← પ્રકરણ ૨ લું કરણ ઘેલો
પ્રકરણ ૩ જું
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ ૪ થું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૩ જું.

જ્યારે કામજવરથી પીડાયલે કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બીછાના ઉપર તરફડીયાં મારતો હતે તે વખતે બહાર રાતનો અમલ ઉતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરૂણે સોનાની કુંચીવડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સુતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામે વળગવાનો વખત થયો છે. અરૂણ સારથી આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરા મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મ્હોડું સંતાડવા લાગ્યા, ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયલે જ હતો. શુક્રનો તારો જેને વિષે ગામડીયા લોકો કહે છે કે ચંદ્રમા મુઆ પછી એ તેની જગો સાચવશે, તે થોડી મુદત સુધી હિંમત રાખી ઉભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયે. સૂર્ય દેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળામાં ઇંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથીયા પૂર્યા. તળાવોમાં કમળનાં ફુલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાને મળવાને પોતાનાં મ્હોડાં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીનાં ફુલની પાંદડી બીડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંઝાગુંઝ કરવા લાગ્યા. ચંપા, ચંબેલી, સેવતી, માલતી, વગેરે કુલોમાંથી મંદ મંદ સુગંધ શીતળ વાયુની સાથે ઘસડાઈ આવીને નાસિક ઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણે ઠેકાણેથી દિવાકરના ચોપદાર કુકડાઓએ નેકી પોકારી. ચકલીઓ માળામાંથી નીકળી ચીંચીં કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંનાં પોપટ, મેના ઈત્યાદિ પક્ષીએાએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષિઓના શબ્દથી આનંદકારક થઈ રહી, દેવસ્થાનોમાં દેવને જગાડવાને નેાબત તથા શંખ વાગવા લાગ્યા. શહેરમાં ગરીબ લોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓને શોર થઈ રહ્યો. કેટલાએક સવારે,સુતા સુતા પ્રભાતિયાં તથા બીજાં ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મુક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવા વધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મુએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેએાના મ્હોંને જવાબ દેતી ન હતી, કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડીયાં વગેરે બીજાં વાજીંત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધુણતા ધુણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છુટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઉઠી પોતાનાં ઘર વાળીઝાડી પેતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એદી, અફીણી, અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલીયા ઉપર ગબડતાં હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઉઠી દાતણ પાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા, દુકાનદારો તો થોડો નાસ્તો કરી લુગડાં પહેરી હાથમાં મોટી કુંચી લઈ દુકાને જતા હતા. કેટલાએક દુકાન ઉઘાડતા હતા. અને કેટલાએક તો દુકાન ઉઘાડી વાળી ઝાડી, ધોઈ તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાએક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શહેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બહેડાં ઉપર બહેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી પોતાના ધણી, સાસુ, નણંદ વિગેરેની વાતો કરતી ચાલી આવતી હતી, સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને તેઓનાં લુગડાં સાચવવાને સારૂ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહી ધોઈને સ્વચ્છ લુગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા, રાતના રાજા ઘૂડ તથા વનવાગળાં સવાર થવાથી કાગડા વિગેરે બીજાં પક્ષિના ધાકથી ઝાડામાં સંતાઈ જવાને ઉડી જતાં હતાં, ચકોર પક્ષિ તેના સ્વામિ ચંદ્રના અસ્ત પામવાથી કોઈ ગુપ્ત જગ્યાએ ભરાઈ બેઠું હતું. ચાર લોકો પોતાની આશા સફલ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મુકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. મુસાફરો ચાલતા ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. રસ્તામાં ધેાબી બળદ લાદીને આનંદથી ગાતા ગાતા ઘાટ ઉપર જતા હતા. કેટલાએક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં પોતાના ઘોડાને ફેરવવા લેઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરમો દેખાવ થઈ રહ્યો હતો.

એ સવારે માધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મ્હોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી, તેનું લુગડું જથ૨૫થર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીરે આછું આછું ઘરેણું ઘાલેલું હતું તેથી તેની નાજુક તથા ખુબસુરત કાંતિની શોભા બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશીયો હાથે ઉંચકી પોતાની પાસે મુકયો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે, તે અઢાર વર્ષની ભર જુવાનીથી પ્રફુલ્લિત થયલી હતી, અને તેનું નામ રૂપસુન્દરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાતુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઉઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાને માટે નીચે ઉતરેલો હતો, તેથી ધારા પ્રમાણે તેનાથી તેનું મ્હોં જોવાયું નહી, પણ તેને બદલે સાવરણી ખુણામાં પડેલી હતી તે જોઈ ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બીલાડી આડી ઉતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બઈરી જતાં જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવા તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાને તેણે તેને ઘણો સમજાવ્યો, પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાં તે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું, પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું કે ભુંડો ભુંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહી, માટે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.

