← ધર્મવીરને છેલ્લી વંદના બે દેશ દીપક
હરામખોર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
દીકરો →


હરામખોર !


ત્મગૌરવની સમતુલા તોળનાર એ ઇંગ્લાંડની અદાલત હતી. શ્વેતશ્યામના ભેદ ન પાડવાની પ્રતિષ્ઠા ભોગવનાર ન્યાયમંદિર હતું. જડ્જ હતાં. જ્યુરી હતી, કાયદા હતા.

તફાવત માત્ર એટલો જ હતો કે ફરિયાદી હતો એક ભારતવાસી. અને તહોમતદાર હતું એક વિલાયતી વર્તમાનપત્ર. આરોપ હતો એ ગોરા પત્રકારે એ કંગાલ ભારતવાસીની બદનક્ષી કર્યાનો. 'લાજપતરાયે લશ્કરની રાજભક્તિ ત્યજાવવા કાવત્રા કર્યા છે' એમ તે પત્રે લખેલું હતું.

'આમ જો ભાઈ!' બદનક્ષી કરનાર છાપાના વકીલે એક સાક્ષીને પુછ્યું, 'જો આ છબીમાં આ કોણ બેઠું છે?'

'આજના ફરિયાદી લજપતરાય.' સાક્ષીએ ઉતર દીધો. 'ને એની બાજુમાં કોણ છે ?'

'બાબુ બિપિનચંદ્ર પાલ!'

'હં, એ શખ્સ કેદમાં જઈ આવ્યો છે કે?'

'હા, એક કેસમાં જુબાની ન આપવાને કારણે.' 'જુઓ નામદાર !' વકીલ ન્યાયમૂર્તિ તરફ વળ્યો: 'આ બિપિનચંદ્ર પાલ જેવા હરામખોરની સાથે છબીમાં બેસનાર ફરિયાદી લાજપતરાય પણ હરામખોર જ હોવો જોઈએ ને !'

'અને બીજી વાત નામદાર !' વકીલે ચલાવ્યું, 'આ લાજપતરાયને મી. મોર્લે જેવા એક ઉદાર અને તત્ત્વજ્ઞાની હિન્દી સચીવે હદપાર કર્યો હતો. એથી સ્પષ્ટ થાય છે કે એ બડો હરામખોર હોવો જોઈએ !'

નિરાશામાં ડૂબતા ન્યાયમૂર્તિના હાથમાં જાણે કે નૌકા આવી પડી. ન્યાયમૂર્તિ જ્યુરી તરફ વળ્યા : પોતાનો અભિપ્રાય પ્રકટ કર્યો : સાહેબો ! સાચી વાત કે આ શખ્સ ઉપર આપણા વર્તમાનપત્ર 'ડેલી એક્સપ્રેસે કરેલી બદનક્ષીની એક પણ સાબિતી જડતી નથી છતાં ફરિયાદીની બદનક્ષી થયાની વાત હું સ્વીકારૂં છું. પરંતુ આ શખ્સને વળી આબરૂ શી હોઈ શકે ? આપણા મી. મોર્લે જેવા શાંતિપ્રેમી, અને ફિલસુફ હિન્દી સચીવે જેને હદપાર કરેલો હતો એવા હરામખોરની આબરૂને બહુ બહુ તો ધક્કો લાગીને કેટલો લાગે ? એની આબરૂહાનિ બદલ હું પ૦ પાઉન્ડ ચૂકવવાના મતનો છું.’

ગઈ કાલે જ જેની મૃત્યુ-નેાંધ લેતાં હિન્દી ધારાસભાના અધ્યક્ષ શ્રી. પટેલે જેના અવસાનને 'જગતભરની ખોટ' કહી, તે મહાપુરુષના સ્વમાનનાં મૂલ્ય ઈગ્લાંડના ન્યાયમંદિરમાં રૂપિયા સાડી સાતસો જ હતાં, કારણ એક જ: એની માતા – એની માતૃભૂમિ પરાધીન છે.