← માધુરી કલ્યાણિકા
વચન
અરદેશર ખબરદાર
જીવનઘાટના ઘા →
રાગ કાફી - તાલ ત્રિતાલ.





વચન


• રાગ કાફી — તાલ ત્રિતાલ •


વચન તું કેમ ભૂલે રે ?
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? – (ધ્રુવ)

નિયમ તારા તેં જ બાંધ્યા, હતા તેવા મને લાધ્યા;
સત્ય છાયું જીવનમૂળે રે :
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૧

સૂરિ તેજ ને તાપ રહે છે, ચંદ્રે શીતળ અમૃત વહે છે;
કોટિ સૃષ્ટિ અધર ઝૂલે રે !
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૨


આવ્યો ત્યારે તેં શું કીધું ? મુજને તેં અભય દીધું :
હવે શું રગડાઉં ધૂળે રે ?
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૩

અબળ માનવ પડે પાછાં, તારાં પદ તો સદા સાચાં
તારા ડૂબ્યાં વિશ્વ ડૂલે રે !
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૪

અચળ શ્રદ્ધા મેં તો રાખી, જ્યાં ત્યાં તારી દયા ઝાંખી;
ભર્યાં રંગ સુગંધ ફૂલે રે :
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૫

આજે શું તુજ ભક્ત ભાગે ? પ્રભુ ! તુંને લાજ લાગે !
અદ્દલ એવું માની શું લે રે  ?
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૬