← દિવ્ય ટહુકો કુસુમમાળા
ગર્જના
નરસિંહરાવ દિવેટિયા
સરિત્સંગમ →


ગર્જના.

રોળાવૃત્ત

નભ ચુમ્બતી આ પેલી માળ ગિરિરાજની ઊભી,
તે પાછળ શો ધીર નાદ ઊઠી જાતો ડૂબી!
કુપિત સિંહ કો તહિં મત્ત બની રાડ શું પાડે?
કે ગિરિશિખર વિશાળ પડ્યું ગગડી કો ખાડે? ૧


ન હોય કેશરિનાદ નહિં શૈલસિખરપાતો,
ગર્જનરવ ગમ્ભીર મેઘરાય તણો આ તો.
તપ્તભૂમિ ચૂમીને મેઘજળ ત્ય્હાં ઉપજાવે
ગન્ધ સ્હરો, તે પીઠ વહી ગન્ધવહ શું આવે! ૨

ને ઘન-શ્યામળ શૈલ-શિખર ઊભાં આકાશે
તે પર ઊભું ઈન્દ્ર-ધનુષ નિજ વર્ણ પ્રકાસે.
ને પેલો મોરલો લવે કેકારવ ઘેરો,
મેઘનાદમાં ભળી વ્યાપી તે બને અનેરો. ૩

આ જીવનનો શૈલ ચઢ જ્ય્હાં મનુષ્યજાતિ,
તે પાછળ ગમ્ભીર ગર્જના કદી કદી થાતી,
તે સુણી આત્મમયૂર કરે કેકારવ મ્હારો,
રવ બે મળી ગમ્ભીર નાદ ઊપની ર્‌હે ન્યારો ! ૪




ટીકા ફેરફાર કરો

કડી ૨. શૈલશિખરપાતો(બહુવચન) - પર્વતના શિખરનાં પતન.

ઉત્તરાર્ધ. - તપેલી ભૂમિને ચુમ્બન કરીને મેઘજળ ત્ય્હાં (ગિરિમાળ ઉપર) સ્હેરો ગન્ધ ઉત્પન્ન કરે છે ત્હેને પોતાની પીઠ ઉપર વહીને ગન્ધવહ (પવન) શો આવે છે!

કડી ૩. પૃ ૧૫. અનેરો = જુદાજ પ્રકારનો ઓર તરેહનો - 'અન્ય ' ઉપરથી (જેમ 'ઘણું' ઉપરથી ઘણેરું' થાય તેમ,) 'અન્યતર' ઉપરથી.

કડી ૪. જીવનશૈલ પાછળની ગર્જના - પરકાળના જ્ઞાનની ઊર્મિ. આત્મમયૂરનો કેકારવ - તે જ્ઞાનની ઊર્મિથી આત્મામાં થતો પ્રતિધ્વનિ. એ બે રવ મળી ઉત્પન્ન થતો નાદ= એ જ્ઞાન આત્મામાં પ્રતિબિમ્બિત થતાં ઉત્પન્ન થતી અલૌકિક સ્વાનુભુતિ.

-૦-