એ પ્રમાણે વિચાર કરી રૂપસુન્દરી નીચે ઉતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી, એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી, જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો: “શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તો પણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ, તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મ્હોડે છે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી, તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું દાન ઘણું નથી; એક મહોર બસ છે.” રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહેરેલાં તમામ લુગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મુકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં. તેમને વિદાય કીધા પછી થોડું ઘણું દેવપૂજન કરી ભોજનની તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તુરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણી ચોકીદારોને કાપી નાંખે છે.

એ ખબર સાંભળતાં જ રૂપસુન્દરી મૂર્ચ્છાંગત થઈ ભોંય ઉપર પડી. કેટલાએક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખુણે ખોચરે ભરાઈ બેઠા, પણ કેટલાએક શૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચડ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વિગેરે જે જે હથીયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઉભા રહ્યા. રૂપસુન્દરીની આગળ ઢાલ લઈને તેનો દીયર એટલે માધવનો ભાઈ કેશવ ઉભો રહ્યો. તેની ઉમર આસરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફીકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉમર અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટ ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનામાં કસરતથી મેળવેલું વિશેષ બળ હતું તેનું અંગ મજભૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી, અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઉંચા હોદ્દા ઉપર નિમેલો હતો તો પણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખુબસૂરત તથા ગોરા વર્ણનો નહોતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તો પણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તે પણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઉભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ ટુટી પડે તો પણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુન્દરીનું રક્ષણ કરવાને ઉભો રહ્યો. બહારના ચોગાનમાં ગડબડાટ વધ્યો; ઉછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો, તેનું ચાલે તો ઉડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી તેનાથી ત્યાંથી ચસાય નહી. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસો ઘરમાં પેઠાં, અને બારણા આગળ ઉભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યાં. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો, તણે એક ઘાથી આગલા સિપાઈના બે કકડા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું, સિપાઈઓ જરા આંચકો ખાઈ ઉભા, અને પોતાના નાયક સામું જોયું, નાયકે કેશવને કહ્યું, “સાંભળો ભાઈ ! અમે કંઈ ઈહાં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઇચ્છા રૂપસુન્દરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મુગા મુગા અમારૂં કામ કરીને ચાલ્યા જઈશું, નહી તો અમારે નકામી બ્રહ્મહત્યા કરવી પડશે, માટે વિચાર કરીને કામ કરજો. ”કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણ થઈ ગયો. તે બોલ્યો: “જો તારા કૃતઘ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને તેણે લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગર બચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારૂ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહી દે.” તે સાંભળી નાયકે ઇસારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસાવ્યો, પણ એક તસુ ખશ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો ત્યાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હીસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું, આખું અંગ લોહીથી તરબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગવાથી, તથા લોહી વહેવાને લીધે અશકત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈને ઉભો રહ્યો.

કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુન્દરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઉઠી: “શિવ, શિવ, રે ભગવાન આ તે શો દૈવકોપ!” તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી ઉંચકી લીધી, અને ઘરબહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુન્દરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા અને સિપાઈઓ પોતપોતાને કામે વળગ્યા. રાજ્યપાઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સુતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદરીના કેશ છુટા તથા વીખરાઈ ગયલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી, તે પણ આ અકસ્માત્ અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગુંચવાઈ ગયલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દીલમાં ઉતારવાને તે ઘણાએક પ્રયત્ન કરતો હતો.

