પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

બોલાવવાથી આવેલી છું, એમ કહે છે અને તે બહાર ઊભી છે. મેં તેને તું કેાણ અને કોની દાસી છે, ઇત્યાદિ પૂછતાં તેણે એટલું જ ઉત્તર આપ્યું કે, અમાત્ય બધું જાણે છે. વધારે તે કાંઈ બોલતી નથી. મહાસ્વામીની શી આજ્ઞા છે ?”

એ સાંભળીને રાક્ષસે કહ્યું કે, “હિરણ્યગુપ્ત ! જોયું કે? બહુધા એ તે જ હોવી જોઈએ. પરંતુ એ કાંઈક શાણી હોય એમ દેખાય છે. નહિ તો પ્રતિહારીએ પૂછતાં જ તેણે હું ફલાણી અને ફલાણીની દાસી એમ તત્કાળ જણાવી દીધું હોત. ઠીક છે - તેને અહીં મેાકલ. તેને તું અંદર પહોંચાડી જા અને ત્યારપછી તે ચાલી ન જાય ત્યાં સૂધી તું પાછો અહીં ફરકીશ નહિ.”

પ્રતિહારી “જેવી સ્વામીની આજ્ઞા” એમ કહીને ત્યાંથી ચાલ્યો ગયો. થોડી જ વારમાં તે દાસી અંદર આવી પહોંચી. અમાત્ય રાક્ષસે અર્ધ ઉત્થાનથી તેનો આદર કર્યો અને કહ્યું કે, “આવો – વૃન્દમાલાબાઈ ! આપની પ્રકૃતિ તો ઠીક છે ને ?” દાસી કિંચિત હસી અને કહેવા લાગી કે,” અમાત્યરાજ ! મારા જેવી એક શુદ્ર દાસીને આટલો આદર સત્કાર શાને કરો છો ? જે કાંઈ પણ આજ્ઞા કરવાની હોય તે કરો એટલે થયું.”

“વૃન્દમાલાબાઈ ! તમે દાસી થયાં તેથી શું થયું ? દાસી છતાં પણ જ્યારે તમને મેં મારા કોઈ ખાસ કાર્ય માટે બોલાવેલાં છે, તો મારે તમારો આદર સત્કાર પણ તેવો જ કરવો જોઇએ. તમારાં સ્વામિની તો કુશળ છે ને ! તમે શું કે અમે શું, આપણા સ્વામી અને સ્વામિનીનું કુશળ હોય, તેમાં જ પોતાનું કુશળ માનવાનાં - નહિ તો આપણું ક્ષેમકુશળ તો હોય કે ન હોય, એ બધું બરાબર જ છે. કેમ મારું બોલવું સત્ય છે કે નહિ ?” એમ કહીને અમાત્યે હસીને દાસીપ્રતિ દૃષ્ટિપાત કર્યો.

દાસી સ્મિત હાસ્ય કરતી કરતી કહેવા લાગી કે, “બાઈ ! આ તે શું કહેવાય? આપની અને મારા જેવી એક કપર્દિકાના મૂલ્યની દાસીની સમાનતા કેમ કરીને થઈ શકે? જો અમાત્યની આજ્ઞા થાય, તો તત્કાલ ..........."

“વૃન્દમાલાબાઈ ! આજ્ઞા તે શાની ? મહારાજ પોતે આજકાલ બહુ કરીને તમારી સ્વામિનીના મંદિરમાં જ રહે છે, તેથી તેમની કુશળ વાર્તા પૂરેપૂરી અમારા જાણવામાં આવી નથી શકતી, તેથી જ કાંઈ નવાજુની થઇ હોય, તો આપના મુખથી જાણી લેવાના હેતુથી જ તમને અહીં