અલખની જોગણ
ગોવર્ધનરામ ત્રિપાઠી

(ઢાળ : ઓધવજી સંદેશો કહેજો શ્યામને)




અલખની જોગણ

 
વાંસલડીએ ઘેલી રાધાને કરી, મધુરી વાગે,
પણ નવ દીસે ક્હાન જો! વાંસલડી૦

વાંસ્લડી કહે, સુણ, ઓ રાધા બ્હાવરી !
અલખમુખ ચ્હડી કરૂં છું હું લખગાન જો ! વાંસલડી૦

અલખપ્રીતડી જગાડું તુજ હઈડા વિષે,
અલખ ક્હાનની વનમાં ન જડે વાટ જો ! વાંસલડી૦

અલખની જોગણ ! અલખ જોગ ધરી જાગજે,
જગવ અલખરતિ જમુનાજીને ઘાટ જો ! વાંસલડી૦

ગોવર્ધનરામ ત્રિપાઠી