← પ્રકરણ ૯ મું કરણ ઘેલો
પ્રકરણ ૧૦ મું
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ ૧૧ મું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૧૦ મું.

રણ રાજા પડ્યો, તેનું લશ્કર સઘળું કપાઈ ગયું, તથા તુરકડાઓનું સઘળું સૈન્ય પાટણ ઉપર આવે છે એ દુ:ખદાયક સમાચાર સાંભળીને શેહેરમાં હાહાકાર થઈ ગયો. દ્રવ્યવાન લોકો પોતાની દોલતની ફિકર કરવા લાગ્યા, તથા અધિકારી વર્ગ પોતાના અધિકારની ચિંતામાં પડ્યો. જેઓનાં સગાંવહાલાં તથા મિત્રો રણસંગ્રામમાં માર્યા ગયાં તેઓના દુ:ખની તે કાંઈ સીમા ન હતી. કેટલીએક ઘરડી ડોશીઓ તથા ડોસાઓ પુત્ર રહિત તથા નિરાધાર થઈ બેઠાં; કેટલાંએક નાનાં છોકરાં બાપ વિનાનાં થયાથી નિરાશ્રિત થઈ ગયાં, કેટલીએક જુવાન સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, કેટલીએક તરૂણીએાના ધારેલા ભર્તાર દેવલોકમાં અપ્સરાએાને વર્યા; અને કેટલાંએક સ્ત્રીપુરૂષના ભાઈ તથા મિત્રોએ આ જગતનો અનિત્ય સંબંધ તોડી નાંખ્યો; શેહેરમાં સઘળે રડારડ થઈ રહી; મોટા મોટા મહેલ કે નીચાં નીચાં ઝુંપડાં સઘળાંમાં દુ:ખ તથા શોકના શબ્દ સંભળાવા લાગ્યા. રાજાના મેહેલમાં એક અન્દરના ઓરડામાં કરણની સઘળી રાણીઓ એકઠી થઈ. તેએામાં આકાશમાં જેમ ચન્દ્ર સૂરજ પ્રકાશે છે, તેમ રૂપસુંદરી તથા કૌળારાણી પ્રકાશતી હતી. રૂપસુંદરીનું વર્ણન આપણે કીધેલું છે, તે આ વખતે પહેલાંના જેવી જ રૂપાળી હતી, પણ તેને આટલા દહાડા સુધી મેહેલના એક ખુણામાં રાખી મુકી, તથા તેટલી મુદત સુધી તેને શરીરનું તથા મનનું કાંઈપણ સુખ મળ્યું નહી, તેમ જ તેનો વર તથા કુટુંબ તરફનું જે દુ:ખ પડ્યું હતું તે વિસારવાને રાજાની તરફથી કાંઈ કરવામાં આવ્યું ન હતું, એ સઘળાં કારણોથી તેના મ્હોંડા ઉપર ફિકાશ આવેલી હતી, તથા તેનો ચેહેરો જરા ઝરડાઈ ગયલો દેખાતો હતો. પણ કૌળાદેવી જે રાજાની પટરાણી હતી તેના રૂપનું તે વર્ણન થઈ શકે એવું ન હતું. જે જે ખુબસુરત સ્ત્રીઓ ચિત્રકારોએ તથા પ્રતિકમાકારકોએ કલ્પેલી છે, ઇટલી દેશના ચિતારાઓએ તથા મૂર્તિકારકોએ ઈસા પેગંબરની પવિત્ર મા મરિયમની તસવીર તથા મૂર્તિઓ બનાવેલી છે, જે જે અતિ રૂપવંતી સ્ત્રીઓને કવિરાજોએ પોતાના મનમાંથી ઉત્પન્ન કરીને જગતને દેખાડેલી છે, તે તે જાતનું સૌન્દર્ય કૌળારાણીમાં હતું. તફાવત માત્ર એટલો જ કે તેનું રૂપ ક્ષત્રીની સ્ત્રીને, એટલે રજપૂતાણીને યોગ્ય હતું. આખા ભરતખંડમાં તેના રૂપનો જોટો ન હતો. તેમાં આ વખતે તે મહાશોકમાં બેઠી હતી તેથી તેની ખુબસુરતીમાં ઘટાડો થવાને બદલે તેનું તેજ વધારે પ્રકાશતું હતું, ઈશ્વરની કારીગરી કેવી ચમત્કારિક છે ! તેના શરીરનો ઘાટ એવો સંપૂર્ણ હતો કે કોઈ પણ માણસ, પછી તે જુવાન કે વૃદ્ધ ગમે તે હોય, તોપણ તેને આખા દહાડા સુધી નિરખ્યાં જ કરે તો પણ તે ધરાય નહી, અને તેને ભૂખ કે તરસ કાંઈ લાગે નહી એવી કૌળારાણીની પાસે બે છોકરીએ ઉભી હતી, અને મુરઘીનાં બચ્ચાંને મારવા બાજ ઉંચે ઉડતાં ઉડતાં તલપ મારે છે તે વખતે બચ્ચાં જેમ તેની માની પાંખ નીચે ભરાઈ જાય છે, તથા તેના શરીરને દબાઈને ઉભાં રહે છે, તેમ આ પ્રસંગે તે છોકરીઓ તેની માની સ્હોડમાં દબાઈને ભયભીત થયલી ઉભી રહેલી હતી. તેઓમાંથી મોટી કનકદેવીની ઉમર આઠ તથા નાની દેવળદેવીની ઉમર ચાર વર્ષની હતી; પણ તેઓના શરીરનો ઘાટ તેઓનાં વર્ષ પ્રમાણે જેટલો હોવો જોઈએ તે કરતાં કાંઈક વધારે ખીલેલો હતો. તેએાનું રૂપ તેઓની માના જેવું જ હતુ, માત્ર તેએાના મ્હોં ઉપર બાલ્યાવસ્થાનું નિર્દોષપણું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું, તથા તેઓના નિમાળા હજી સોનેરી હતા તથા તે ઉપર કાળાશ હજી ઘણી આવી ન હતી. એટલો જ તફાવત તેઓ તથા તેઓની માની વચ્ચે હતો.

સઘળી રાણીઓ શોકાતુર થઈ બેઠેલી હતી, તથા હવે શું કરવું તે કૌળારાણીના મ્હોંમાંથી સાંભળવાને રાહ જોતી હતી રૂપસુન્દરીના વિચાર તે વખતે જુદા જ હતા. તેને કરણ રાજા સાથે કાંઈ પ્રીત થયલી ન હતી, તેથી તેના મોતથી તે બીજી રાણીઓની પેઠે દિલગીર જણાતી ન હતી. ઉલટી તેના વર માધવને પાછો આવેલો સાંભળીને, તથા આ જય મળ્યાથી તે પાટણમાં જલદીથી આવશે, અને તેને મુખ્ય કારભાર પાછો મળશે, પછી તે પાછી તેની પાસે જશે, અને કેટલુંએક પ્રાયશ્ચિત કરાવી તે તેને રાખશે, એવી આશાથી તો તેના મનમાં ખુશી થઈ હતી. પણ બીજી રાણીઓની અવસ્થા જુદી જ હતી. તેઓએ કરણ રાજાની પ્રીતિ ચાખી હતી. સ્ત્રીજાતિની આબરૂ વિષે તેઓના વિચારો ઘણા ઉંચા પ્રકારના હતા, તથા રજપૂતાણીઓએ પોતાના ભર્તાર મરી ગયા પછી શું કરવું તે વિષેના તેઓના અભિપ્રાય જુદા જ હતા. કૌળારાણી થોડી વાર વિચાર કરી બેલી: “અરે મારી બેહેનો ! આજ આપણા સુખનો સૂર્ય અસ્ત પામ્યો; આજ આપણો ભર્તાર, આપણું શિરછત્ર, આપણું પ્રતિપાલન કરનાર, તથા આપણા માથાનો મુગટ રણક્ષેત્રમાં પડ્યો, તથા તેને જીતનાર તુરકડા મ્લેચ્છ લોકો થોડી વારમાં પાટણ શહેરમાં આવી પહોંચશે. આજ આખું ગુજરાત તથા આપણે સઘળાં રંડાયાં. રંડાયાં ! એ શબ્દ સાંભળતાં સૂર્ય દેવતા તું તારૂં મ્હોંડું શા માટે સંતાડતો નથી ? અને કરણ રાજા પડ્યો એ વાત પ્રસિદ્ધ કરવાને જગતમાં અન્ધકાર શા માટે વર્તાવતો નથી? એ શબ્દ સાંભળતાં, અરે ઈંદ્રરાજા ! તું લોહીનો વરસાદ શા માટે વરસાવતો નથી ? અને રૂપ તથા શક્તિમાં તારે બરોબરીયે આજે મુઓ તેનો શોક શા માટે બતાવતો નથી? એ શબ્દ સાંભળીને રે શેષનાગ ! તું ધ્રુજીને ધરતીકંપ શા માટે કરતો નથી? તથા તારા ઉપર આવા શૂર રજપૂતોનાં મુડદાંઓનો આવો મોટો ભાર પડ્યો છે તે તને અસહ્ય લાગે છે, એમ શા માટે જણાવતો નથી ? એ શબ્દ સાંભળીને ગુજરાતના પર્વતો ! તથા સઘળી નિર્જીવ વસ્તુઓ ! તમે શા માટે રડતાં નથી ? તથા અમારા દુ:ખમાં શા માટે ભાગીયાં થતાં નથી ? અરે ! એ શબ્દ સાંભળીને પશુપક્ષીઓ, જીવજંતુઓ, અને સઘળાં પ્રાણીઓ ! તમે આનંદમાં ફરતાં કેમ દેખાઓ છો ? તમારો સ્વામી રાજા કરણ માર્યો ગયો તે ખબર તમે સાંભળી નથી ? અથવા સાંભળી હોય તો તમારાં અન્તઃકરણ એટલાં બધાં વજ્ર જેવાં છે ? અરે પથ્થરોએ પણ આંસુ ઢાળવાં જોઈએ: પણ હું ભુલું છું. આપણે હવે મિથ્યા શોક શા માટે કરવો જોઇએ? આપણે રજપૂતાણીઓ છીએ. આપણી નસોમાં ક્ષત્રિયનું લોહી જુસ્સાથી વહે છે. આપણી જાતે શૂરા રજપૂતોને ઉદરમાં રાખ્યા છે, તથા આપણે હિમ્મતથી ભરપૂર દુધે બહાદુર લોકોને ધવડાવ્યા છે, તે શું આપણે બેઠાં બેઠાં ઈહાં રડ્યાં કરીશું? શું આપણને આપણી પ્રતિષ્ઠા વહાલી નથી? શું આપણે આપણા પતિવ્રતપણાનું રક્ષણ કરવું નથી ? શું આપણે ઈહાં બેસી રહી રજપૂતાણીના નામ ઉપર કલંક લગાડવો છે? શું આપણી અવસ્થામાં આવી પડેલી જે રાણીઓ પૂર્વ થઈ ગયેલી છે તેઓનાં કૃત્યો આપણને માલમ નથી ? માટે હવે આંસુ લુછી નાંખો; હવે હૈયાં કઠણ કરો, આપણા ઉપર આવી પડેલાં દુ:ખ વિસરી જાઓ; અને હવે પછી શું કરવું તે ઉપર વિચાર કરો. મુસલમાન લોકો શેહેરની લગભગ આવ્યા હશે; તેઓ આપણા પવિત્ર એકાંત ઓરડામાં પ્રવેશ કરશે; તેઓ આપણા ઉપર દુષ્ટ નજર તાકશે; આપણાં અંગ ઉપર ઝબરદસ્તી કરે એવા તે દુષ્ટ ચંડાળો તેઓ નહીં હશે, પણ કદાપિ હોય એવો આગળથી વિચાર રાખવો; તેઓના સરદાર આપણું રૂપ જોઈ આપણા પર મોહ પામે, આપણને પરણે; અને આપણા એક ભવમાં બે ભવ થાય; આપણો ધર્મ આપણને ત્યાગ કરવો પડે; તથા એ મ્લેચ્છ લોકોની રીતભાત આપણને પાળવી પડે; એ સઘળું ન થવા દેવાને માટે આપણે શું કરવું જોઇએ તે વિષે સઘળાંએાએ પોતપોતાનો અભિપ્રાય આપવો જોઇએ.”

બીજી સઘળી રાણીઓ એક અક્ષર બોલી નહી, તથા કૌળારાણી જે કરે તે પ્રમાણે કરવાને તેઓએ પોતાનો ઠરાવ જણાવ્યો, તે ઉપરથી તે પટરાણી મોટા આવેશથી, રજપૂતના શૂરાતનથી, તથા ક્ષત્રીઓનું લોહી મ્હોં ઉપર લાવીને ધીમેથી પણ દૃઢતાથી, બોલી: “મરવું, મરવું, અને મરવું. એ વિના બીજો કાંઇ ઉપાય નથી. મરવામાં કાંઇ મોટી વાત નથી. એક વાર તો મરવું જ છે, ત્યારે હમણાં મરવામાં શી ચિન્તા છે ? જ્યારે આપણે આવી દશા થઇ છે, ત્યારે મૃત્યુમાં શો ભય છે ? જ્યારે હવે પછી કેવી અવસ્થા આપણી થશે એ વિષે આપણને શંકા ઉત્પન્ન થઈ છે, અને દુર્દશા આવશે એવો સંભવ લાગે છે, ત્યારે જીવવા કરતાં મરવું હજાર દરજજે સારું છે. આ જગતમાં આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ. જે ટુંકી મુદ્દત આપણે આ દુનિયામાં વાસો કરીએ છીએ તેટલી ટુંકી મુદ્દતમાં આપણે સૌ પોતપોતાનું કામ કરી લઇ આપણો મુકામ ઉઠાવીએ છીએ. અને ગયા પછી શું રહી જાય છે ? કરોડો માણસ જગતમાં આવ્યાં અને ગયાં, તેઓની નામનિશાની કાંઈ રહેલી છે ? તેઓ પૃથ્વી ઉપર થઈ ગયાં તેનાં ચિહ્નો નજરે પડે છે ? સઘળાંનાં નહી. ઘણાંખરાં તો કાળની મોટી રેલમાં ઘસડાઇ ગયાં, અને તેઓ હતાં જ નહીં એમ લાગે છે; પણ થોડાંએક તો દરિયામાંના ખડકની પેઠે મજબુત ઉભાં છે, અને તેઓ ઉપરથી કાળરૂપી રેલ જોરથી ચાલી ગઇ તો પણ તેઓના પાયા હજી રહેલા છે, અને અનંત કાળ પર્યંત તેઓ અચળ રહેશે. એ પાયા રહી ગયા તે શું ? તેઓના નામ, તેઓની આબરૂ. સારૂં નામ એક અમુલ્ય વસ્તુ છે; તેની કિમ્મત આખા જગતના સોના, રૂપા, હીરા, મોતી, વગેરે ઝવેરાત કરતાં ઘણી જ વધારે છે. જેની પાસે સારૂં