આજ સખી શામળિયો વા'લો
પ્રેમાનંદ સ્વામી


પદ ૯૩૨ મું - રાગ વસંત થાલ

આજ સખી શામળિયો વા'લો પરોણા ઘેર આવ્યા;
થાળ ભરીને મેં તો મોંઘે, મોતીડે વધાવ્યા... ટેક
કર સાહીને કૃષ્ણ જીવનને મંદિરમાં પધરાવ્યા;
નોતરિયા નારાયણ મેં તો, બહુવિધ પાક બનાવ્યા... ૧
ષટરસ ચાર પ્રકાર સુધારી, થાળ ભરીને લાવ્યા;
કંચન કળશ ભરીને શીતળ, જળ જમુનાનાં લાવ્યાં... ૨
લાડુ પેંડા જલેબી ઘેબર, બહુવિધ પકવાન પિરસાવ્યાં;
શાક પૂર્યાં બહુ કનક કટોરે, જે હરિને મન ભાવ્યાં... ૩
ભજિયાં વડાં ફાફડા પાપડ, તળેલ તાતાં લાવ્યા;
લીંબુ આદાં કેરીના બહુ, અથાણાં મંગાવ્યાં... ૪
દાળ ભાત પીરસીને સાકર, નાખી દૂધ ઓટાવ્યાં;
દૂધ ભાત જમાડી હરિને, હેતે ચળું કરાવ્યા... ૫
પાનબીડાં અમારાં હરિએ, હાથોહાથ લઈ ચાવ્યાં;
પ્રેમાનંદના નાથને ભેટી, તનના તાપ સમાવ્યા... ૬