ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
નિષ્કુળાનંદ


પદ ૪.

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી— ત્યાગ. ૧.

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી— ત્યાગ. ૨.

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી— ત્યાગ. ૩.

ઉષ્ણ રૂતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી— ત્યાગ. ૪.

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી— ત્યાગ. ૫.

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી— ત્યાગ. ૬.

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી— ત્યાગ. ૭.

પળમાં જોગી ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી — ત્યાગ. ૮.