મંગળપ્રભાત
મંગળપ્રભાત
મોહનદાસ કરમચંદ ગાંધી
પહેલી આવૃત્તિનું નિવેદન →



‘મંગળપ્રભાત’


યરવડા જેલનું ગાંધીજીએ ' યરવડા મંદિર ' નામ પાડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચવા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયાની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એક બે ભાઈઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું. કાંઈપણ કાર્ય શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઈએ એવો ગાંધીજીનો આગ્રહ હોવાથી દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક પ્રવચન લખી મોકલવાનો એમણે સંકલ્પ કર્યો. એ સંકલ્પનું પ્રથમ ફળ તે આશ્રમનાં વ્રતો પરનું તેમનું ભાષ્ય છે. એ 'વ્રતવિચાર'ને નામે પ્રસિદ્ધ થયું.

આદર્શ કેદી તરીકે સરકારને બધી રીતે નિર્ભય કરી મૂકનાર ગાંધીજીએ જેલમાંથી સ્વદેશી પર કશું ન લખવાનો નિર્ણય કર્યો. એટલે ' વ્રત-વિચાર 'માં એ એક વસ્તુ રહી ગઈ હતી. બહાર આવ્યા પછી એમણે સ્વદેશી વ્રત પર એક લેખ લખી આપ્યો, જે 'નવજીવન'માં પ્રસિદ્ધ થયો છે. આ આવૃત્તિમાં એ લેખ ઉમેરી આશ્રમવ્રતોની વિચારણા સંપૂર્ણ કરી છે.

ઉપર કહ્યું છે તેમ આ પ્રવચનો મંગળપ્રભાતે લખાતાં હતાં એટલે આ પ્રવચનસંગ્રહનું નામ 'મંગળપ્રભાત' જ રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમય જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરાસરખી પણ અતિશયોક્તિ છે ખરી ?

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર