આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

જરાસંધની
ચડાઇ

કંસની બે સ્ત્રીઓ જરાસંધની પુત્રીઓ હતી એમ આગળ કહ્યું છે. પતિના મરણ પછી એ પોતાને પીયેર ગ‌ઇ અને જમાઇના મરણનું વેર વાળવા જરાસંધને ઉશ્કેરવા લાગી. જરાસંધ આ વખતે સર્વ હિન્દુસ્તાનના સર્વભૌમપદે પંહોચેલો હતો. દંતવક્ર, શિશુપાળ, ભીમક વગેરે અનેક રાજાઓ અને રાજકુમારો તેની સાથે મિત્રતા રાખતા હતા. તે સઘળાની મદદથી જરાસંધ એક મોટું સૈન્ય લ‌ઇ મથુરા ઉપર ચડી આવ્યો. બળરામ અને કૃષ્ણના સેનાપતિપણા નીચે યાદવોએ કિલ્લાનું રક્ષણ કરવા માંડ્યું. સત્તાવીશ દિવસ પર્યંત એકસરખું યુદ્ધ ચાલ્યું. અઠ્ઠાવીશમે દિવસે બળરામ કેટલાક વીરો સાથે કિલ્લા બહાર નીકળ્યા અને મગધના સૈન્ય પર તુટી પડ્યા. તે જ વખતે બીજે દરવાજેથી કૃષ્ણ પણ બાહર નીકળી પડ્યા. બન્ને જગએ ભયંકર કાપાકાપી ચાલી. બળરામે જરાસંધના ડિમ્ભક નામના બળવાન મલ્લને માર્યો. છેવટે જરાસંધને ઘેરો ઉઠાવી પાછા ચાલ્યા જવું પડ્યું.

એ ગયો તે પાછો આવવાનો જ એમ બધાને ખાત્રી હતી. તેથી યાદવો ગાફલ ન રહેતાં મથુરાના રક્ષણ માટે ઝપાઝપ તૈયારી કરવા લાગ્યા.

૧૧૦