પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
ભત્રીજો કે પુત્ર?

મુરાદેવી કહેવા લાગી કે, “આર્ય, ચન્દ્રગુપ્ત મારો પુત્ર છે, એમ આપે કહ્યું છે, ત્યારથી.……………..."

“એમાં આપે કહ્યું, એમ હવે શા માટે બોલે છે? હવે તો તારી ખાત્રી થઈ ને?” ચાણક્યે તેને વચમાં જ બોલતી અટકાવીને કહ્યું.

“આપ કહો છો તેમ જ સહી. પણ એ બીના જાણતાં જ મારા મનની કાંઈક વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. હવે હું શું કરું? મહારાજને જવા દઉં? તેનો ઘાત થવા દઉં? શું - હવે હું કરું શું ? બાઈ ! મને તો કાંઈ પણ સૂઝતું નથી.” મુરાદેવીએ એ શબ્દો ઉચ્ચારીને સ્ત્રીજાતિની સ્વાભાવિક નિર્બળતાનું દર્શન કરાવ્યું.

“એમાં સૂઝવું તે શું હતું? જો તારા મનમાં તારા પુત્રને રાજ્ય અપાવવાની ઇચ્છા હોય, તો ગુપચુપ બેસી રહે અને તારા પુત્રનો તે વેળાએ ઘાત ન થયો તે અત્યારે કરાવવો હોય, તો ભલે આ બધી વાત જઈને રાજાને કહી દે. તું મને એને લઈને ન્હાસી જવાનું કહે છે તો ખરી, પણ હું કાંઈ એમ જવાનો નથી. એને હું નંદના સિંહાસનપર બેસાડીશ, અથવા તો મારા પ્રાણનું બલિદાન આપીશ, એવી મારી પ્રતિજ્ઞા છે. મારો વ્યૂહ સિદ્ધ થાય, તો જ મારી પ્રતિજ્ઞા સિદ્ધ થવાનો સંભવ છે. જો તારી આ ભયભીતતાથી મારો વ્યૂહ ધસી પડશે, તો રાજા અવશ્ય મારો જીવ લેશે, તેમ જ ચન્દ્રગુપ્તનો પણ ઘાત કરશે. મારે મન તો બન્ને વાતો સરખી જ છે. પ્રતિજ્ઞા સિદ્ધ ન થાય તો પ્રાણ આપવાનો મારો નિશ્ચય છે - અર્થાત્ રાજા મારા પ્રાણ લેશે, એટલે એ નિશ્ચય પૂરો થશે. સંભાળ માત્ર તારે તારા પુત્રના પ્રાણરક્ષણ માટે રાખવાની છે. હવે તને જે માર્ગ યોગ્ય લાગે, તેમાં વિચર. ગમે તો પુત્રનો ઘાત કરાવ ને ગમે તો તેને રાજયાસન અપાવ. જો તું મૌન ધારી બેસી રહીશ તો એને રાજ્ય મળ્યું જ સમજવું અને વાત ફૂટી તો એના પ્રાણ ગયા જ સમજવા. હવે તારે જે કાંઈ પણ કરવું હોય તે શાંતિથી કર. હું હવે અહીં વધારેવાર રોકાઈ શકું તેમ નથી. મારી વેળા નકામી જાય છે.” એમ કહીને ચાણક્ય ખરેખર ચાલ્યા ગયા.

“હવે મારાં વચનોનું એના હૃદયમાં સારું પરિણામ થવાનું જ. હવે રાજ્યલોભથી નહિ, તો પુત્રના પ્રાણલોભથી તો એ અવશ્ય સ્વસ્થ રહેવાની જ.” એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય થઈ ગયો હતો અને તેથી જ તે તત્કાળ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ચાણક્ય નિશ્ચિંત થયો અને મુરાદેવીના મનમાં પ્રબળ ચિન્તાએ વાસ કર્યો. “ચંદ્રગુપ્ત મારો પુત્ર છે અને તેને તત્કાળ રાજ્યલાભ