નામ છે તેના જેટલો શ્રીમંત બીજો કોઇ નથી. બીજી સઘળી દોલત નાશવંત છે, પણ સારૂં નામ અમર છે. બીજી દોલત તો ખુટી જાય છે; અને તે દોલત મેળવનારનું નામ એક બે પેહેડી પછી નાશ પામે છે; પણ સારૂં નામ ધ્રુવના તારાની પેઠે અચળ રહે છે. દુનિયામાં લોકો પોતાના વંશવડે જ આ લોકમાં અમર રહેવાની આશા રાખે છે, તે ખોટી છે; એ પ્રમાણે તો એક અથવા ઘણું તો બે પેહેડી સુધી તે ઓળખાય છે; પણ પછી તેનું મીડું વળ્યું. તે હતો અને નહી હતો એ સરખું જ થાય છે; પણ સારૂં નામ એ તો જગતને એક મોટો વારસો આપી જવા જેવું છે. સારા નામવાળાનું સ્મરણ કાયમ રાખવાને વંશની જરૂર નથી, તે તો અન્ધકારમાં સૂર્યના એક કિરણની પેઠે પ્રકાશ્યા કરશે. સારૂં નામ અથવા આબરૂ એ એક મોટી વસ્તુ છે. સઘળાને તે પારસમણી મેળવવાની આતુરતા હોય છે; સઘળાઓ તે અમુલ્ય હીરો પ્રાપ્ત કરવા મહેનત કરે છે; પણ સઘળાના પ્રયત્ન સફળ થતા નથી. જેઓએ પોતાના અંગની, મનની, અથવા નીતિની શક્તિવડે જગતમાં મોટા તથા અગત્યના ફેરફાર કીધા છે તેઓનાં નામ અમર રહી ગયાં છે. વળી જેઓએ અસાધારણ કામ કીધાં છે, એટલે જેઓએ સત્યને વાસ્તે અથવા આબરૂને વાસ્તે પોતાનો દેહ અર્પણ કીધો છે, તેઓનાં નામ તેઓના દેશના અને વખતે આખી દુનિયાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાયલાં છે. જગતમાં નામ મેળવવા ખાતર મરવું કોણ કબુલ નહી કરે ? જે માણસ થોડા દહાડા વધારે દુનિયાની જંજાળ તથા ફિકર ખમવા સારૂ પોતાનું સારૂં નામ જવા દે છે, પોતાની આબરૂ ખોવાનું કબુલ કરે છે, તે ખરેખરો અધમ જાણવો; તેનાં કોઈ પણ વખાણ કરતું નથી, અને જ્યારે તે મરે છે ત્યારે જેમ વાડીમાંથી નકામા છોડવા નીંદાઈ જાય છે, અને તે છુંદાઈ જાય છે; જેમ કીડો ભોંય ઉપર ઘસડાતો ઘસડાતો ચાલતાં પગતળે કચરાઈ જાય છે, તેને કોઈ ગણતું નથી; જેમ એક પશુ જંગલમાં મરી જઇ સડ્યાં કરે છે, તેમ તે હતો જ નહીં એવો થઈ જાય છે, અને દરિયાના કિનારા ઉપરની રેતીમાંનો એક દાણો ઉડી જવાથી કાંઇ ખોટ જણાતી નથી, તેમ જગતમાં માણસની કુલ સંખ્યામાંથી તે ઘટેલો કોઈને લાગતો નથી. તેને કોઈ આબરૂ આ૫તું નથી, તેને વાસ્તે કોઈ રડતું નથી, અને તેની કીર્તિ વધારવાને કવિ તેની કવિતા બનાવતા નથી. સઘળાં માણસો આ પૃથ્વી ઉપરની ટુંકી મુસાફરીથી તૃપ્ત થતાં નથી, તેઓને ઘણાં વર્ષ પર્યંત આ દુનિયામાં જીવવાની ઇચ્છા હોય છે, અને જ્યારે તેઓ એટલી મુદ્દત સુધી જગતમાં ટકી શકતા નથી; ત્યારે થોડાં વર્ષ પૃથ્વી ઉપર ને બાકી રહેલાં વર્ષો માણસોના સ્મરણસ્થાનમાં જીવવાને પ્રયત્ન કરે છે. માણસની નજર હમેશાં ભવિષ્ય ઉપર દોડે છે, અને ગમે તેવો હલકો માણસ હોય તો પણ પોતાનું નામ અમર રહે એવી તેનામાં સ્વાભાવિક ઇચ્છા હોય છે. એ સઘળાં કારણોથી આપણે સઘળાંએાએ મરવું જોઈએ, અને તેમ કીધાથી આપણાં નામ શૂરી સ્ત્રીઓ જેઓએ સ્વાત્માર્પણ કરી પોતાની પ્રતિષ્ઠા વધારી છે તેઓની ટીપમાં ઉમેરાશે; માટે આ મેહેલમાં આગ લગાડી મૂકવી, અને આપણે સઘળાંએ એમાં રહી બળી મરવું.”

મરવાની ભયંકર રીતથી કોઈ પણ રાણીનું મન ત્રાસ પામેલું દેખાયું નહી. સઘળાંએ પોતાની તે પ્રમાણે કરવાની ખુશી દેખાડી. તે ઉપરથી સઘળી રાણીઓએ પોતાના દેહ અર્પણ કરવાની તૈયારી કીધી. કૌળાદેવીએ પેહેલો વિચાર પોતાની કુમળી વયની બે દીકરીઓને વાસ્તે કીધો. એ બીચારી નાની ઉમરમાં દુનિયાનું કાંઇ પણ સુખ ભોગવ્યા વિના આવી રીતે મૃત્યુ પામે એ વાત તેમની માની નજરમાં યોગ્ય લાગી નહી. વળી તેઓના જીવવાથી તેઓની પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચે એમ ન હતું, એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના એક ખાસ ચાકરને બોલાવી તેને તે છોકરીઓને સોંપી અને તેઓને પોતાના બાપ પાસે લઇ જવાને કહ્યું. આટલીવાર સુધી તેનામાં હિમ્મત રહેલી હતી. તેને પોતાના મરવા તરફનું કાંઇ પણ દુઃખ ન હતું; પણ પોતાની પ્રાણ સમાન વહાલી છોકરીએાનો વિયોગ થવાનો સમય આવ્યો, ત્યારે તેનું હૈયું ફાટી જવા જેવું થયું, અને તેની આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી, તેની છાતી ભરાઈ આવી, અને તે કેટલીએક વાર સુધી પોકેપોક મુકીને રડી. આ બહાદૂર રજપૂતાણી નાની છેકરીની પેઠે રૂદન કરવા લાગી, તથા શોકવૃત્તિને વશ થઈ ગઈ તે ઉપરથી કોઈએ તેની નિંદા કરવી નહી, અથવા તેની હિંમત વિષે પણ હલકો વિચાર આણવો નહી. સઘળું જગત પ્રીતિના પાશથી બંધાયલું છે, તેમાં માની છોકરાં ઉપરની પ્રીતિથી તો આડોઆંક છે. ક્ષુદ્ર જીવથી તે શ્રેષ્ઠ માણસ સુધી પ્રાણી માત્રમાં જગકર્તા ઈશ્વરે માના અન્તઃકરણમાં છોકરાં ઉપર ઘણું જ હેત મૂકેલું છે. જે સ્ત્રીઓ ઘણી નિર્દય હોય છે, જેઓનાં મન ઉપર પારકાનું દુઃખ જોવાથી કાંઈ પણ અસર થતી નથી, એવી વજ્ર હૈયાની સ્ત્રીઓ પણ પોતાનાં છોકરાં ઉપર ઘણી જ નરમાશ રાખે છે; તેઓનું દુ:ખ જોઇ તેઓ ઘણી પીડાય છે, તથા તેઓનું રક્ષણ કરવાને પોતાના પ્રાણને જોખમમાં નાંખે છે, તે પ્રમાણે કૌળારાણી જો કે પોતે જાતે મૃત્યુથી જરા પણ ડરતી ન હતી, તો પણ પોતાની નાની છોકરીઓની નિરાશ્રિત અવસ્થા, તેઓથી જુદાં પડવાનું કષ્ટ, તથા તેઓની નિર્ભયતાને વાસ્તે દેહેશત, એ સઘળી હકીકત ઉપરથી તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, એમાં શું આશ્ચર્ય ? એ આંસુથી સિદ્ધ થયું કે તેનું અન્તઃકરણ ઘણું કોમળ હતું, તથા તે આંસુઓથી તેના