← કડવું-૨૮ ઓખાહરણ
કડવું-૨૯
પ્રેમાનંદ
કડવું-૩૦ →


કડવું ૨૯મું
ઓખા ઉમિયાજીને શાપનિવારણ માટે વિનંતિ કરે છે
રાગ : સાખી

ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;
હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં. ૧.

ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;
પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨.

આણી જ તીરેથી અમે અળગા ન થયાં. પેલી તીરે નવ ગયાં;
કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં. ૩.

હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ;
પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ ? ૪.

ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;
માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. ૫.