← કડવું-૭૦ ઓખાહરણ
કડવું-૭૧
પ્રેમાનંદ
કડવું-૭૨ →



કડવું ૭૧મું
શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે
રાગ :ઢાળ

આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ;
મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. ૧.

એક કુબજા પેલી રાંટી ટુંડી, કંસરાયની દાસ;
મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. ૨.

નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી;
તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી. ૩.

તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી;
જાંબુવંતી રીંછડી, તેને માનીતી કહી બોલાવી. ૪.

તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ;
બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેઠ. ૫.

આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ;
રૂડી નારી દેખીએ તો, હરણ કરી જઈએ. ૬.

ઓધવ ને અક્રુર બે હસિયા, ખડખડ કાઢ્યા દાંત;
રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. ૭.

આવી શિખામણ અમારાં છોકરાંને, જો દેશો તમે શ્યામ;
તો તો મૂકવું પડશે, જરૂર દ્વારકા ગામ રે. ૮.