સ્ત્રીજાતીય સ્વભાવને શોભા તથા પ્રતિષ્ઠા મળી. છોકરીઓને વદાય કરતી વખતે તે બોલી: “અરે મારી પરમપ્રિય દીકરીઓ ! અરે મારી આંખની કીકીઓ, તથા હૈયાના હાર, તમને મેં મારા ઉદરમાં નવ માસ સુધી ઘણી પીડા ભોગવી રાખી, તમને ઘણા દેહ કષ્ટની સાથે ઉછેરી. તમને એક ઘડી પણ મારાથી વેગળી કીધી નથી. તમારૂં સુંદર વદન નિહાળતાં મને અતિ આનન્દ ઉપજતો. તમારૂં કાલું કાલું બોલવું સાંભળીને મારો આત્મા ખુશીથી ભરપૂર થતો. તમારા સુખથી હું સુખી, અને તમારા દુઃખથી હું દુઃખી થતી. મારા વિના તમારી કોણ સંભાળ રાખશે? બીજું કોણ તમને લાડલડાવશે? બીજું કોણ તમને તમારી માગેલી વસ્તુ તુરત પુરી પાડશે ? અને તમે જ્યારે બાલ્યાવસ્થામાંથી નીકળીને યુવાવસ્થામાં આવશો ત્યારે તમારી તપાસ કોણ રાખશે ? તમને સીધો રસ્તો કોણ બતાવશે ? તથા જુવાનીની અગણિત લાલચમાં પડતાં અટકાવવાને તમને સારી સલાહ કોણ આપશે ? પણ હવે બસ થયું. છોકરીઓની તરફથી ઘણી ફીકર કરવામાં મારો આગલો વિચાર અમલમાં આવતાં અટકશે, માટે હવે જાઓ. તેત્રીશ કરોડ દેવતાઓ તમારું રક્ષણ કરો; જગદમ્બા તથા તેની જોગણીઓ તમારી આસનાવાસના કરો, તથા તમારા ઉપર માના જેટલી પ્રીતિ રાખી તમને સારી પ્રેરણા કરી તમારાં કુળની પ્રતિષ્ઠા જાળવો એ મારી પ્રાર્થના છે.” તેનાથી વધારે બોલાયું નહીં. છોકરીઓ તેને ચુડ ભેરવીને ઉભી રહી, પણ તેઓને જોર કરી તરછોડી નાંખી, અને ચાકરને તેઓને જલદીથી લઈ જવાનો હુકમ કરી કૌળારાણી ત્યાંથી આંખ મીચી તથા કાન બંધ કરી ચાલી ગઈ. સઘળી રાણીએાએ પોતપોતાના કામકાજનો બંદોબસ્ત કરી લીધો. પછી મેહેલના જે ભાગમાં જલદીથી બળે એવા પદાર્થો હતા ત્યાં એક મોટો કાકડો સળગાવી મૂક્યો. રાજ્યમેહેલ સળગવા લાગ્યો, લાકડાં કડકડાટ કરી પડવા લાગ્યાં; બળતાંએ છાપરાંના એક ભાળને પકડ્યો; નળીયાં ઉપરથી નીચે પડવા લાગ્યાં; ધુમાડાના ગોટેગોટ ચાલ્યા; અને તાપના ભડકા ઓરડામાં ઉન્મત્તાઈથી રમત રમવા લાગ્યા. બહાર લોકોનું મોટું ટોળું મળ્યું. તેઓ પાણીના ઘડા, કુહાડા તથા આગ હોલવવાનો તથા ઘર તોડી પાડવાનો સામાન લઈને આવ્યા; પણ આગનું જોર વધી ગયું, અને જે મેહેલ પાટણ શેહેર વસાવતી વખતે વનરાજે બાંધેલો, જે મહેલમાં મુળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, ભીમદેવ, ઇત્યાદિ રાજાઓ જન્મ્યા, તથા મુઆ, જે મેહેલમાં જયના આનંદકારક શબ્દ ઘણી વાર સંભળાયલા અને જેમાં પરાજયને લીધે વિલાપ તથા શોક ઘણીએક વાર થયેલો, જે મેહેલે રાજ્યના નાના પ્રકારના ફેરફાર જોયલા, અને જેણે આશરે સાડી પાંચસેં વર્ષ, વાયુ, વૃષ્ટિ, તથા કાલચક્રના અનેક સપાટો ખમેલા, તે મેહેલ આજે અગ્નિદેવને ભેટ્યા; અને જેમ દેહરૂપી ઘરનો ધણી બહાર નીકળી ગયા પછી તેને અગ્નિદાહ કરવામાં આવે છે, તેમ તે રાજ્યમેહેલનો ધણી રાજા કરણ તેનો ત્યાગ કરી ગયે ત્યારે તેણે પણ અગ્નિમાં પ્રવેશ કીધો, પણ રાણીએ એ સારું નામ પ્રાપ્ત કરવાને તથા આબરૂ મેળવવાને જે પ્રયત્ન કીધે તે નિષ્ફળ જવાનો હતો; પૃથ્વી ઉપરના તેઓના પ્રવાસની મુદ્દત હજી પુરી થયેલી ન હતી, તેઓનું કામ હજી બાકી રહેલું હતું, હજી તેએાને સુખદુઃખનો સ્વાદ વધારે ચાખવાનો હતો, તેથી એવું બન્યું કે જે વખતે આગનું જોર ભરપુર ચાલી રહ્યું હતું, તથા રાણીઓને પોતાની ધારેલી મતલબ જલદીથી પાર પડશે એવી આશા હતી, તે વખતે મુસલમાન લોકોનું લશ્કર શેહેરમાં આવી પહોંચ્યું, અને તે સઘળું બળતા મેહેલ આગળ આવી ઉભું રહ્યું. ગુજરાત જીતવાની એક મતલબ ત્યાનું અગણિત દ્રવ્ય હરણ કરવાની હતી, તેથી જો મેહેલ બળી જશે તો તે માંહેના સઘળા ખજાનાનો નાશ થશે એ બીહીકથી અલફખાંએ આગ તુરત હોલવી નાંખવાનો પોતાના સિપાઈઓને હુકમ કીધો. તે વખતે હજારો માણસો મેહેલ ઉપર તુટી પડ્યાં, અને આગની ગડબડાટમાં લુંટવાનો સારો વખત મળશે એવી ઉમેદથી ઘણા જોરથી કામે વળગી ગયાં. જોતજોતામાં તેઓએ મહેલનો બળતો ભાગ તોડી નાંખ્યો, અને પાણીનાં વાસણ પાસેનાં ઘરમાંથી લાવી આગ હોલવવા લાગ્યાં. થોડી વારમાં અંદર જવાનો રસ્તો થયો, અને થોડા બહાદૂર મોતને ન ગણનારા સિપાઈઓએ મેહેલમાં પેસી રાણીઓને તથા બીજાં કેટલાંએક માણસોને ખેંચી બહાર કાઢ્યાં, અને પડેલી આખડેલી વસ્તુઓ જે હાથમાં આવી તે લઈ આગળ ચાલ્યા. આ વખતે કૌળારાણી છેક નિરાશ થઈ ગઈ, તથા શત્રુના હાથમાં પડવાની ફિકરમાં પડી, પણ તેણે હિંમત મૂકી નહીં, તે એક ઓરડામાં ભરાઈ, અને તેને માંહેથી બંધ કીધો. પછી જલદીથી તેણે સ્ત્રીને વેશ કાઢી નાંખીને પુરૂષનાં વસ્ત્ર પહેર્યા, પોતાની ખુબસુરતી ઢાંકવાને વાસ્તે મ્હોં ઉપર રંગ લગાડ્યો, અને તેનું રૂપ બદલી નાંખીને અને ઢાલ તરવાર બાંધીને ઓરડાની બારીએ ઉભી રહી. ત્યાં આવીને “બળું છું રે બળું છું” એવી બુમ પાડી, તે ઉપરથી નીચેના સિપાઈઓએ દયા લાવીને એક સીડી મૂકી, તે ઉપરથી તે નીચે આવી. તે કોઈ રાજાનો ખવાસ હશે એમ જાણી તેના ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહી, અને તે વખતે સઘળાઓનું મન મેહેલ લુંટવા તરફ હતું, તેથી તેઓએ બીજી કશી વાત ઉપર લક્ષ આપ્યું નહી. થોડી વાર આણીગમ તેણીગમ ફરીને તે ત્યાંથી જતી રહી, અને એક તેના ઓળખીતા રજપૂત પાસે જઈ તેનો ઘોડો માગી લીધો. તે ઘોડો ઘણો તેજસ્વી તથા જલદ હતો તે ઉપર સ્વાર થઈ તથા રસ્તામાં કોઈ ઉપદ્રવ ન કરે માટે રજપૂતનો વેશ બદલી મુસલમાનનો વેશ ધારણ કરી શહેરના દરવાજા બહાર તે સહેલથી ચાલી ગઈ.

