આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઐક્યની નિશાની હોવી જોઈએ, વિવાહિત સ્ત્રીપુરુષ પૂર્ણ બ્રહ્મચારી ગણાવાને લાયક છે, જો તેઓ પ્રજોત્પતિના શુદ્ધ કારણ વિના કદી સંગ કરવાનો વિચાર જ ન સેવે તો. એવો સંગ બંનેની ઈચ્છા થતાં જ સંભવે. આ સંગ આવેશમાં ન થાય. કામાગ્નિ શાંત કરવાને કદી નહીં. સંગને કર્તવ્ય માની તે થયા પછી ફરી સંગની ઈચ્છા સરખી ઉત્પન્ન ન થવી જોઈએ. આ લખાણને કોઈ હાસ્યજનક ન ગણે. છત્રીસ વર્ષના અનુભવ પછી આ લખી રહ્યો છું એ વાંચનાર યાદ રાખે. હું જાણું છું કે સામાન્ય અનુભવની વિરુદ્ધ આ લખાણ જાય છે. સામાન્ય અનુભવની પાર આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ પ્રગતિ સંભવે છે. અનેક સારીનરસી શોધો થઈ છે તે સામાન્ય અનુભવની સામે થઈને જ શક્ય બની છે. ચકમકમાંથી દીવાસળી ને દીવાસળીમાંથી વીજળીની શોધ એક જ વસ્તુને આભારી છે. જે ભૌતિક વસ્તુને લાગુ પડે છે તે આત્મિકને પણ લાગુ પડે છે. પૂર્વે વિવાહ જેવી વસ્તુ જ ન હતી. સ્ત્રી-પુરુષ-સંગ ને પશુઓના સંગમાં ફરક ન હતો. સંયમ જેવી વસ્તુ ન હતી. કેટલાક સાહસિક માણસોએ સામાન્ય અનુભવને ઓળંગીને સંયમ માર્ગ શોધ્યો. એ સંયમ ધર્મ ક્યાં સુધી જઈ શકે છે એના પ્રયોગ કરવાનો આપણને અધિકાર છે ને તેમ કરવાનું કર્તવ્ય પણ છે. એટલે મારું કહેવું કે, મનુષ્યનું કર્તવ્ય સ્ત્રી-પુરુષ-સંગને હું સૂચવું છું તે કક્ષાએ પહોંચવાનું છે, તે હસી કાઢવા જોગ નથી. તે સાથે મારું એ પણ સૂચન છે કે, જો મનુષ્યજીવન જેમ ઘડાવું જોઈએ તેમ ઘડાય તો વીર્યસંગ્રહ સ્વાભાવિક વસ્તુ થવી જોઈએ.

નિત્ય ઉત્પન્ન થતાં વીર્યનો પોતાની માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિ વધારવામાં ઉપયોગ કરી લેવો જોઈએ. જે આમ ઉપયોગ કરતાં શીખે છે તે પ્રમાણમાં ઘણા ઓછા ખોરાકથી