આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે કૌંતેય! આ અવિનાશી પરમાત્મા અનાદિ અને નિર્ગુણ હોવાથી શરીરમાં રહેતો છતો નથી કંઈ કરતો ને નથી કશાથી લેપાતો. ૩૧.

જેમ સર્વવ્યાપી આકાશ સૂક્ષ્મ હોવાથી લેપાતું નથી, તેમ સર્વ દેહને વિશે રહેલો આત્મા લેપાતો નથી. ૩૨.

જેમ એક જ સૂરજ આ આખા જગતને પ્રકાશ આપે છે, તેમ હે ભારત! ક્ષેત્રી આખા ક્ષેત્રને પ્રકાશે છે. ૩૩.

આ રીતે જેઓ જ્ઞાનચક્ષુ વડે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ તથા પ્રકૃતિના બંધનથી પ્રાણીઓની મુક્તિ કેમ થાય છે તે જાણે છે તે બ્રહ્મને પામે છે. ૩૪.

ૐતત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ' નામનો તેરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

૧૩૬