આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯. તમાકુ

તમાકુએ તો આડો આંક વાળ્યો છે. તેના પંજામાંથી ભાગ્યો જ કોઈ છૂટે છે. આખું જગત એક કે બીજે રૂપે તેનું સેવન કરે છે. ટૉલ્સ્ટૉયે તો તેને બધા વ્યસનોમાં ખરાબ ગણાવી છે. એ ઋષિનું વચન ધ્યાન આપવા યોગ્ય છે, કેમકે તેમને શરાબ અને તમાકુનો બહોળો અનુભવ થયો હતો ને બન્નેના ગેરફાયદા પોતે જાણતા હતા. એમ છતાં મારે કબૂલ કરવું જોઈએ કે, શરાબ અને અફીણની જેમ તમાકુનાં માઠાં પરિણામો પ્રત્યક્ષ રૂપે હું પોતે બતાવી નથી શકતો. એટલું કહી શકું છું કે, એનો ફાયદોહું એકેય જાણતો નથી. એ પીનાર મોટા ખર્ચમાં ઊતરે છે એ હું જાણું છું. એક અંગ્રેજ મૅજિસ્ટ્રેટ તમાકુ ઉપર દર માસે પાંચ પાઉન્ડ એટલે રૂ ૭૫ ખર્ચતો હતો. એનો પગાર દર માસે પચીસ પાઉન્ડ હતો. એટલે પોતાની કમાણીનો પાંચમો ભાગ (વીસ ટકા) ધુમાડામાં જતો હતો.

તમાકુ પીનારની વૃત્તિ એવી બુઠ્ઠી થઈ જાય છે કે તે તમાકુ પીતી વેળાએ પડોશીની લાગણીનો ખ્યાલ નથી કરતો. રેલગાડીમાં મુસાફરી કરનારને એનો અનુભવ બરોબર મળે છે. તમાકુ નહીં પીનારથી તમાકુ પીવાથી નીકળતા ધુમાડા સહન નથી થઈ શકતા, પણ પીનાર ઘણે ભાગે પડોશીની લાગણીનો વિચાર નથી કરતો. તમાકુ પીનારને (ખાનારને) ઘણે ભાગે થૂંકવું પડે છે. તે ગમે ત્યાં થૂંકતા સંકોચાતો નથી.

તમાકુ પીનારને મોંમાંથી એક પ્રકારની અસહ્ય બદબો નીકળે છે. એવો સંભવ છે કે તમાકુ પીનારની સૂક્ષ્મ લાગણીઓ મરી જાય છે. એ મારવાને ખાતર માણસ તમાકુ પીતો થયો એ સંભવે છે. એમાં તો શક નથી જ કે, તમાકુ પીવાથી એક જાતનો