ઉદ્ગાર (કાવ્ય)
મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત'
ખંડ : શિખરિણી



ઉદ્‌ગાર

(ખંડ : શિખરિણી)


વસ્યો હૈયૈ તારે :
રહ્યો એ આધારે :


પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો !


નહિ તદ્‌પિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :


હરે દૃષ્ટિ, વ્હાલી ! સદય મૃદુ તારી જ રજને !


સદા રહેશે એવી :
સુધા વર્ષા જેવી :


કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી !