“જેવી ઇચ્છા. આપ એ પત્રિકા વાંચો ત્યાં સુધી હું આ સુવર્ણ
કરંડકને ઊઘાડીને તેમાં શું છે, તે જોઉં છું.” એમ કહીને મુરાદેવીએ તે
કરંડક ઊઘાડ્યો. તેમાં ઉત્તમ રીતિથી બનાવેલા અપૂ૫ (માલપુઆ) હતા.
પત્રમાં થોડો જ વિષય લખેલો હતો - તે એક ક્ષણ માત્રમાં વાંચીને રાજાએ
કહ્યું કે, “આમાં વિશેષ બીજું કાંઈપણ નથી. ગઈકાલે મહાદેવીએ કૈલાસનાથના
કોઈ વ્રતનું ઉદ્યાપન કર્યું હશે, માટે તેના પ્રસાદના ચાર અપૂપ
મોકલેલા છે. એ અપૂપ તેણે પોતાના હાથે કરેલા છે અને તેથી તેણે
તેમાંથી વધારે નહિ, તો એક કટકો પણ ખાવાની મને વિજ્ઞપ્તિ કરેલી છે.
પ્રિય મુરે ! આ કૈલાસનાથનો પ્રસાદ છે, માટે એનો અનાદર કરી શકાય
તેમ નથી. આવ – તું અને હું એક એક કટકો ખાઈ લઈએ.”
એમ કહી રાજાએ કરંડકમાં હાથ નાંખીને તેમાંથી એક અપૂપ ઊપાડી લીધો અને તેમાંથી એક કટકો તોડીને તેણે મુરાદેવીના હાથમાં આપ્યો તથા બીજો કટકો તે પોતાના મુખમાં મૂકવા જતો હતો, એટલામાં મુરાદેવીએ એકદમ “ મહારાજ ! દગો – ખરેખર કાંઈપણ દગો છે - માટે આપ એ અપૂપ ખાશો નહિ.” એવો ગભરાટથી પોકાર કરીને તેના હાથને મોઢામાંથી પાછો ખેંચી લીધો.
રાજા ચકિત થઈને તેને “ મુરે ! આ તું શું બોલે છે ? દગો શાનો ?” એવી રીતે પૂછવા લાગ્યો. એટલે તે વધારે જ ભય અને ગભરાટના ભાવથી બોલી કે, “આ દગો આપના પ્રાણ લેવા માટેનો છે, બીજો શાનો હોય ? આ અપૂપમાં ખચીત કોઈપણ પ્રકારનું ઝેર મેળવવામાં આવ્યું છે. જરા ધૈર્ય ધરો - મારા એ બોલવાને હું પ્રત્યક્ષ કરી બતાવું છું.”
પોતાના પતિને એમ કહીને તેણે પોતાની એક દાસીને તત્કાળ આજ્ઞા આપી કે, “જા - જલદી દોડ અને મારી પેલી શ્વેતાંબરી૮[૧]. માર્જારીને બની શકે તેટલી ઊતાવળે અહીં લઈ આવ.”
- ↑ * માર્જારી-બિલાડી, મીંદડી
દાસી શ્વેતાંબરીને લઈને પાછી આવે ત્યાં સૂધી મુરાદેવીની મુખમુદ્રા જરાક જોવા જેવી હતી. જેવી રીતે કોઈ એક પ્રેમાળ માતા પોતાના બાળકનું ઘણું જ સાવધાનતાથી પાલન કરતી હોય અને