીને થોડી જ કહે છે ?”
“છતાં પણ મને ભય લાગે છે.”
“ભય રાખવાની કાંઈ પણ આવશ્યકતા નથી.”
“આપની આજ્ઞા જ હોય, તો કહી સંભળાવું?”
“હા હા મારી આજ્ઞા છે માટે નિશ્ચિન્તતાથી જે હોય તે કહે.”
“ઠીક, ત્યારે કહું છું - મારું એમાં શું જાય છે?”
એમ બોલીને મુરાદેવીએ જે કાંઈ વાર્તા હતી, તે કહી સંભળાવી. ધનાનન્દનાં નેત્રો ધગધગતા અંગારા પ્રમાણે એકદમ લાલ થઈ ગયાં.
ચાણક્ય અને વસુભૂતિનો પરસ્પર સારો પરિચય થતો ચાલ્યો હતો. વૃન્દમાલા રોજ રાત્રે અથવા તે એક બે દિવસના અન્તરે વસુભૂતિપાસે આવીને પોતાની સ્વામિનીનો સર્વ વૃત્તાંત કહી જતી હતી અને ચાણક્ય પણ તે સમયે હાજર રહીને બધી વાત સાંભળી લેતો હતો. વૃન્દમાલા પણ ચાણક્યને ચહાવા લાગી અને વસુભૂતિના મનમાં