આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મીંમાંસા કહે જો જીવ નોહે, સ્વર્ગભોગ કોણ ભોગવે?
પુરંજન[૧] પ્રાયેજ છે, તો સંસારને રહ્યા જોગવે[૨]. ૯

કહે અખો શાસ્ત્ર સઘળાં, સત્ય થાય જંતને;
નિર્વાણપદ[૩] તોજ પ્રગટે, જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો

રાગ ધન્યાશ્રી

વૈશેષિક કહે જંત વિશેષજી, જંતવિના નોહે ના વેષજી;
એમ તે ગણે ગુણના લેખજી, કોણે ન હોય જીવનો ઉવેખજી[૪].

પૂર્વછાયા

નોહે ઉવેખ એહનો, સહુજ દેખે દેહને;
હવે કહું સિધ્ધાંત મોટું, સાંખ્ય બોલે તેહને. ૧

સાંખ્ય સંખ્યા કાઢે તત્વની, જીવકેરૂં રૂપ કહે;
કહે માયા એ મલિન બ્રહ્મ છે, કર્મ ભારને તે વહે. ૨

માયા કેરો સંગ છુટે, તોય પ્રાય શિવ તે છે સદા;
આવર્ણના વિક્ષેપમાટે[૫], ભોગવે છે આપદા. ૩

વેદાંત કહે છે વાત મોટી, એ તો અજા રમે છે અણછતી;
કર્તા કારયિતા[૬] એજ માયા છે, દીસે છે જાતી આવતી. ૪

એ તો માયાને માયા ફુરી[૭] છે, કર્મ જીવ ને ફળ અજા;
જે જે કર્તવ્ય તે માયાનું,જો ધર્મની બાંધે ધજા. ૫

એ મૂલ મત ખટ દરશનનું, શાસ્ત્રકેરૂં કહિયું રદે;
અર્વાકી[૮] તેહના ઉપાસક, તે તો મનના મત બહોળા વદે. ૬


  1. જીવ
  2. સાંભળે
  3. મોક્ષ
  4. ઉપેક્ષા.
  5. બહિર્મુખ વૃત્તિને લીધે
  6. કરાવનારી
  7. સ્ફુરી
  8. અર્વાચીન