એક સારો અને મોટો ધનભંડાર જોઈએ. અંતે તેણે વિચાર કર્યો કે, “કાંઈ ચિન્તા નહિ. હવે આશ્રમમાં જઈને મારા શિષ્યોની વિદ્યાની પરીક્ષા લેવાની છે. ગ્રીક યવનોને લુંટીને દ્રવ્ય મેળવીશ જ. કોઈપણ રીતે ધનની પ્રાપ્તિ સત્વર થાય, એવા ઉપાયની યોજના કરવી જોઈએ” એવી ધારણા કરીને ખિન્ન ચિત્ત થએલો ચાણક્ય પોતાના આશ્રમની દિશામાં વિચરવા લાગ્યો.
તે જેમ જેમ પોતાના આશ્રમની પાસે પાસે પહોંચતો ગયો, તેમ તેમ તેના મનની ચિંતા વધારે અને વધારે વધવા લાગી; પરંતુ જ્યારે તે આશ્રમના દ્વાર પાસ પહોચ્યો, ત્યારે તેની મનોવ્યથામાં કાંઈક ન્યૂનતા થતાં “મારો પ્રિય શિષ્ય મને જોતાં કયા શબ્દોથી મને આવકાર આપશે ? તેના મનમાં કેવો આનંદ થશે!” ઇત્યાદિ વિચારતરંગો તેના હૃદયસમુદ્રમાં ઉદ્દભવવા લાગ્યા. એવી રીતે કાંઈક ચિતા અને કાંઈક ઉત્સુકતાવાળા અંત:કરણથી ચાણક્ય પોતાના આશ્રમમાં પ્રવિષ્ટ થયેા. દ્વારમાં પ્રવેશ કરતાં જ તેના શોકપૂર્ણ હૃદયમાં કિંચિદ્ આનંદનો પ્રકાશ થતો દેખાયો. એ આનંદનું કારણ શું હશે ? એનો વિચાર કરતો જ તપોવનમાં તે આગળ વધ્યો, એટલે દૂર કાંઈક આનંદનો કોલાહલ થતો તેના સાંભળવામાં આવ્યો. “મારા શિષ્યો ક્યાંક આટલામાં જ હોવા જોઈએ. કોઈએ ક્યાંક મોટો સાવજ, અરણ્ય મહીશ, અરણ્ય સૂકર, વ્યાધ્ર કે સિંહનો શિકાર માર્યો હશે અને તે મારનારના અભિનંદન માટે જ આ આટલો બધો હર્ષનો આમર્ષ થતો હશે. એવી સ્થિતિમાં જો હું તેમની સામે જઈને ઉભો રહીશ, તો તેમના આનંદનો પારાવાર થશે, તેઓ હર્ષઘેલા બની જશે.” એવો વિચાર કરીને ચાણક્ય તે ગડબડના અનુરોધે આગળ ચાલ્યો અને જરાક દૂર એક વૃક્ષની આડમાં ઉભેા રહીને ત્યાં ચાલતો બધો પ્રકાર જોવા લાગ્યો. ત્યાં સર્વ બાળકો એકઠા થએલા હતા, અને તેમના મધ્યમાં ચન્દ્રગુપ્ત બેઠેલો હતો. એક બાજુએ બે ચાર યવનો દોરીથી બાંધેલા ઊભા હતા અને તેમની દેખરેખ માટે તેટલા જ શિષ્યો પણ તેમની પાછળ તીરકામઠાં લઈને ઊભા હતા. તેઓ પોતપોતામાં ઘણાં જ ઉત્સાહથી સંભાષણ કરતા હતા. નીચે પ્રમાણેનું સંભાષણ ચાણક્યના સાંભળવામાં આવ્યું:-
“ચન્દ્રગુપ્ત ! આજે જો ગુરુજી અહીં હોત, તો તેમણે તને કેટલો બધો ધન્યવાદ આપ્યો હોત ?” બે ચાર શિષ્યોએ હર્ષપૂર્વક કહ્યું.
“વીર મિત્રો ! તમે એમ કેમ કહો છો ? 'આપણને કેટલો બધો ધન્યવાદ આપ્યો હોત?' એમ કેમ નથી કહેતા ? આ પ્રસંગે જેટલો