નાથને નીરખી
નરસિંહ મહેતા



નાથને નીરખી


આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.
જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.
વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.
કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.
ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.
અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.