← બ્રહ્મચારી પાંખડીઓ
સતીનાં ચિતાલગ્ન
ન્હાનાલાલ કવિ
ફૂલની ફોરમ →
(વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી)








૧૧ : સતીનાં ચિત ગગ્ન

(વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી)

⚜️ ⚜️ ⚜️













ગિરિછાયામાં

ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ ને અડોલ ઘડાતો હતો.

લોકવાણવિખ્યાત તે ચંચળ વાયુલહરી ન હતી; કે ત્હેનો મનોનિગ્રહ ક્ષણક્ષણ પલટાતી પેલી વીજળી જેવો યે ન હતો. ઉજળી દૂધ જેવી, પણ તે આરસની મૂર્તિ હતી. વજ્રને યે વીંધે એવો હીરાકણી શો એનો આત્મન્મણિ હતો.

ગિરિશૃંગે ક્ય્હારેક તે ઘૂમતી ત્ય્હારે આકાશી ભાવનાઓ એના આત્મામાં ઉભરાતી. સુવર્ણરેખાનાં તીર્થજલમાં ન્હાવા જતી ત્ય્હાં પવિત્રતા એના આત્માને પોષતી. કળવાને ધરે જલબેડલું લેઇ જલ ભરવા જતી ત્ય્હારે ત્હેને कालोॾस्मि ની ભવ્યતા વધાવતી. વનવાડીઓમાં મયૂરી શી એ વિચરતી ત્ય્હાં હરિની સૌન્દર્યલીલા એને શણગારતી.

ફૂલપાંખડી જેવી સુન્દર તે હતી એટલું જ નહિ; દેવપુષ્પ સમી સદ્‌ભાવનાની સુગન્ધભરી તે હતી એટલું જ નહિ; કુદરતની કલિકા જેવી રસમ્હેકન્તી ત્ય્હારે તે હતી એટલું જ નહિ; તે ગુર્જર કુમારિકા પવિત્રતાની પ્રતિમા ને કૌમારની સુકુમારતાની પરમ તારલી હતી.

કો ધન્ય ઘડીએ જગતમાં અવતરે છે, એવી, દેવક્ન્યકા શી, એ ગુર્જરક્ન્યકા હતી. અમરતાના ફૂલ સમી એ ખીલતી હતી.

આપણા એ ગુજરાતની એ આત્મવાન્‌ કુંવરી હતી.

પાટનગરીમાં

પછી ત્હેની મ્હોટી બ્હેનનાં લગ્ન થયાં : ને પર્વતશૃંગો ને વનવાડીઓ, તીર્થ ને તીર્થજલ મૂકી બ્હેનને ઘેર પાટનગરીની ચાંદનીમાં જઇને તે વસી: જાણે વનની વેલને નગરખોળે રોપી.

ન્હાનેરી સાળીઓને બ્હનેવીઓ કેવા કેવા લાડ લડાવે છે એ તો ઘણાંઓએ દીઠું છે. આપણા જ દેશમાં એવું હોય એમે નથી.

એ ન્હાનેરી સાળીમાં બ્હનેવી નિજ પત્નીનું રમતિયાળ રસસ્વતન્ત્ર બાલસ્વરૂપ નિરખે છે; ને વૈષ્ણવો બાલમુકુન્દને પૂજાઅર્ચાથી લાડ લડાવે છે એમ નિજ પત્નીની ન્હાનકડી પ્રતિમાને-એ નિજ બાલમુકુન્દિનીઓને પોતે લાડ લડાવે છે એમ જાણ્યે-અજાણ્યે ઉંડા અન્તરમાં પતિઓ સ્હમજે છે.

એ લાડકોડ પૂરવામાં જેટલી પવિત્રતા જળવાય કે ન જળવાય એતલું એ ન્હાનેરી સાળીઓનું જીવન પવિત્ર કે અપવિત્ર નીવડે છે. ખારાં જલ છંટાય તો મીઠી વેલ કય્હાંથી ઉગે ?

