આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अर्जुन बोल्या :

હે જનાર્દન ! આ તમારું સૌમ્ય મનુષ્ય-સ્વરૂપ જોઈને હવે હું શાંત પ્રસન્નચિત્ત થયો છું અને ઠેકાણે આવ્યો છું. ૫૧.

श्री भगवान बोल्या :

જે મારું રૂપ તેં જોયું તેનાં દર્શન બહુ દુર્લભ છે. દેવો પણ તે રૂપ નિહાળવા ઝંખે છે. ૫૨.

જે મારાં દર્શન તેં કર્યાં છે તે દર્શન ન વેદથી, ન તપથી, ન દાનથી કે ન યજ્ઞથી થઈ શકે. ૫૩.

પણ હે અર્જુન ! હે પરતંપ ! મારે વિશેનું એવું જ્ઞાન, એવાં મારાં દર્શન અને મારામાં વાસ્તવિક પ્રવેશ કેવળ અનન્ય ભક્તિથી શક્ય છે. ૫૪.

હે પાંડવ ! જે કોઈ બધાં કર્મ મને સમર્પણ કરે છે, મારામાં પરાયણ રહે છે, મારો ભક્ત બને છે, આસક્તિ છોડે છે અને પ્રાણીમાત્રને વિશે દ્વેષરહિત થઈ રહે છે તે મને પામે છે. ૫૫.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'વિશ્વરૂપ-દર્શન-યોગ' નામનો અગિયારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૧૨૧