રાજ્યમેહેલ જલદીથી છંટાઈ ગયો. બીજી રાણીઓ જીવતી નીકળી, સઘળો ખજાનો સહીસલામત હાથ લાગ્યો. અને શેહેરમાં સઘળી વાતે બંદોબસ્ત કરી અલફખાંએ અલાઉદીન પાદશાહની તરફથી ગુજરાતનું રાજ્ય કરવા માંડ્યું, રૂપસુંદરી માધવને જઈને મળી. ઘણા દહાડાના વિયોગ પછી તે ધણી ધણિયાણી પાછાં મળ્યાં. તેઓ ભેટ્યાં, રડ્યાં, તથા હર્ષનાં બીજાં સઘળાં ચિહ્‌નો તેઓએ દેખાડ્યાં. વરવહુનો સંબધ એવી રીતનો છે, અને જ્યારે તેઓની વચ્ચે નાનપણથી પ્રીતથી મજબુત ગાંઠ બાન્ધાયલી હોય છે ત્યારે તે છુટવી ઘણી મુશ્કેલ થઈ પડે છે, મૃત્યુની તલવારથી જ્યારે તે કપાઈ જાય છે ત્યારે બેમાંથી જે જીવતું રહે છે તેના અંત:કરણની દોરી કોઈ વાર જોરથી તુટી જાય છે, અને તે વખત જે ભારે કષ્ટ થાય છે તેનો વિચાર જેને દુ:ખ વીત્યું હોય તે જ કરી શકે. માધવની બાબતમાં તે ગાંઠ કાંઈ તુટેલી ન હતી, પણ તુટ્યા બરોબર હતી. રૂપસુંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક ન હતો, તે માધવને સારી પેઠે માલમ હતું. બંનેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઉતરી ગયું ન હતું, પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેનું તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી જલદીથી તથા સેહેલથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા ન હતી, જ્યારે રૂપસુંદરી આગળના જેટલા જ હેતથી તેને ભેટી, ત્યારે તેના હર્ષનો કાંઠો રહ્યો નહી. રૂપસુંદરીના પ્યારમાં પણ કાંઈ ફેરફાર થયલો ન હતો. જેટલી હોંસથી રાજા કરણે તેને પોતાના મહેલમાં બળાત્કારે પકડી મંગાવી, તથા જેટલો પ્યાર તેને જોવાથી રાજાના મનમાં આવ્યો હતો, તે હેાંસ તથા પ્યાર જો પાછળ પણ કાયમ રહ્યાં હોત, તો તે માધવ પર આટલી પ્રીતિ રાખત કે નહી એનો જવાબ આપવો કઠણ છે. પણ જ્યારે તેના અન્તઃકરણમાંની પ્રીતિનું નિર્મળ ઝરણ પોતાનો માર્ગ બદલીને બીજી દિશાએ વહ્યું ન હતું, તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાને કોઈ બીજાએ દાવો કીધો, ન હોતો; ત્યારે તે ઝરણે માધવની તરફ જ અસલ માફક વહ્યાં કીધું, અને તેનું હેત માધવ ઉપર કાયમ રહ્યું એટલું જ નહી, પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો. એવી સ્થિતિમાં તે બંને મળ્યાં, અને તેઓનું અસલનું હેત તેટલા જ જોરથી પાછું આવ્યું. માધવે શાસ્ત્રીઓની સભા કીધી, અને બ્રાહ્મણની સ્ત્રીનો રજપૂત સાથે બળાત્કારથી સંસર્ગ થયો તેનો દોષ નિવારણ કરવાનું પ્રાયશ્ચિત્ત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મન માનતી દક્ષણા આપી, અને લાડુનું ભોજન કરાવી, સઘળા બ્રહ્મદેવને સંતોષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહી તેથી માધવ તથા રૂપસુંદરીએ પાછો પોતાનો ધણીધણિયાણીને સંબંધ જારી કીધો. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્તમાન નગર (વઢવાણ)માં એક વાવ બંધાવી તે હજી તેના નામથી ઓળખાય છે.

ગુજરાત સઘળું એક લડાઈમાં જીતાયું તે સમાચાર પાદશાહને હવે કહેવડાવવાના હતા, પણ એકલી ખબર મોકલ્યાથી અલાઉદ્દીન જેવો પાદશાહ પ્રસન્ન થશે નહી એવું અલફખાંને નક્કી હતું, તેણે ગુજરાતની કાંઈ નવાઈની વસ્તુ મોકલવી જોઈએ, અને બ્હાના દાખલ કેટલોએક તે દેશનો ખજાનો પણ મોકલવો જોઈએ. અલાઉદ્દીનનો સ્વભાવ વિષયી હતો, તે અલફખાંને સારી પેઠે માલમ હતું; માટે કોઈ અતિ રૂપાળી સ્ત્રી પાદશાહને જો નજર કરાય તો તેના જેટલો બીજા કશાથી તેને સંતોષ વળે નહીં એમ તે અનુભવથી જાણતો હતો, કરણ રાજાની પટરાણી કૌળારાણીની ખુબસુરતી આખા ભરતખંડમાં પ્રસિદ્ધ હતી. રૂપમાં તથા બીજી હોશીઆરીમાં તે અનુપમ હતી, તથા તેની કીર્તિ દિલ્હી સુધી ફેલાઈ હતી. એવી કૌળારાણીને દિલ્હીમાં પાદશાહ પાસે મોકલવાને અલફખાને ઠરાવ કીધો, અને તે મતલબસર તેણે તેની સઘળે ઠેકાણે શોધ કરાવી, જ્યારે સઘળી તેની તપાસ વ્યર્થ ગઈ અને જ્યારે તેને બીજી રાણીઓથી ખબર મળી કે કૌળારાણી તો શેહેર મૂકીને જતી રહી, ત્યારે તે ઘણો નિરાશ થયો, અને હવે શું કરવું તે તેને સુઝ્યું નહીં. આટલા મોટા લશ્કરમાંથી તથા બળતા મેહેલમાંથી તે શી રીતે નાસી ગઈ, ને તે ક્યે રસ્તે અને કયાં ગઈ, તેના કાંઈ પણ સમાચાર તેને મળ્યા નહી. પણ તેટલા ઉપરથી અલફખાં હિંમત હાર્યો નહી પણ તે જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવાને તેણે ચોતરફ સવારો મોકલ્યા.

જ્યારે અલફખાં કૌળારાણીની રાહ જોતો હતો તે વખતે તે એકલી ઘોડા ઉપર બેસીને પોતાના બાપના દેશ ઝાલાવાડ તરફના રસ્તા ઉપર ઘણી ઉતાવળથી મુસાફરી કરતી હતી. રૂપ હોવાથી જે દહેશત સ્ત્રી જાતને હોય છે તે કૌળારાણી ઉપર આવી પડી. તે મહા ફિકરમાં પડી, ઘોડો દોડાવતી દોડાવતી આગળ જતી હતી, પણ તેનું રૂપ જણાઈ આવશે એવી તેને ક્ષણે ક્ષણે ધાસ્તી પડતી. વેશ બદલ્યો હતો તે છતાં પણ તેને કોઈની સામું જોવાની હિમ્મત નહીં હતી તે ધોરી રસ્તો મૂકી આડે અવળે ઠેકાણેથી જંગલ, પહાડ, તથા વિકટ રસ્તે જતી હતી, તે કોઈ પણ ગામમાં વાસો કરતી ન હતી; પણ કોઈ જંગલમાં એકાંત સ્થળ જોઈ ત્યાં રસોઈપાણી કરી બપોર ગાળતી, તથા તેવે જ ઠેકાણે રાત્રે વાસો કરતી. જે બાગબગીચામાં રહેતી, જેની આગળ રોજ ફુવારા ઉડી રહેતા, જેને ઠંડક કરવાને ખવાસો રોજ પંખા નાંખ્યા કરતા, જેને શરીરે ચંદન અરગજાનો લેપ થતો, તેને હમણાં ફાગણ મહીનાના બપોરનો સખત તડકો ખમવો પડ્યો, જે હમેશાં સુખપાલમાં બેસીને ફરતી તેને ઘોડાની સખત સ્વારી કરવી પડી. જે સવામણ રૂની તળાઈમાં સુતી, તથા જેને નિદ્રા લાવવાને હજારો ઉપાય કરવા પડતા તેને હમણાં ભોંય ઉપર સુકાં પાતરાં ઉપર, અથવા વખતે ઝાડ ઉપર સુવું પડ્યું, અને ત્યાં તેને રાજપલંગ કરતાં મીઠી ઉંઘ આવતી, જે રોજ પકવાન અને બીજાં મિષ્ટ ભોજન આરોગતી તે હમણાં વનફળ અથવા કાંઈ હલકું પાતળું ખાઈને દેહને આધાર આપતી. જેને જરા પણ કામ કરવું પડતું ન હતું, જેનો હુકમ બજાવવાને સેંકડો ખિદમતગારો રજુ રહેતા તેને હાથે રાંધવું પડતું, તથા બીજું સઘળું કામકાજ કરવાને પોતાની જાત સિવાય બીજું કોઈ ત્યાં ન હતું. કેટલાએક દહાડા સુધી એ પ્રમાણે મુસાફરી કરતાં કરતાં એક મોટા અરણ્યમાં તે જઈ પહોંચી, તે જંગલ ઘણું ઘોર તથા બીહામણું હતું, તેમાં ઝાડો તો એટલાં હતાં કે ખરે બપોરે ત્યાં તડકો આવી શકતો નહી, તથા ઝાડોની ઘટાથી ત્યાં સદા અન્ધકાર રહેતો. આગળ પાછળ નાના મોટા ડુંગરો હતા, તથા તેમાંથી નિર્મળ નદીઓ વહેતી હતી. પવનથી ઝાડનાં પાતરાં હાલતાં તેથી ત્યાં નિરંતર શબ્દ થયા જ કરતો, તેની સાથે જ્યારે રાત પડતી ત્યારે શિયાળવાં મોટે અવાજે રડતાં, વાઘ બરાડા પાડતા, તથા બીજાં જંગલી પશુઓ જુદા જુદા અવાજ કરી રાતને ભયંકર કરી નાંખતાં. એવા જંગલમાં કૌળારાણી ભયભીત થઈ ભટકતી અને દેહેશતને લીધે તેનું શરીર વખતે વખતે થરથર ધ્રુજતું. તેને રાની પશુઓથી એકલો ડર હતો એમ ન હતું. તે ઓળખાઈ આવે, અને તેને પકડીને પાછા પાટણ લઇ જઈ મ્લેચ્છ લોકોના સરદારને કોઇ સ્વાધીન કરે તે પણ દેહેશત તેને હતી; વળી તેને ચોરની તરફથી પણ ઘણી ધાસ્તી હતી. એક તો તેના અંગ ઉપર ઘણાં કિમતી ઘરેણાં છુપાવીને રાખેલાં હતાં તે લઈ જવાની લાલચથી ચોર લોકો તેનો કદાપી જીવ લે; અને બીજું તે સ્ત્રી હતી, અને પુરૂષને વેશ માત્ર લીધેલો હતો, તે વેશ નીકળી ગયા પછી તેની ખરી જાત ઉઘાડી પડી આવે, તથા દુષ્ટ લોકો તેને ઉપદ્રવ કરે, તથા તેની પવિત્ર કાયાને ભ્રષ્ટ કરે એ પણ તેને ઘણી ફિકર હતી. એ પ્રમાણે તેને ચોતરફથી ચિંતા વળગેલી હતી. તો પણ તેણે હિંમત તથા ધૈર્ય રાખી આગળ ચાલ્યાં જ કીધું; તથા રસ્તામાં આવતા કોઈ પણ ગામમાં અટકી નહી. સારા ભાગ્યે તેણે મુસલમાનનો વેશ ધારણ કીધેલો હતો. તે વખતે તે લોકોનો એટલો બધો ત્રાસ પડી ગયલો હતો કે રસ્તામાં કોઈએ તેનું નામ પૂછયું નહીં. એથી ઉલટું તે જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેને માન પ્રતિષ્ઠા મળતાં ગયાં; તથા તેને જે જોઈતું તે સઘળું તેના ડરથી લોકો તુરત આણી આપતાં. પણ એ પ્રમાણેનું નિરાંતપણું ઘણા દહાડા સુધી કાયમ રહ્યું નહીં. જ્યારે તે જંગલ વટાવાની તૈયારીમાં હતી, અને જ્યારે તેની સઘળી દેહેશત તથા ફિકર ચિંતા મટવા ઉપર આવી હતી, તે વખતે એક દહાડો જળ વજળ દહાડો રહ્યો હતો તેવામાં તેની સામે દશ માણસનું ટોળું આવી ઉભું રહ્યું. અને “ લુગડાં ઉતાર ” એવી રીતે તેને મોટે સાદે કહ્યું, કૌળારાણીના શરીરમાંનું તમામ લોહી પાછું હઠીને અન્તઃકરણમાં જઈ રહ્યું, અને ઘોડા ઉપરથી હમણાં પડી જશે એવો વખત આવ્યો. પણ તેણે તે વખતે રજપૂતાણીનું નામ રાખ્યું. હિમ્મત પકડીને તે ઘણી ધરપતથી બોલી: “હું મુસલમાન સવાર છું. અમારા લોકોએ તમારા કરણ રાજાને હરાવ્યો, તથા કતલ કીધો છે; અમે આખું ગુજરાત તાબે કીધું છે; અને અમે હમણાં સઘળા મુલકના ધણી છીએ, અમારા સરદાર સાહેબે મને ગુજરાત સર કીધાના સમાચાર દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખિલજીને પહોંચાડવા મોકલ્યો છે. હું પાદશાહી કામ ઉપર જાઉં છું. માટે જે તમે મને ઈહાં રોકશો, મને લુંટશો, બીજી રીતે ઉપદ્રવ કરશો, અથવા મારો જાન લેશો તો તમારી કમબખ્તી આવી એમ જાણવું. તમે પાદશાહને ઓળખો છો ? તે આખી જહાનનો રાજા છે. જો તમે તેના માણસને છોડશો તો તમે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં હશો તોપણ ત્યાંથી તે તમને શોધી કાઢશે; તમારાં ઘરબાર બાળી મૂકશે, તમારાં બઈરી છોકરાંને કાપી નાંખશે; અને તમને પણ રીબી રીબીને મારી નાંખશે. માટે દૂર રહો, અને મને તાકીદથી જવા દો, મારી પાછળ બીજા કોઈ આવે તેને ગમે તે કરજો, પણ જો તમને તમારી તથા તમારાં વહાલાંઓની જીન્દગી પ્યારી હોય તો મને છેડશો માં.” આ ધમકીથી ચોરના મન ઉપર જરા પણ અસર થઈ નહી કૌળારાણીના આ ધર૫તના શબ્દ પવનમાં ઉડી ગયા, અને તેથી દેહેશત ખાવાને બદલે આ રાનના પુત્રો ખડખડ હસી પડ્યા. તેઓમાંથી એક આગળ આવી બોલ્યો, “અમારા મનને હિન્દુ અને મુસલમાન, પાદશાહનો માણસ કે ગામનો રાવણીઓ, એ સઘળા સરખા છે. અમે કાંઇ માણસને જોતા નથી, પણ તેની પાસે જે હોય છે તે ઉપર ધ્યાન આપીએ છીએ. તમારા પાદશાહને અમે એાળખતા નથી, અને ઓળખવો પણ નથી. તે અલુદીન ખીચડી કે અલુદીન ઘી ગમે તે હોય તેની અમને શી ચિન્તા છે; અને તે અમને મારી નાંખશે તેની અમને કાંઈ ફિકર નથી, અમે મોતની પડોશમાં રહીએ છીએ, અમે તો મોતની સાથે હળી ગયલા છીએ; મોત તો અમારો સોબતી છે, તેથી અમે તેનાથી જરા પણ ડરતા નથી. તારા પાદશાહથી અને બીજા કોઇથી મોત કરતાં બીજું શું વધારે થઈ શકવાનું છે, માટે ઉતાર લુગડાં, નહી તો બળાત્કારે લઈ લઈશું.” હજી કૌળારાણીએ લુગડાં ઉતારવાની આનાકાની કીધી તેથી તે ચોરને ગુસ્સો ચઢ્યો અને તેઓએ પાસે આવીને તેને ઘોડા ઉપરથી પાડી નાંખી, અને તેનાં લુગડાં કાઢવા માંડ્યાં. ઉપરનું વસ્ત્ર ખસેડતાં મોતી તથા હીરાના હાર જોઇને ચોરોને ઘણું આશ્ચર્ય લાગ્યું, પણ તેવામાં તેનામાં જ્યારે સ્ત્રીનાં લક્ષણ તે ભીલ લોકોએ જોયાં ત્યારે તેઓ એવા તો વિસ્મિત થયા કે ત્યાં હવે શું કરવું તેનો વિચાર કરતા જ ઉભા રહ્યા. કૌળારાણી બેશુદ્ધ થવા જેવી થઇ ગઇ અને અકળામણમાં તે બોલી ઉઠી: “ શિવ શિવા શિવ ! રે ભગવાન ! આ શી અવસ્થામાં આવી પડી છું ! હું કોણ અને આ ભીલ લોકો કોણ ! કોઈ વખત ઉપર તેઓ મારી સામું પણ જોઇ શકતા ન હતા, અને આજે તેઓ મારું આટલું અપમાન કરે છે. અરે મારા ભર્તાર ! અરે કરણ રાજા ! તું શા માટે જ્યાં હોય ત્યાંથી આવીને તારી પરમ પ્રિય સ્ત્રીનું રક્ષણ કરતો નથી ? અરે યમરાજા ! જો મારો ધણી તારી હદમાં હોય તો તેને ત્યાંથી જલદીથી મોકલી દે કે તેની પટરાણીને આ વખતે તેની તલવારના જોરથી આ દુષ્ટ ચોરોના હાથથી મૂકાવે.”કૌળારાણીના આ શબ્દ સાંભળીને ભીલ લોકો ત્રાસ પામ્યા, અને તેઓના મનમાં ખાતરી થઈ કે એ કરણ રાજાની રાણી હશે, તેના દરજ્જા ઉપરથી તથા તેના શરીર ઉપર જે ઘણાં મૂલ્યવાન ઘરેણાં હતાં તે ઉપરથી, જો તેઓના નાયકને ખબર કીધા વિના તેને લુંટી લે, અને સઘળો માલ પોતે રાખે તો નાયક ઘણો કોપાયમાન થાય, અને કાયદો તોડવાની તેઓને ભારે શિક્ષા થાય, એ વિચારથી તેઓએ તેને નાયક પાસે લઈ જવાનો ઠરાવ કીધો. પણ તેઓમાંથી એક જે બીજા કરતાં વધારે લોભી હતો તેને એ વાત ગમી નહી. નાયક પાસે લઈ જઈશું તો તે સઘળું લઈ લેશે, અને તેઓને તેમાંથી ઘણું થોડું મળશે એ વિચારથી તેણે તેના સોબતીઓને કહ્યું –“શું જોયા કરો છો ? તેનું માથું કાપી નાંખો, સઘળાં લુગડાં ઘરેણાં ઉતારી લો; અને તેના મડદાને કોઈ ઠેકાણે ફેંકી દો, નાયક પાસે લઈ જવામાં આપણને શો ફાયદો છે?” બીજા ભીલ લોકોનો અભિપ્રાય તેના જેવો ન હતો. એક સ્ત્રી અને તે વળી આવી મોટી રાણી તેને નકામી મારી નાંખતાં તેઓનું દીલ ચાલ્યું નહી. વળી ઘરેણાં એટલી બધી કિમ્મતનાં હતાં કે વેચવા જવાથી પકડાઈ જવાય, અથવા એ વાત છાની રહે નહીં, એવી તેઓની ખાતરી હતી, માટે તેઓએ તેઓના સોબતીની વાત કાને ધરી નહીં. તેઓ કૌળારાણીને માનપૂર્વક ઉંચકી ઘોડા ઉપર બેસાડી પાસેના ગામમાં તેઓના નાયકના ઘરમાં લઈ ગયા.

