તુલસી-ક્યારો/પુત્રવધુની શોધમાં

← સમાધાન તુલસી-ક્યારો
પુત્રવધુની શોધમાં
ઝવેરચંદ મેઘાણી
ડોળાયેલાં મન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ અઢારમું
પુત્રવધૂની શોધમાં

થોડા દિવસે તમાશાની વૃત્તિ વિરમી ગઈ, શહેરી ઊભરો શમ્યો, મુકર્દમાની લડત માંડી વાળવામાં આવી, વીરસુત એની સ્ત્રીને ખોરાકી પોશાકી પૂરી પાડી ફાવે તે પ્રવૃત્તિમાં પડી જવા દેવા કબૂલ થઈ ગયો. પોતાને તો કંચન હવે ઘરમાં ધોળા ધર્મેય ન ખપે, પણ છૂટાછેડા મેળવવા માટે એણે પ્રયત્ન ન કરવો એ શર્તે જ એના પરનો મુકર્દમો પાછો ખેંચાયો.

પિતા, પુત્ર અને મામા થોડાક દિવસ રોકાયા, પણ વીરસુત તેમની હાજરીને સહી શકતો નહોતો. કેમ જાણે તેમને એહાજરી વીરસુતના છિન્નભિન્ન સંસાર પર દિવસરાત કોઈ છૂપો કટાક્ષ કરી રહી હોય ! તેઓ વીરસુતથી ડરી સંકોડાઈને રહેતા, વીરસુત ઘરમાં આવે કે તૂર્ત ચૂપ થઈ બેસતા, પણ તેમના સવળા આચરણની યે અવળી અસર પડતી,

'હેં દેવુ !' દાદાએ એક દિવસ વીરસુત કોલેજમાં ચાલ્યો ગયો તે પછી ઇચ્છા દર્શાવી : ' બાપુ ભણાવે છે તે કોલેજ તો જોઈએ ! બધા એનું શિક્ષણ બહુ બહુ વખાણે છે, તો આપણે એના ક્લાસની બહાર કમ્પાઉન્ડમાં ઊભા ઊભા સાંભળીશું ? હેં, જશું?' દેવુએ હા કહી. પિતાની ઈચ્છા સાંજે ઘેર આવી પુત્રને વખાણથી રીઝવવાની હતી.

દાદા ને દેવુ બેઉ જમ્યા પછી (વીરસુત જમી લેતો પછી જ તેઓ બેસતા) અંધ મામાથી ગુપ્તપણે રચેલા કાર્યક્રમ પ્રમાણે તૈયાર થઈને ચાલ્યા.

'ત્યારે જાનીજી ! હું તો સૂઉં છું મારી ઓરડીમાં !' એમ બોલીને જ્યેષ્ઠારામ તો પોતાને સ્થાને (ગ્યાસલેટ અને પરચુરણ જૂના સામાનવાળી ઓરડીમાં) ચાલ્યો ગયો હતો.

દાદા ને દેવુ બહાર નીકળીને સડક પર પહોંચે છે ત્યાં તો જ્યેષ્ઠારામ તૈયાર થઈને હાથમાં લાકડી લઈ ઊભો છે!

'કાં ! દવે ! ક્યાં જાછ અત્યારે?' દાદાએ પૂછ્યું.

'આ... ઉંઘ તો આવી નહિ, એટલે એમ થયું કે લાવને ભાઈ ભણાવે છે એ શાળામાં જઈ આવું! તમે શીદ ભણી?'

'હવે રાખ રાખ પાજી!' સોમેશ્વર હસી પડ્યા. 'લે હાલ હવે હાલ.

'ના તમે તમારે જ્યાં જતા હો ત્યાં જજોને ! નાહકનો હું સાથે હઈશ તો શરમાવું પડશે!'

'હવે માબાપ ! મૂંગો મરછ કોઈ રીતે?'

ત્રણે જણ ચાલ્યા. બીતા બીતા કોલેજની ચોમેર મેદાનને આંટો મારી લીધો. પછી ચોર જેવે મીનીપગલે અંદર પેઠા, ને વીરસુત જ્યાં વર્ગ લેતો હતો તે જ ખંડની સામે આવીને ઊભા રહ્યા. 'ભાઈ'ની મધુર અધ્યાપનવાણી સાંભળીને બાપનો આત્મા કકળ્યો : આહા હા ! આવા સરસ્વતી સંપન્નને શિરે આ દુઃખ ! મારા પુત્રના મોંમાંથી વાગ્દેવી કેવી પ્રસન્નતાથી વહી રહી છે ! આને માથે...!