ન્હાનેરી બ્‍હેનનાથી નિરાળો એ રસિકડો સંબંધ જ એવો ઓર છે.

એ પાપસંભવના અનુભવભયથી ભડકીને ખ્રીસ્તી ધર્મે સાળીને પરણવાનો ધર્મનિષેધ કદાચ ઉચ્ચાર્યો હોય.

તે હવે વનમ્હાલતી મયૂરી મટી ગઈ; હવે તે પાટનગરની વાછડી સમી ઘૂમતી.

સોના શીંગડીઓ ને રૂપા ઝાંઝર નગરજનો વાછડીને પ્‍હેરાવે, ને ઝમઝમ ઝમકાર કરતી રાજમાર્ગે તે સંચરે, એવી સોના રૂપાની આછીઆછેરી ટાશરો એને અંગે ઉગી નીકળી. રાજનગરીના રાજમાર્ગોની ચન્દનીમાં અજબ ચમકારા ચમકાવતી ને ઝાંઝર ઝમકાવતી તે સંચરવા લાગી.

થોડુંક નિશાળે જતી; થોડુંક ઘરકામ કરતી; થોડુંક દેવદર્શને જતી; થોડુંક ફરવાને વિચરતી : એમ લાડકોડમાં એ ઉછરતી હતી.

એના પુસ્તકિયા ભણતરનો ભંડાર તો વધુ ન ભરાયો;-પુસ્તકિયા ભણતરની સનાતન કીંમતે કેટલીક ?-પણ એના આત્માના ભણતરનો ભંડાર અજબ ને ઉભરાતો ચાલ્યો.

એની જન્મવર્ણી સુન્દરતાને કલાના ઓપ બેઠા, ને અંબોડલે અખંડ ફૂલવેણી ચ્‍હડી. એની વનવર્ણી ઓઢણીએ સોનલા કોર ઉગી; એના વાડીવર્ણા ચણિયાને રૂપેરી ઝીકની ઝૂલ ઝૂલી રહી; એના કોયલ શા કંઠમાં રાસ ને એના કિરણમંડલ શા કરમાં ચિત્ર ખીલી ઉઠ્યાં. ગુજરાતની ભવ્ય કુદરતને ધાવેલો એનો આત્મન્ હવે કલાસંયમમાં ગોઠવાવા લાગ્યો.

ત્‍હેના વનરોપની ફૂલક્યારીઓ રચાતી હતી.

ને એના બ્‍હનેવીને ત્ય્હાં આવતા કોક રસમાળી એને રસજલની ઝારીઓ છાંટી જતા.

એમ વનની મટી વાડીની વેલી એ બની.

કાશીપુરીમાં

ને પછી ?

તે પછી જીવનના નાટકનો પડદો ઉપડ્યો ત્ય્હારે-ઓહો ! આ તો ગંગાજીનો ઘાટ ! આ તો કાશીવિશ્વેશ્વરનું પૃથ્વીપૂજ્ય મન્દિર ! કોટીધ્વજ કે ચક્રવર્તી-અંહિયાં તો સારી જનતાનાં શિર ઝૂકી પડે !

