આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેને જાણીને માણસ મોક્ષ પામે છે તે જ્ઞેય શું છે તે તેને હવે કહીશ. તે અનાદિ પરબ્રહ્મ છે, તે ન કહેવાય સત્, ન કહેવાય અસત્. ૧૨.

નોંધઃ પરમેશ્વરને સત્ અથવા અસત્ એક્કે ન કહેવાય. કોઈ એક શબ્દ વડે તેની વ્યાખ્યા કે ઓળખ ન થઇ શકે એવું ગુણાતીત સ્વરૂપ છે.

તેને હાથ, પગ, આંખ, માથું, મોઢું અને કાન બધે જ છે. આ લોકમાં તે બધું વ્યાપીને રહેલ છે. ૧૩.

બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ તેને વિશે થાય છે તોયે તે સ્વરૂપ ઇન્દ્રિય વિનાનું ને સર્વથી અલિપ્ત છે. છતાં સર્વને ધારણ કરનાર છે; તે ગુણરહિત છે છતાં ગુણોનું ભોક્તા છે. ૧૪.

તે ભૂતોની બહાર છે ને અંદર પણ છે, તે ગતિમાન છે અને સ્થિર પણ છે. સૂક્ષ્મ ન હોવાથી ન જણાય તેવું છે. તે દૂર છે ને નજીક છે. ૧૫.

નોંધઃ જે તેને ઓળખે છે તે તેની અંદર છે. ગતિ અને સ્થિરતા, શાંતિ અને અશાંતિ બંને આપણે અનુભવીએ

૧૩૧