કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/પુણ્ણિકા

← શિશુ ઉપચાલા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
પુણ્ણિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
અંબપાલી ગણિકા →


७५–पुण्णिका

બૌદ્વધર્મના ભિક્ષુસંઘમાં જેવી રીતે સારીપુત્ત, કાત્યાયન વગેરે મોટા તત્ત્વજ્ઞાની ધર્મોપદેશક થઈ ગયા છે, તેવીજ રીતે ભિક્ષુણીસંઘમાં ક્ષેમા, ઉત્પલવર્ણા વગેરે ભિક્ષુણીઓ થઈ ગઈ છે. કેટલેક પ્રસંગે મોટા વિદ્વાન પુરુષોને પણ તેમણે અધિકાર યુક્ત વાણી વડે ઉપદેશ કરીને સન્માર્ગે વાળ્યા હતા. તેમાંની એક પુણ્ણિકા નામની ભિક્ષુણીની ગાથા પાલી ગ્રંથોમાંથી અહીં ઉતારીએ છીએ.

પુણ્ણિકા નામની ભિક્ષુણી સવારમાં ઉઠીને વિહારમાંની ભિક્ષુણીઓ માટે પાણી ભરવા નદી ઉપર ગઈ હતી. ત્યાં એક બ્રાહ્મણ પ્રાતઃસ્નાન કરતો હતો તેને જોઈને તે બોલી:—

उदकहारी अहं सीते सदा उदकमोतर्रि ।
अय्यानं दंडभयं भीता चाचादो सभमद्विता ॥
कस्स ब्राह्मणत्वं भीतो सदा उदक मोतर्रि ।
वेध मानेहि गत्तेहि स्रोतं वेदयसे भुसं ॥

આ ટાઢમાં ભિક્ષુણીસંઘના ભયથી (મને દોષ આપશે એવા ભયથી) પાણી ભરવા હું આ પાણીમાં ઊતરૂં છું, પરંતુ હે બ્રાહ્મણ ! તારાં આ ઠંડીથી અકડાઈ ગયેલાં ગાત્રથી તું આ પાણીમાં ઊતરે છે તે કોના ભયથી ? ઠંડીથી તું અકડાઇ ગયેલો લાગે છે.”

બ્રાહ્મણે કહ્યું: “હું પુણ્યકર્મ કરૂં છું અને પાપનો નિરોધ કરૂં છું, એ જાણવા છતાં હે પુણ્ણિકા ! તું આ પ્રશ્ન કેમ પૂછે છે ? જે કોઈ વૃદ્ધ કે તરુણ પાપ કરે છે, તે પ્રાતઃસ્નાનથી તે પાપથી મુક્ત થાય છે (એ તને ખબર નથી શું ?)”

પુણ્ણિકા બોલી: “હે બ્રાહ્મણ ! સ્નાનથી પાપમુક્ત થવાય છે, એ તું અજ્ઞાનને લીધે કહે છે.

૧૪૦ “દેડકું, કાચબો, સાપ, મગર, ઇત્યાદિ પાણીમાં રહેનારાં સર્વ પ્રાણીઓ, સ્વર્ગેજ જવાનાં છે કે શું ?

“બકરાં મારનારા, ડુક્કર મારનારા, માછલાં મારનારા કોળી, પારધી, ચોર, ફાંસીની શિક્ષા થઈ હોય તે માણસો અને બીજા પાપી લોકો સ્નાન કર્યાથી પાપકર્મથી મુક્ત થશે કે શું ?

“હે બ્રાહ્મણ ! આ નદીઓ જો તારૂં પાપ વહીને લઈ જશે, તો તે સાથે પુણ્ય પણ લઈ જશે, એટલે તારૂં પુણ્ય પણ જશે.

“માટે હે બ્રાહ્મણ ! જે પાપના ભયથી તું નિત્ય આ પાણીમાં ઊતરે છે, તેજ પાપ તું કરીશ નહિ. અમસ્તો ઠંડીથી તારા શરીરને દુઃખી શા માટે કરે છે ?”

પુણ્ણિકાનો આ ઉપદેશ સાંભળીને, બ્રાહ્મણ સંતુષ્ટ થયો અને એક વસ્ત્ર લઈને તેની પાસે આવ્યો અને તેને કહ્યું: “હે પણ્ણિકે ! તેં મને કુમાર્ગેથી સુમાર્ગે વાળ્યો, માટે આ વસ્ત્ર હું તને આપું છું.”

પુણ્ણિકા બોલી: “હે બ્રાહ્મણ ! તારૂં વસ્ત્ર તારી પાસેજ રહેવા દે, હું તે લેવા ઇચ્છતી નથી. તું જો દુઃખથી બીતો હોય, તને દુઃખ અપ્રિય હોય, તો એકાંતમાં કે લોકસમૂહમાં તું પાપકર્મ કરીશ નહિ.

“જો તું પાપકર્મ કરે છે અગર કરીશ તો ગમે ત્યાં નાસી જઈશ, તોપણ તું દુઃખથી મુક્ત થવાનો નથી.

“જો તું દુઃખથી બીતો હોય, તને જો દુઃખ અપ્રિય હોય, તો તું બુદ્ધને અને તેના સંઘને શરણે જા. શીલના નિયમ પાળવાથીજ તારૂં કલ્યાણ થશે.”

આ ઉપરથી તે બ્રાહ્મણ બૌદ્ધમત્તાનુયાયી થયો. સાધ્વી પુણ્ણિકાના ઉપદેશથી સન્માર્ગે ચડેલો એ બ્રાહ્મણ આગળ જતાં મોટો સાધુ થયો, ત્યારે તેણે ઉદ્‌ગાર કાઢ્યા કે, “પહેલાં હું માત્ર નામનોજ બ્રાહ્મણ હતો, પરંતુ હવે ખરો બ્રાહ્મણ થયો છું. કારણ હવે હું ત્રૈવિધ (બૌદ્ધધર્મમાં કહેલી ત્રણ વિદ્યા જાણનારો) છું, વેદસંપન્ન અને જ્ઞાનસંપન્ન છું. હું પુરોહિત (સ્વસ્તિ સુખના લાભવાળો) છું, સ્નાતક (મુક્ત) છું, ધન્ય છે ! વિપથગામીઓને સત્પથગામી કરનારી પુણ્ણિકા જેવી દેવીઓને !❋[૧]

  1. ❋‘જ્ઞાનસુધા’ પૃ. ૨૪, અંક ૧૧ માંના એક લેખમાંથી સાભાર ઉદ્ધૃત.