જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
નરસિંહ મહેતા


જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો. ટેક
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણીપેરે, જોગી જોગેશ્વરા કોઇક જાણે. જે.
નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ, દૃષ્ટે આવે નહિ, ભવનપર ભવનપર છત્ર દાખે. જે.
ઋતુ લતા પત્ર ફળ, ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પોહોંચે. જે.
ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મન કર્મ વચનથી, આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સુઝે. જે.
સૂખ સંસારિ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી, નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું. જે


અન્ય સંસ્કરણ

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત


ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત