રાક્ષસે તેને ખોદી ખોદીને સવાલો પૂછ્યા, પણ તે સઘળાનો જવાબ !
એટલો જ મળ્યો કે, “આવો જ બનાવ બનવાનો છે, એમ હું કાંઈ જાણતી
નથી; પરંતુ જરા પણ નવાજૂની બની કે હું તત્કાળ ખબર પહોંચાડીશ.”
અંતે રાક્ષસે તેની ઇચ્છા પ્રમાણે જ વર્તવાનો વિચાર કરીને તેને જવા
દીધી. રાક્ષસના કોઈ બીજા દૂતે પોતાના સંશયનાં કારણો ન જણાવતાં
આવી રીતે મોઘમમાં જ કાંઈ કહ્યું હોત, તો રાક્ષસે તેને તે જ ક્ષણે કાંઈ
દંડ દીધો હોત; પરંતુ સુમતિકા પાસેથી તો હજી ઘણું કામ લેવાનું હતું,
તેમ જ તેને શિક્ષા કરવી, એ પણ પોતાની શક્તિથી બહાર હતું. એવી
સ્થિતિ હોવાથી તેને શિક્ષા કરવી તો દૂર રહી, પણ તિરસ્કારથી બોલાવવી,
એ પણ ઇષ્ટ નહોતું. અર્થાત્ એથી જ રાક્ષસે શાંતિથી તેને પાછી જવા
દીધી. માત્ર હિરણ્યગુપ્તને તેણે તાકીદ કરી મૂકી કે, “એના પર પૂરેપૂરી
નજર રાખવી ને દરરોજ એને નિત્ય નિયમથી મળીને એ જે કાંઈ પણ કહે
તે આવીને મને કહી સંભળાવવું.” સુમતિકાના ગયા પછી રાક્ષસના મનમાં
વિશેષ ચિંતા ઉત્પન્ન થઈ એ સ્પષ્ટ હોવાથી પુનઃ કહેવાની આવશ્યકતા નથી.
“મુરાદેવી ભયંકર કૃત્ય કરશે એટલે શું? શું કોઈના પર તે વિષપ્રયોગ કરવાની છે ? વિષપ્રયોગ કરવાનો હોય તો તે રાજા ધનાનન્દ વિના બીજા કોના પર કરે એમ છે?” એવી શંકા અમાત્યના મનમાં આવી, એ શંકા આવતાં જ તેનું મન અત્યંત ઉદ્વિગ્ન અને ચિંતામય બની ગયું. જો એ સંશય ખરો હોય – મુરાદેવી એ વિના બીજું કાંઈપણ કરશે; એ રાક્ષસને શક્ય દેખાયું નહિ - તો તેને ટાળવા માટે શી યોજના કરવી, એની તેને સૂઝ પડી નહિ, પોતે રાજાને મળી તેને પ્રમાદની નિદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરવો, એ જ-માત્ર એ જ ઉપાય રાક્ષસને શક્ય દેખાયો અને મળવાના બહાનામાં કોઈ પણ મહત્ત્વના, ઘણા જ મહત્ત્વના રાજકારણનું દર્શન કરાવવું. એવો તેણે નિશ્ચય કર્યો. “એમ થશે, તો જ કદાચિત્ પોકાર રાજાના કર્ણ પર્યન્ત પહોંચી શકશે, નહિ તો તેમ થવું અશક્ય છે. રાજાપર કોણ જાણે કેવો પ્રસંગ આવવાનો હશે? હવે આ વેળાએ એવું મહત્ત્વનું કયું રાજકારણ બતાવીએ કે જેથી રાજાનો અને આપણો મેળાપ થાય ? જ્યારે તેના નાશના પ્રયત્નની આપણને માહિતી મળી ચૂકી છે, ત્યારે તેને સાવધ કરવો અને સાવધ કરવા છતાં પણ સાવધ ન થાય, તો બીજા કોઈ ઉપાયે પણ તેના જીવનું રક્ષણ કરવું, એ મારું કર્તવ્ય છે.” એવો વિચાર કરીને તેણે મનમાં નાના પ્રકારની યુક્તિઓ યોજવા માંડી; પરંતુ તેમાંની એક પણ યુક્તિ તેને રામબાણ હોય એવી જણાઈ નહિ. કોઈ પણ મહત્ત્વનું કાર્ય કરવાનું હોય, તો તે તમે કરો - તમને એ વિશેની કુલ મુખત્યારી