નાયક એક ઝુંપડામાં એક ખાટલા ઉપર બેઠેલો હતો. તેની ઉમર ત્રીશ અને ચાળીશની વચ્ચે હતી, પણ તેનો ધંધો ભટકવાનો, તથા જોર વધારે એવો હોવાથી તે પચીશ ત્રીશ વર્ષની વચ્ચેની ઉમરનો હોય એવડો દેખાતો હતો. નાયકને રામ રામ કરી સઘળા ચેારોએ કૌળારાણીની પેહેલેથી તે છેલ્લે સુધી તમામ હકીકત કહી, અને તેને સ્વાધીન કીધી. નાયકે ચોરોને ઘણી શાબાશી આપી, અને થોડા દહાડા પછી તેઓને ભાગ આપવાની કબુલાત આપીને તેઓ સઘળાએાને વદાય કીધા.

જ્યારે નાયક એકલો રહ્યો ત્યારે તેણે કૌળારાણીની તરફ જોયાં કીધું. તેના મનમાં અનેક વિકારો થવા લાગ્યા અને તેની સાથે લગ્નથી જોડાઇ તેને સુખી કરવા તે કૌળારાણીને સમજાવવા લાગ્યો. કૌળાદેવી બીચારી નિરાધાર હતી. તે વખતે તેની વહારે ધાય એવું કોઈ નહોતું તેથી તે કાંઈ પણ બોલ્યા વિના ઉભી રહી. રાત પડી અને નાયક રોજ કરતાં કાંઈક વધારે અફીણ ખાઈ સુતો તે જોઈ કૌળાદેવી ઉઠી અને જગદંબાની સ્તુતિ કરી પોતાની પાસે ખંજર સંતાડી રાખ્યું હતું તેવડે તે નાયકને કારી જખમ મારી તેને પળવારમાં યમ શરણ મોકલી દીધો. પછી પોતે નાયકનાં લુગડાં પેહેરી વાડામાં ગઈ. ત્યાં તેના ઘેાડામાંથી એક સારો જલદ ઘોડો પસંદ કરી તે ઉપર સ્વાર થઈ રાત્રે ને રાત્રે આગળ ચાલી. નાયક જાણીને તેને કોઈએ હરકત કીધી નહી, અને સવારે જ્યારે નાયકના ઘરનાં માણસોને તેના મોતની ખબર પડી, અને ત્યાર પછી તે ખબર આખા ગામમાં પથરાઈ, અને ગામના કેટલાએક લોકો કૌળારાણીને પકડવાને નીકળ્યા, ત્યારે તે ઘણે આઘે ચાલી ગઈ હતી. કૌળારાણીને ખાતરી હતી કે સવારે ગામના લોકો તેની પાછળ લાગશે, અને જો તે આગળ ચાલ્યાં કરશે તો કોઈ દહાડો પણ તે પકડાઈ જશે. એ દેહેશતથી એક ગામ આવ્યું ત્યાંના રાજા પાસે થોડા દહાડા સુધી રહેવાનો તેણે ઠરાવ કીધો. રાજાની આગળ તેણે પોતાની સઘળી હકીકત કહી, અને તે સાંભળીને તેને એટલી તો દયા આવી કે પોતાને માથે ભારે જોખમ ખમીને તેને રાખવાનું તેણે કબુલ કીધું, સંકટમાં આવી પડેલા માણસોને સહાયતા ન કરવી એમ કેમ થાય ? તેમાં વળી આશ્રય માગનાર સ્ત્રી એટલે ના કહેવી એ તો મુશ્કેલ જ.

જ્યારે કૌળારાણી તે ગામમાં શત્રુના ભયથી બચી, તે વખતે ભીલના નાયકના માણસો ઘોડા ઉપર બેસીને તેને પકડવાને આવતા હતા. એ ભીલ લોકોને, અલફખાંએ પણ તે જ કામને માટે મોકલેલા સવારો મળ્યા. તે બંને ટોળાનાં માણસોએ માંહેમાંહે વાતચિત કરવા માંડી તે ઉપરથી મુસલમાન સવારોની ખાતરી થઈ કે જે રાણીને તેઓ શોધે છે તે જ નાયકને મારનાર છે. એ સઘળા તે ગામ તરફ ચાલ્યા, પણ રસ્તામાં તેઓ બન્નેની વચ્ચે મોટી તકરાર થઈ. જો કૌળારાણી પકડાય તો તેને પોતાના ગામમાં લઈ જવી, અને નાયકનાં બઈરાંછોકરાંની સમક્ષ તેનો રીબીરીબીને પ્રાણ લેવો એવો તે ભીલોનો મનસુબો હતો. મુસલમાન સવારોને એવો હુકમ મળેલો હતો કે તેને જીવતી પકડીને અલફખાંની રૂબરૂ રજુ કરવી. હવે એ બે વાત શી રીતે બને? માટે તેઓ માંહેમાંહે તકરાર ઉપરથી ગાળાગાળી ઉપર આવ્યા, અને તેમ કરતાં મારામારી ઉપર વાત આવી ગઇ. બંને તરફના કેટલાક માણસો કપાઇ ગયા, અને જો બંને તરફ બે વૃદ્ધ માણસો વચ્ચે પડ્યા ન હોત તે તેઓ સઘળા ત્યાં અનંતકાળ પણ વાસ કરત; કૌળારાણી સુખેથી પોતાના બાપ પાસે જઈ પહોંચત; અને અલફખાં ઘણો જ નાઉમેદ થઈ જાત. પણ એમ થવા દેવાની ઈશ્વરની મરજી ન હતી. બે વૃદ્ધ માણસોએ એવું સમાધાન કીધું કે જે લોકો તેને પહેલી પકડે તેઓ તેને લઈ જાય. બંને તરફના માણસોએ એ વાત કબુલ કીધી, પણ મુસલમાન સવારો મનમાં ભીલો ઉપર ઘણાં ખીજવાઈ રહેલા હતા, અને જે કદાપિ રાણી ભીલોના હાથમાં આવશે તો તેઓ તેને લઇ જશે, તેઓની સઘળી મહેનત નિષ્ફળ જશે, તથા અલફખાંને ખુશ કરી પોતાનો ફાયદો કરી લેવાનો આવો પ્રસંગ ફરીથી આવશે નહી, એ સઘળી વાત ઉપર નજર રાખીને તેઓએ ભીલ લોકોને નક્કી કરવાને નિશ્ચય કીધો. પછી એક રાત્રે જ્યારે તેઓ સઘળા સુતેલા હતા, તે વખતે મુસલમાન સવારો સંકેત પ્રમાણે એકદમ ઉઠ્યા, અને સઘળા ભીલ લોકોને કતલ કીધા. એ નિર્દય કામ ઉંઘતાં માણસો ઉપર કીધા પછી તેઓ ગામમાં પેંઠા, અને ત્યાં રાણીની તજવીજ કરવા લાગ્યા. દૈવયોગે એવું બન્યું કે રાજાના હજામને તેઓએ તે બાબદ પુછ્યું. સઘળા દેશોમાં હજામની જીભ ઘણી લાંબી તથા પેટ ઘણું નાનું હોય છે, તે પ્રમાણે તેણે તેઓને કહી દીધું કે ઈહાંના રાજાના મહેલમાં એક બે દહાડા થયાં એક પરેાણો આવેલ છે તેને રાજાજીએ ઘણો સત્કાર કીધેલો છે. સવારોને નક્કી થયું કે એ જ કૌળારાણી હશે તેથી તેઓએ રાજાને તુરત સંદેશો મોકલ્યો કે જે નવો માણસ તેની પાસે આવેલો છે તેને અમારે સ્વાધીન કરવો શરણાગતને શત્રુના હાથમાં આપી દેવો એ સમાન બીજું કાંઈ મોટું પાપ નથી એમ સમજીને, તથા કૌળારાણીએ ઘણા કાલાવાલા કીધા તેથી દયા લાવીને રાજાએ થોડી વાર આનાકાની કીધી, પણ જ્યારે સવાર લોકોના ઉપરીએ ફરી