આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આરોગ્યની ચાવી

ભાગ બીજો

૧. પૃથ્વી એટલે માટી

૧૨-૧૨-'૪૨

આ પ્રકરણો લખવાનો હેતુ નૈસર્ગિક ઉપચારોનું મહત્ત્વ બતાવવાનો અને તેનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો છે એ બતાવવાનો છે. એ વિશે થોડું તો ગત પ્રકરણોમાં કહેવાઈ ગયું છે. અહીં કંઈક વિસ્તારથી કહેવું છે. જે તત્ત્વોનું મનુષ્યરૂપી પૂતળું બન્યું છે, તે જ નૈસર્ગિક ઉપચરનાં સાધન છે, પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સૂર્ય) ને વાયુનું આ શરીર છે. તે સાધનોનો ક્રમપૂર્વક ઉપયોગ સૂચવવાનો આ પ્રયત્ન છે.

સન ૧૯૧૦ની સાલ લગી મને કંઈ વ્યાધિ થાય તો હું દાક્તરોની પાસે તો ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો. એક -બે વસ્તુ સ્વ. દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવી હતી. થોડો અનુભવ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો ત્યાં મળેલો. બીજું વાચનથી પામેલો તે. મને મુખ્ય પજવણી બંધકોષની હતી. તેને સારુ વખતોવખત ફ્રૂટ સૉલ્ટ લેતો. તેથી કંઈક આરામ મળતો, પણ નબળો થતો. માથું દુઃખે. બીજા પણ નાના ઉપદ્રવો થાય, એટલે દાકતર પ્રાણજીવન મહેતાએ બતાવેલી દવા લોહ (ડાયલાઈઝ્ડ)અને નક્સવામિકા લેતો. દવાઓ ઉપર વિશ્વાસ ઘણો ઓછો હતો. એટલે એ ન ચાલતાં જ લેતો. તેથી સંતોષ ન થતો.

આ અરસામાં ખોરાકના મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નૈસર્ગિક ઉપચારોમાં મને સારી પેઠે વિશ્વાસ હતો, પણ કોઈની