ગાંધીજીનો અક્ષર દેહ - ૧/રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ

← પિતાને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
લક્ષ્મીદાસ ગાંધીને પત્ર →


૨. રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ

[બૅરિસ્ટરની પરીક્ષા માટે અભ્યાસ કરવાને માટે ગાંધીજી વિલાયત જવાની તૈયારીમાં હતા ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેમની સાથે ભણનારા વિદ્યાર્થીઓએ તેમને વિદાય આપવાને કરેલા મેળાવડામાં તેમણે પોતાનું પહેલવહેલું ભાષણ ૧૮૮૮ની સાલના જુલાઈ માસની ૪થી તારીખે કર્યું લાગે છે. પોતાની आत्मकथाમાં તેઓ કહે છે, 'જવાબને સારુ હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભાગ્યે વાંચી શકયો. માથું ફરતું હતું. શરીર ધ્રૂજતું હતું એટલું મને યાદ છે' (પા. ૩૮). એ વખતે તેમની ઉંમર અઢાર વરસની હતી. તેમણે, જે કહેલું તેનો છાપાનો હેવાલ નીચે આપ્યો છે.]

જુલાઈ ૪, ૧૮૮૮


રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલના એક વિદ્યાર્થી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી જે સામળદાસ કૉલેજમાં ભાવનગર પહેલા વર્ષનો અભ્યાસ કરતા હતા તે હાલમાં વિલાયત બારિસ્ટરનો અભ્યાસ કરવાને જાય છે તેના માનમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો એક મેળાવડો તા. ૪ જુલાઈ, ૮૮ના રોજ હાઈસ્કૂલમાં થયો હતો. તે વખતે શ્રી મોહનદાસ ગાંધીને આપેલા માનપત્રના જવાબમાં તેણે કહ્યું હતું કે–

'હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઈંગ્લંડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગૂંથાશે.'

હાઈસ્કૂલના પહેલા આસિસ્ટન્ટ માસ્તર ડૉકટરે કહ્યું કે હાઈસ્કૂલનો એક વિદ્યાર્થી ઇંગ્લંડ વધુ અભ્યાસ કરવા જાય છે તેને માટે આપણે ખુશી થવા જેવું છે. હું ઇચ્છું છું કે તેના કામમાં ફતેહ થાય.

[મૂળ ગુજરાતી]
काठियावाड टाइम्स, ૧૨-૭-૧૮૮૮