કહેવડાવ્યું કે અમારા કહેવા પ્રમાણે એકદમ કરશો નહી તે આખું પાદશાહી લશ્કર તમારા ગામ ઉપર તુટી પડશે, તમારું સઘળું રાજ્ય ઉજડ કરશે, અને તમને ગાદીએથી ઉઠાડી મુકશે, ત્યારે તે રાજા ભય પામ્યો, અને કૌળારાણીને એ સઘળી વાત સમજાવીને કહી. તેણે તે ગામમાંથી નાસી જવાનો ઠરાવ કીધો. પણ જો તે એ પ્રમાણે કરે તો મુસલમાન લોકોના મનમાં એવું આવે કે તેણે તેને જાણી જોઈને જવા દીધી અને તેઓ તેના ઉપર તેઓનો સઘળો ક્રોધ કાઢે, તેથી તેણે દરવાનોને હુકમ આપ્યો કે જે અજાણ્યો માણસ ગામ બહાર જવાનું કરે તેને પકડી પાદશાહી સવારોના ઉપરિને સ્વાધીન કરવો. તે પ્રમાણે જ્યારે કૌળારાણી તે રાત્રે ગામ બહાર જવાનું કરતી હતી તે વખતે દરવાને તેને પકડીને તે ઉપરિને સોંપી દીધી. તે મરદના વેશમાં બઈરી છે એ જાણવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને જ્યારે એ પ્રમાણે નક્કી થયું ત્યારે તે કરણ રાજાની નાસી ગયેલી રાણી સિવાય બીજું કોઈ નહીં હોય એમ તેઓની ખાતરી થઈ, પોતાની મહેનત સફળ થઈ, તથા અલફખાં તેઓના ઉપર ઘણો પ્રસન્ન થશે એવી ઉમેદથી તેઓ કૌળારાણીને લઈ ઘણી ઝડપથી પાટણમાં આવી પહોંચ્યા. કૌળારાણી જીવતી હાથ આવી, તથા તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલીશ તો તે ઘણો ખુશ થશે એ વિચારથી અલફખાંના મનમાં હર્ષ માયો નહી. કૌળારાણીને બીજે દહાડે રાજમહેલમાં લાવ્યા, અને ત્યાં તેને બીજી રાણીઓ પાસે એળખાવી. તેની ચામડીને રંગ તડકાથી શામળો પડી ગયો હતો, તથા તેણે જે મ્હોંડા ઉપર રંગ લગાડ્યો હતો તેની અસર હજી સુધી કાયમ હતી, તેથી તેની ખુબસુરતી અલફખાંના સાંભળ્યા પ્રમાણે જણાઈ નહી, બીજી રાણીઓના કહેવાથી તેને એક મહિને મહેલમાં રહેવા દીધી; અને એ પ્રમાણે થવાથી તેની મરજી વિરૂદ્ધ તેનું સુંદર રૂપ પાછું આવ્યું. મહીનો વીત્યા પછી અલફખાંએ તેને જ્યારે જોઈ ત્યારે તેનામાં આવો ફેરફાર થયલો જોઈને તે ઘણો જ આશ્ચર્ય પામ્યો, અને તેની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી કાંતિ જોઈને તેનો જીવ ઘણો આકુળવ્યાકુળ થયો, તેની આગળ તે સૌન્દર્યના એક માનવી અવતાર, આરસની એક પુતળી જેવી ઉભી રહી, તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલી દેવાનો તેનો મનસુબો છે તે તેને કહી સંભળાવ્યો, અને દિલ્હીમાં જઈ પાદશાહના ઝનાનખાનામાં મુખ્ય રાણીની મિસાલે રહેવા જવાની તૈયારી કરવાને તેણે કહ્યું. કૌળારાણી માઠામાં માઠા સમાચાર સાંભળવાને તૈયાર જ હતી, તેથી આ વાત જાણતાં જરા પણ તે ગભરાઈ નહીં, પણ ડોકું હલાવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ, થોડા દહાડા પછી શેહેરમાં એક મોટી ધામધુમની સાથે સવારી નીકળી ત્યારે જ પાટણ શેહેરના લોકોએ જાણ્યું કે ગુજરાતની રાણી, અતિ રૂપાળી કૌળાદેવી, મ્લેચ્છ પાદશાહનો મેહેલ શણગારવા જાય છે. લોકો તે સવારી જોવાને કોઈ બહાર આવ્યા નહી. સઘળા ઘણા મોટા શોકમાં પડ્યા. કૌળારાણીનું અન્તઃકરણ લોકોની પ્રીતિ જોઈને ભરાઈ આવ્યું, અને પોતાની જન્મભૂમિ હવે છોડવાનો વખત આવ્યો, એ દુ:ખથી તેના મન ઉપર એવી તે અસર થઈ કે તે ઘણા જોરથી રડી, અને નીચે પ્રમાણે તેણે વિલાપ કીધો-

લલિત છંદ.
કરણ રાજ ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને, શીદ રે રહ્યો;
કરમ ફુટિયું, પ્રાણ જાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
તુજ વિના હવે, અન્ન ના ગમે, મન તણી મહા, વેદના દમે;
દરદ તાહરૂં, ના ખમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
કરમની કથા, જાય ના કથી, દુઃખ સમુદ્રનો, પાર તે નથી;
ફિકર ચિત્તમાં, ના સમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
કનકદેવલી ? ક્યાંહ રે હશે; રઝળતી મુકી, ક્યાં હવે જશે;
ધીરજ છાતીમાં, ના રખાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
રજપૂતો ! તમે, ન્યાત જાત રે, સકળ સ્નેહિઓ, માત ભ્રાત રે;
વિરહ તે તણો, કેમ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે,
પરમ પ્રિય જે, બાપ તેમણે; કસર ના કિધી, મૂજ કારણે;
વચન મીઠડાં, ના ભુલાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
ગૂર્જર દેશ ! રે, જન્મભૂમિ તું; અવતરી ત્યહાં, પાંપણી જ હું;
અધમ લોકને, હાથ જાઉં રે, સુખ સદા ગયું, હાય હાય રે.
ધરમ મૂકિને, મ્લેચ્છ થાઉં છું; કુળવિચાર સૌ, છોડી જાઉં છું;
તુરકડા વચ્ચે, ના વસાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
ઘરધણી મુઓ, દીકરી ગઈ; નગર છોડિઉં, ભ્રષ્ટ તો થઈ;
અખુટ પાપ તે, ના કપાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
અખિલ વિશ્વમાં, તું જ જે ધણી; અકળ ઈશ જે, છે દયા ઘણી;
તુજ કૃપા થકી, શાંતિ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.