રાજાની એ સઘળી વાતથી રૂપસુન્દરીના મનનું લેશમાત્ર પણ સમાધાન થયું નહી. તેના હૈયામાં શોકનો ઉભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઉઠવા લાગ્યાઃ– “અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખી નથી, તને પ્રધાનવટું મળ્યું નહતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવી મને સુખ આપ્યું. પાણી માગેલું ત્યારે દુધ આપેલું, અને કોઈ દહાડે મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવા બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તે હવે વહી ગયું ! હવે હું તારૂં મ્હોં ફરીથી ક્યાં જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ? તું જ્યારે ફીકર ચિંતામાં ઘેર આવશે ત્યારે મ્હોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાંખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તો પણ મારા જીવને કલેશ થાય માટે તે જરાં પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાયરે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તેને ભુલવાની નથી, અરે મહાદેવ, ઓ જગતપિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામિને તું સદા આરોગ્ય, સુખી ધનવંત રાખજે. મારા ખરા દીલથી એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દીયરજી, તારે સારૂં તો હું મારાં આંસુએ સાગર ભરૂં તો પણ થોડું છે તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી નહતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારૂં રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારૂં જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારો આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મુઓ, એ સઘળાને બદલો હું તે ક્યારે વાળીશ ? અરે મારી દેરાણી, તારૂં હમણાં કેવું મ્હોડું થયું હશે તે મારી આંખ આગળ આવે છે એટલે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ! તારી ઉમર કેટલી? હજી તો હમણાં સોળ વર્ષ પુરાં થયાં એટલામાં મુવા દૈવે તને રંડાપો મોકલ્યો, હવે એ દહાડા તે કેંમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈ કાંઠો નથી, તારી હવે કોણ પરવરશી કરશે ? તારા પીહેરમાં પણ સુખી નથી; તારી ભાભી તને ટપલા મારી સુકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે, તું જીવતી મોઈ, અને તારા ધણીના તથા તારા મોતની હત્યા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારૂં આપ્યું ? એ મુઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે એ સઘળાં પાપથી હું ક્યારે છુટીશ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યાં જ કરશે તે કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તો પણ નહી હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારૂં. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઉંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે કયા જન્મનાં પાપ નડ્યાં. ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે સઘળાં કુટુંબના માણસોને મન તો હું આજ મરી ગઈ અરે ! તમે મારૂં આજ સ્નાન કરજો, હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે? આખા નગરમાં સૌ મારે ફીટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? રૂપ તો ક્ષણભંગુર, રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટી ઉપાયે પણ મિથ્યા થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી, માટે હવે તો જે માથે આવી પડે તે મૂગે મ્હોડે સહન કરવું.”

એ પ્રમાણે રૂપસુન્દરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમ જ માધવના ઘરમાં ઘણો જ જુદો દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાને દુકાને, ચકલે તથા મોહલે મોહલે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બીચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કેાને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બીચારાને કોઈએ ગણ્યો જ નહીં પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મ્હોકાણ મંડાય એવી સઘળાના મનમાં ફીકર ભરાઈ, વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શેા કોપ થશે એ વિષે ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીએક કહેતી હતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું, કેટલીએક કહેતી હતી કે એ બીચારી શું કરે ? જીવ તો હાથે કેમ કઢાય? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપુત તે રજપુત પણ જીવ કાંઈ કઢાય નહીં, કેટલીએક બોલતી કે રાજા તો રૈયતને માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દુષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજયમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર રાજાના એ બે અપરાધ સાંખવાનો નથી. જોજો થોડા દહાડા પછી એના ઉપર ભારે દુ:ખ આવી પડશે, એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુ:ખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે થશે. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી. માધવનો મહેલ સૂનોસુનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કુતરાં કઠોર સાદે રડતાં હતાં. બાઈડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતા, અને પ્રધાનના ઘરને બારણે નાગર ગૃહસ્થ ડાધુને વેશે કોઇ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જુના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેના ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાશી જાય છે, જુવાર કપાયા પછી ચલીયાં બીજે ઠેકાણે ઉડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બમણતી માખી જતી રહે છે, તેમ તે લીલા વનના સુડા, ઉગતા સુરજને પૂજનારા, આવતાના બોલબાલા તથા જતાનું મ્હોં કાળું કહેનારા, આ વખતે કોઈ માધવને ઘેર ફરકયા જ નહી.

માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા, તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતા. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મુકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કુટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાએકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કુટવાનું કામ વધારે જારી રેહેશે તો રોવા આવેલાંમાંથી બીજું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારી કરવામાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી, તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં આસરે હજારેક એકઠી મળી તરેહતરેહવાર અવાજ કાઢી વિલાપ કરતી હતી, તથા જીવથી બચેલા નોકરો “જીવતા શા સારૂ રહ્યા,” અને “ધણીની પાછળ પ્રાણ શા સારૂ અમારો ન ગયો,” એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો, એક ખુણામાં કેશવની વહુની મા, બેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર ગણાતા છાણથી સ્વચ્છ કીધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.

