← કડવું-૪૨ ઓખાહરણ
કડવું-૪૩
પ્રેમાનંદ
કડવું-૪૪ →


કડવું ૪૩મું
ભરથારનું કહ્યું ન માનવાથી
રાગ : આશાવરી

ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઊઠાડીએ,
મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧)

ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય;
વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨)

ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યામાંય;
આંધળી ચાકરણ અવતરે; પડે મારગમાંય. (૩)

ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી,
તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪)

ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ;
હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫)

ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ;
પિયુ પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ (૬)