આજ વૃંદાવન આનંદસાગર
નરસિંહ મહેતા



આજ વૃંદાવન આનંદસાગર


આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે;
નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે.
એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે;
તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે.
સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુના તીરે, તનના તાપ ત્રિવિધ શમે.
હરખ્યા સુરનર દેવ મુનિજન, પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી, એને કાજે જે દેહ દમે.