વેણીનાં ફૂલ/પ્રકાશકોનું નિવેદન

વેણીનાં ફૂલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮





પ્રકાશકોનું નિવેદન


બાલકો, કુમારો, યુવકો ઇત્યાદિ માટે ખાસ સાહિત્ય પ્રગટ કરવાનો આજે યુગ બેઠો છે. અમને યે અમારા મહિલા વિદ્યાલયને અંગે ન્હાની મોટી સહુ બ્હેનો માટેનું ઉચિત સાહિત્ય કાઢવાનો ધર્મ લાગ્યો. અલ્પ આરંભ કરવા માટે એક સ્નેહી ભાઈ મનસુખલાલ પ્રેમજી પારેખ તરફથી રૂ. ૫૦૦) પણ મળી ગયા. એમની ઈચ્છા પ્રમાણે અમે આ માલાનું નામ "શ્રી. ભાનુમતી પ્રકાશન માલા" રાખ્યું છે.

માલાના પ્રથમ પુષ્પ તરીકે આ ‘વેણીના ફૂલ’ ધરતાં હર્ષ થાય છે. આ પુસ્તકના કર્તાની મહિલા વિદ્યાલય પ્રતિની મમતા તો જાણીતી છે. કન્યાઓની માગણીથી અગાઉ એમણે “બલિદાન” નાટક લખી આપેલું ને તે કન્યાઓએ હોંશે હોંશે ભજવેલું. એમની પાસે લોકગીતો ગવડાવીને પણ એમનો ભંડાર કન્યાઓએ ખૂટવાડ્યો. એ ખૂટમંથી જ આ સ્વતંત્ર નવાં કન્યા-ગીતોની સરણી ઉછળી.

ભલે આવી એ ખૂટ !

કન્યાઓએ, મોટી મહિલા-બ્હેનોએ ને અમે સહુએ આ ગીતોમાં ઉંડો રસ લીધો છે. કન્યા-શિક્ષણમાં આવી કૃતિની ઉપયોગિતા મોટી છે. કન્યા-સાહિત્યની તૂટ ભોગવતા યુગમાં આવો પ્રયાસ, પ્રયાસ તરીકે પણ આદરણીય છે.

પરંતુ અમે તો આ ગીતો પરત્વે જાતિ-ભેદ પણ પાડવા નથી માગતા. પુરૂષ-હૃદયને પણ એ નિર્મલ રસ આપે છે. શિક્ષણના સર્વ પ્રેમીઓ પ્રતિ વિનતિ છે કે શિક્ષણ-સંસ્થાઓમાં આ ગીતોનું સ્થાન નક્કી કરે.

પ્રથમ આવૃત્તિમાં એક ફરજ બજાવવી રહી ગઈ હતી: અને તે ભાઇશ્રી રવિશંકર રાવળનું ઋણ સ્વીકારવાની. મુખ પૃષ્ટ પરનું ભાવવાહી ચિત્ર કો’ કવિના શિઘ્ર ઉર્મિ કાવ્ય સરખું એમની પીંછીમાંથી ખાસ ‘વેણીના ફુલ’ માટે જ સરી પડ્યું છે અને ભેટ રૂપે મળ્યું છે.

મહિલા વિદ્યાલય
ભાવનગર
ચૈત્રી પૂર્ણિમા
૧૯૮૪
}
સૌ. વિનોદિની ર. યાજ્ઞિક
બલવંતરાય ગોપાલજી મહેતા
મંત્રીઓ, ભાવ. સ્ત્રી. કે. મં.