પણ વીરસુતના અંતરમાં આ કુટુંબીજનોના દૃશ્યે ઊલટી જ લાગણી સળગાવી. એની વાગ્ધારા ખંડિત બની. એનો ચહેરો પડી ગયો. એની જ્ઞાનસમાધિમાં ભંગ પડ્યો.

આનું એક વધુ કારણ હતું : પોતાનાં આ કોલેજનાં વ્યાખ્યાનો સાંભળવા બે વર્ષ પૂર્વે કંચન આવતી તે દિવસો યાદ આવતાં કારમો તફાવત કલ્પના પર ચડી બેઠો. કંચન અહીં બેસતી ત્યારે પોતે સોળે કળાએ ખીલી રહેતો. કંચનના સ્થાને આજે આ ત્રણ સગાં સાંભળે છે ! વિડમ્બનાની અવધિ વળી ગઈ.

ઘેર આવીને એણે પિતાને કહ્યું, 'માર દાઝેલા હ્રદય પર શાને ડામ દઈ રહ્યા છો ! આથી તો ઘેર જાઓને !'

'ભલે ભાઈ !' વૃદ્ધ પુત્રની ઈચ્છા ઝીલી લીધી. એણે પોતાની તૈયારી કરીને પછી પૂછ્યું : 'ભદ્રાને લેતો જાઉં કે અહીં રાખું?'

'લેતા જાઓ, ને આ ઘરને પણ દીવાસળી મૂકતા જાઓ ! હું પણ મારો છૂટકારો ગોતી લઈશ. પછી તમને નિરાંત થશે.'

પિતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેની નજર સામે બે વીરસુત તરવરતા હતા. એક તો કોલેજમાં બોલતો સરસ્વતીનો વરદાનધારી: ને બીજો આ બકવાદ કરનારો : બેમાંથી કયો સાચો? બેઉ સાચા: એક જ ખોળીઆમાં બેઉ વસનારા : બકવાદી વીરસુતનો કોઈક દિવસ વિલય થઈ જશે, શારદાનો વરદાનધારી પ્રક્ટ થશે : એ આશાએ એણે કહ્યું : 'તો ભલે ભદ્રા આંહી રહેતી ભાઇ!'

એટલું જ કહીને વૃદ્ધે રજા લીધી. એને બીક લાગેલી કે મુંઝાએલો 'ભાઇ' કદાચ આપઘાત કરી બેસશે.

સ્ટેશને ગયા પછી સોમેશ્વરે અંધ સાળાને જુદો એકાંતે બોલાવી પૂછ્યું :

'જ્યેષ્ઠારામ ! ઘેર જઈ શું મોં બતાવું !'

'જાત્રા કરતા જવું છે?' જ્યેષ્ઠારામે આંખો બીડી રાખીને કહ્યું : ' તમારૂં મન જરા હળવું થશે. ને અંજળ હશે તો વહુને પણ ગોતી કઢાશે.'

'તારી મદદ છે?' વૃદ્ધનો કંઠ લાગણીવશ બન્યો. જવાબમાં જ્યેષ્ઠારામે પૂરેપુરી આંખો ખોલી. એ આંખોમાં અંધાપો નહોતો. પણ આંખનો, દુષ્ટ લાગે તેવો મિચકારો હતો.

'હે માળા દુષ્ટ !' ડોસા દેખીને હસી પડ્યા.

'લેવા દેવા વગરનું આંખોનું તેજ હું બગાડતો નથી. તેમાં દુષ્ટ શાનો?'

'ઠીક, ચાલ, દેવુને સાથે લેશું ને?'

'હા. હા.'

ત્રણે જણા ડાકોર વગેરે સ્થળોમાં થોડું ભટકી પછી એક ગામમાં આવ્યા. જ્યાં કંચનનો, આશ્રયધામની એક સંચાલિકા લેખે ભાસ્કરની સાથે પડાવ હતો.