એ સ્ત્રી તેની ઉમરના પ્રમાણમાં વધારે લાંબી હતી, તેનો રંગ ઘઉંલો હતો; અને અગરજો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તો પણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો, તેના મ્હોડા ઉપર એક પ્રકારનું તેજ પથરાયલું હતું. તેની આંખ એવી તો વિકરાળ તથા હિંગળોક વર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈ પણ પુરૂષ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચેહેરો જોઈને તેની માની પણ તેની પાસે જવાની હિંમત ચાલતી નહતી. તે એકલી પોતાના સ્વામિને એકાગ્ર ચિત્તે જોઇને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું નહતું, ઘણા લોકના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચિન્હ નજરે પડતાં નહતાં, તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુ:ખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મરશે એવી ધાસ્તી ઉભી થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સુધી તો તેનો એવો અભિપ્રાય હતો કે છેાકરી રંડાય તેના કરતાં મરે તે સારૂં. રંડાય તો મ્હોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયાં કરે તેથી તેના માબાપનાં હૈયાનો તાપ હોલવાય જ નહી. એથી ઉલટું તે મરે તો ઘણું દુઃખ લાગે ખરૂં, પણ તે દુઃખનો અંત પણ તે જ વખતે; પછી દેખવુંએ નહી અને દાઝવુંએ નહીં, પણ હવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાઇને જીવતી રહે તે સારૂ. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુ:ખ તો થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાતા વળે. વળી તેને સલાહ પુછવા, સાથે જવા આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુ:ખનું ઓસડ દહાડા, રાંડેલાં બઈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી તો રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય, એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમકે અગરજો તેનું રૂપ તેની જેઠાણીના જેવું નહતું તો પણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાએક ગુણો તે માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા ) ની માએ કીધો, હવે જો છોકરી સતી થાય તો સારું કેટલું ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય, તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેના માબાપને સૌ કોઈ ધન્ય ધન્ય કહે, વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્ધાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય, એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો અને તેની છોકરી જીવે તે કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પુછ્યું, “બેન, લોકમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે, એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉમ્મર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જીવાવાનું નથી, તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાં નાનાં ભાઈ બેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું તારી મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુ:ખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચાર કીધો હોય તે મનમાંથી કાઢી નાંખ અને પરમેશ્વરે જે આફત મોકલી છે તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જો તારો આવરદા ટુંકો જ હશે તો વધારે જીવવું નહી પડે. પણ જાણી જોઈને તે કેમ મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું, તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.”

આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મ્હોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું, તેની આંખ વધારે લોહીવર્ણ થઈ, તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, અને જે મહાભારત દુ:ખ તેના ઉપર આવી પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી:–“હવે જીવવું ? જેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુ:ખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ મારી સાથે જેની વર્તણુક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉમ્મરમાં આવે અકાળ મોતે મારાથી રીસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં હશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારૂં થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્ગતિ કરાવવી, અને જે પૂર્વ જન્મમાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખતિયારમાં હોવા છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુ:ખેપાપે કાઢવા સારૂ તેના અક્ષય સુખનો નાશ કરૂં ? હવે જીવવું ? જીવીને ઘરેણાંનો ત્યાગ કરી રુદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લુગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું? હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો ? હવે જીવવું ? જીવીને લોકોમાં રાંડ કહેવડાવવું, અને રસ્તામાં કોઈને મળું તો તે અપશકુન સમજી પોતાના ઘરમાં પાછા ભરાઈ જાય તે સહન કરવું! હવે જીવવું? જીવીને ઘરમાં બોજો થઈ પડવું અને માબાપના દુ:ખનું મૂળ થવું? હવે જીવવું? જીવીને ભાઈ ભોજાઈના ઠોક ખાવા અને પેટને સારૂ હલકામાં હલકી પરતંત્રતાની અવસ્થા ભોગવવી ! હવે જીવવું ? જીવીને શું સુખ ભેાગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખ ગણું સારૂં. માટે મરવું એ જ સિદ્ધાંત એમાં કંઈ સંશય નહી, માટે મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.” એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે “જય અંબે” “જય અંબે” બૂમ પાડી ઉઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બઈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.

તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબને અને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો. અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ, ત્યાં તેને સ્નાન કરાવ્યું, પછી તેણે પોતાને હાથે ઘણાં જ કિમતી વસ્ત્ર પહેર્યા, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બેન, ભોજાઈ વગેરે સગાંને વહેંચી આપ્યું, તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો, પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છુટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પાછી પોતાના ધણીના શબ પાસે આવી. તેનાં દર્શન કરવાને મોહલ્લાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાં થયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં, અને તેઓને તે આશીર્વાદ દેતી, કેટલીએક વાર ચુપ રહ્યા પછી તે બોલી, “સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરૂં દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપના ઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મોઈ, તેને બીજે જન્મે તે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પાછી વરી, એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.” તે સાંભળી લોકો “જય અંબે” “જય અંબે” બોલ્યા, તે વખતે સતી માએ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તેવડે સઘળી સૈભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા, અને બીજાઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીએક સ્ત્રીઓ પોતાનાં માંદાં છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી તેના ઉપર સતી માનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે તેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહી, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મુક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે જે રડારડ તથા બુમાબુમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહી જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે, સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઉંચકનારા બ્રાહ્મણો તથા સતીનું સુખાસન હતું. લોકો પાછળથી “જય અંબે” “જય અંબે” “અંબે માતકી જય” કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ, થાળી, ઝાંઝ વગેરે વાજીંત્રનો એકત્ર થયલા જેવા પણ બેસુરો તથા ભયાનક નાદ થતો હતો. એવી રીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારૂં સતી માતાના હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં, જે સ્ત્રીઓને સાસરે અથવા પિએર દુ:ખ હતું, જેઓનો ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહી, તે સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો, પછી પુરૂષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સઘળાં તૃપ્ત થયાં. ત્યાર પછી જે કોઈએ કોઈ પણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેએાએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી, આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મુક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં આવ્યું, તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીથરીયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતિ કીધી, “માતા પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હિંગળોકના હાથા મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.” તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતાં અંગારાઓ ખોબે ભર્યો, અને તે શહેર ઉપર ફેંકી બોલ્યાં. “જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્ય પ્રધાનને, તેનું ભલું ઈચ્છનારને, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હમેશને માટે કાઢી મુક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઉંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસ લોકમાં જવા જેવું છે, તોપણ તેનાં અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બેન, સગાં વહાલાં, ઈત્યાદિને જે પરમ દુ:ખ થશે તેનું કારણ જે રાજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની સ્ત્રીને પારકા લઈ જશે; તેની છોકરી દુ:ખ પામી પામીને પરપુરૂષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મુઓ તે કોઈ જાણશે નહીં; તેનું નામ નિશાની કાંઈ રહેશે નહી; તેના મહેલમાં તેના શત્રુ આવી વસશે; અને રાજાના પાપથી રૈયત દુ:ખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહિલ્લપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લુંટાઈ જશે, તેના વ્યાપારીઓ જડમૂળથી ઉખડી જશે; અને કેટલાએક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહી. રે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો, માટે રે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારૂં વાક્ય ફળિભૂત થજો. ” એ વચન સાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહી હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઉઠીને એવો તે સટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જડ્યો નહી અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકને પુરૂષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઉડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મનસુબો કીધો; દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મ્હોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો જેઓને રાજ્યની ઉથલ પાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીને દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસે માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મારો થાય જ, એ નિયમથી બ્હીને ગરીબ નબળા લોકોએ શહેર છેડી પરદેશમાં વસવાને નિશ્ચય કીધો.

એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઉંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડુબતું મુકી ચિતા તૈયાર કરવા માંડી. માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાનો જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાએાની નજર દોડી, બાવળની સાથે અગર તથા સુકડનાં લાકડાંની એક ચોરસ ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢુલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી મળે એવા પદાર્થથી ઢાંકી નાંખી હતી. મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી, અને એક બાજુએથી અંદર પેંસવાનો રસ્તો રાખ્યો હતો. સ્મશાનમાં ગયા પછી સતી સુખાસનમાંથી ઉતર્યા. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ તે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મ્હોં હસતું તો નહીં તો પણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો, તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઉભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાએ નમસ્કાર કીધા, અને સૂર્ય તરફ નજર કરી બોલી –“ સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે; અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહી, પણ વસ્તુઓની અંદરનાં તત્વ તથા પ્રાણી માત્રના અંતઃકરણના વિચાર જાણે છે, માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મને શુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરૂં પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તે મને તમારો સ્પર્શ પણ થવા ન દેતા.” ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઉચું મ્હોં રાખી નીચે પ્રમાણે કીધી –

શાર્દૂલવિક્રીડિત છંદ.
દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીયા તણો,
પ્રાણી માત્ર રહી મહી તળ સહુ, આભાર માને ઘણો;
ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,
ગિરિ, સાગર, ઝાડ પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧
વાડી ખેતરનાં ફુલો મઘમઘે, રૂપે રળીઆમણાં,
ભૂમી ઘાસ છવાયલી ખુશનુમાં, શોભા તણી ના મણા;
કોટી કોટિ લવું જીવે પવનમાં, ન્હાસે રમે સૌ મળી,
આકાશે બહુ શોભતાં ખગચરે, ઉડે ફરે તે વળી. ર
ગાડી રાન મધે રહે વનચરો, ખાએ ખુશીમાં વસે,
લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછી ખસે;
પાપી માનવિ ક્લેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,
આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩
માયા તો અદ્દભૂત છે હરિતણી, થાએ નહીં માપ રે,
પિડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;
માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે શુણી રાખજે,
પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪

એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાંખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઉઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ અને તેણે ઠોકર ખાધી. તે વખતે તેના ગોરે તેનો હાથ પકડ્યો પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગૃત થઈ તેણે હાથ ઝટકી નાંખ્યો, અને લોકોની સામું મ્હોં ફેરવીને ઉભી રહી, તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. શરદ મહીનાના બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો, ભીડથી તથા તાપથી લોકોનાં મ્હોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચુપ હતા કે ત્યાં એક પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય, પવન એટલો તો બંધ હતો કે ઝાડ ઉપરનું એક પણ પાતરૂં હાલતું નહતું, અને સરસ્વતીનું પાણી તળાવના જેવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે, ધન, માલ, સ્ત્રી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશીયારીથી અર્પણ કરવાને તૈયાર થયલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જેવાને સ્થિર ઉભું હોય એમ લાગતું હતું. પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢુલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં, પોતાના ધણીનું માથું ખોળામાં મુક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર પુષ્કળ ઘી રેડ્યું, અને મશાલવડે ઘાસકાંટાને સળગાવી મુકયા, તાપનું એકદમ મોટું ભડકું થયું. મઢુલીનું મથાળું કડકડ થઈને તુટી પડયું. બાજુ તરફના પ્રજવલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ ભુંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજીંત્રોનો એવો મોટે અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડ્યા, અને અવાજના આચકાથી આભ તુટી પડશે એવું લાગ્યું, એ બધાની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથી “અંબે,” “જે અંબે,” “ અંબે માતની જે,” એવી ચીસ પાડવા લાગ્યા તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બયાન જ થઈ શકે નહી, ગુણસુંદરીનું સુંદર શરીર લાકડાંની કમઠાળો નીચે છુંદાઈ ગયું, અને એક પણ મરતી વખતની ચીસ પડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માનાં મૃત્તિકા-ગૃહો આસુની મારફતે પંચમહાભૂતમાં મળી ગયાં, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિશો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીશો તેના હિસાબ આપવાને રાજાઓના રાજાની હજુર રજુ થયા.

લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળ્યા. માત્ર એક રજપૂત ત્યાં ઉભો રહ્યો, તેની કલ્પનાશક્તિ આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાન્તિ પૈઠી, એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં ને વિચારમાં તે ડુબી ગયો, અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.

જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયામાં જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી, એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી પીડાયાં કરે છે. કીધેલાં માઠાં કામનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાંખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબકબીલો, નોકર ચાકર, તથા દુનિયાનું સઘળું બહારનું સુખ હોય છે તો પણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તો નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મુકે છે, એવી મહાદુ:ખદાયક અવસ્થા તે રજપૂત જે કરણ હતો તેના મનની હતી.