બાપુનાં પારણાં/મૃત્યુ પ્રહરી બન્યું
બાપુનાં પારણાં મૃત્યુ પ્રહરી બન્યું ઝવેરચંદ મેઘાણી ૧૯૪૩ |
મૃત્યુનો મુજરો → |
મૃત્યુ પ્રહરી બન્યું
મૃત્યુ પ્રહરી બન્યું
—ઝૂલણાં—
કોણ છે ? — મૃત્યુ છું : કેમ ટેલે અહીં ?
છે અહીં આજ મારું રખોપું.
સાંભળી મોતના બોલ માનવ હસ્યાં —
વાહવા ! ચોર પ્રહરી બન્યો શું !
મોતના હાથમાં કારમી રાતમાં ૫
ભાઈ દેખાય કુંપા અમીનાં;
એકવીસ રાત લગ એક મટકાં વિના
મોત બાળી રહ્યું દીપ ધીના.
જાગરણ ખેંચતા મોતને નેણલે
નેવલાં આંસુનાં જોઈ ચાલ્યાં; ૧૦
બોલકાં માનવી જોઈ વિસ્મય થયાં
પૂછતાં મોતને, કેમ રો 'લ્યા !
લાખ જીભે તમે લાદિયા માનવી!
મોહરે શિર બદનામી-બોજા,
વાંક મારે દઈ પારકે પાય જૈ ૧૫
કરગર્યાં કેમ કંગાલ સોજાં !
'મરી જશે ! મરી જશે! મેલી દો બાપજી!'
બોલતાં જીભ શાને ન કરડી !
લોહીલોહાણ હૈયે રડી હું રહ્યું :
કાળ મલકી રહ્યો મૂછ મરડી. ૨૦
મારનારી તમારી હશે દીનતા-
નામ મારું નકામું દુણાશે.-
એ ભયે માનવી ! જાગું છું, પ્રાર્થું છું,
નાથ ! કયારે હવે પ્રાત થાશે ?