હા, એ વિશ્વવિખ્યત વારાણસી: પાંડવો ને દ્રોપદીજીની પદધૂલિથી પુણ્યવન્તી, હરિશ્ચન્દ્ર તારામતી ને બાલ રોહિતના સ્મરણસુગન્ધોથી આજે યે મ્હેકતી પૃથ્વીપ્રાચીન એ વારાણસી. બુદ્ધ ભગવાવા સ્તુપ ત્ય્હાં છે; શંકર ભગવાનના દિગવિજય, મેઘાડંબર શા, ત્ય્હાં ગાજ્યા હતા. આજે તો કેટલાંક પુણ્યને બદલે પાપના પોટલા એ તીર્થભૂમિમાંથી બાંધી લાવે છે; ને આંખો મીંચી વિચર્યે ત્ય્હાંનાં પુણ્યવન્તાંને પિછાનતાં યે નથી. ત્‍હો યે ભારતનાં પુણ્ય ને પવિત્રતાના ઓઘ સમી, પાપીઓનાં કંઇ કંઇ પાપ ને અપવિત્રતાઓ ધોઈ અન્યને ન અડકે માટે હૈયાસ્‍હોડમાં સંઘરી સાગરમાં પધરાવવા જતી, પતિતપાવની, પુનિત કલ્યાણિની, ગંગાં મૈયા યુગ-યુગથી જય્હાં વહે છે એ જ એ વારાણસી.

હા, સંસારભારચંપાયાં ભારતવાસીઓનો વિસામો તે વારાણસી. પુણ્યની એ સૌન્દર્યવેલને તો ત્ય્હાં અદકેરાં અમૃત છંટાયાં.

ત્ય્હાં એનાં લગ્ન થયાં હતાં, ને ત્ય્હાં તે સાસરવાસે ગઇ હતી. શ્રી હરિને ત્ય્હાં લક્ષ્મીજી પધારે એમ એની આત્મલક્ષ્મી પતિને લક્ષ્મીધામે પધારી હતી.

વારાણસીના એક ધર્મનિષ્ઠ ને ધનાઢ્ય કુટુંબના પુત્રરત્ન સંગાથે એનાં લગ્ન થયાં હતાં: એટલે એ શીલમૂર્તિ સૌભાગ્યવતી એ જગત્‌તીર્થને ઉછંગે જઈ બેઠી હતી.

પણ મન્દાકિનીને આરે કલ્યાણક સુખભોગ તો દેવદેવીઓ ઘડીક જ માણે છે, ને પછી क्षीणे पुण्ये मृत्युलोके विशन्ति. એમ સુખભોગને સ્વર્ગઘાટે ઘડીક તે આવીને બેઠાં.

સુખ ને ધન તો સદાયનાં ચંચળ છે, ને આજે વીસમી સદ્દીમાં તો વિશેષત: કોઈના યે નથી રહ્યા, ને એના યે સુખના દિવસો સદાના ન રહ્યા.

દેશાવરમાં એના સસરાજી વ્હેપાર ખેડતા. વારાણસીના ચૌટામાં એમની ધન ને શાખ ભરી દુકાન હતી. વડલાની શાખાઓ જેવા એમના આડતિયા હતા; વડલાની ઘેર ગંભીર ઘટા સરિખડી-એમની પ્રતિષ્ઠા હતી.

વડલા નીચે મંડાયેલી પરબ જેવી એમના યે સદાવ્રતની ધર્મપરબ હતી.

પણ વાવાઝોડું થાય, ને વાંદરાં કૂદે, ને ડાળો ભાંગે ને પરબના ગોળા ફૂટે: એમ વ્હેપારનું એક વાવાઝોડું વાયું, ને એ આંધીમાં એ ધર્મપ્રતિષ્ઠાવાળો વડલો ઉખડી પડ્યો. પરબનાં પાણી ઢોળાઈ ગયાં, વ્હેપારની વડવાઈઓ સંકેલી લેવી પડી. હવેલીમાંનાં ભર્યાં ટાંકાં ઉલેચતાં યે લ્હેણિયાતોનાં ટોળે ટોળાં ધર્મદ્વારેથી ખૂટ્યાં નહિ.

કોઈને યે ધર્મદ્વારેથી-આ ભવના કે પરભવનાં લ્હેણિયાતોની જમાત કદ્દી ખૂટી છે ? અધર્મદ્વારે એક પણ લ્હેણિયાતને ઉભેલો કદ્દી યે દીઠો છે ?

ને વારાણસીના તો એ નિત્ય અનુભવ છે. ' ધર્મનિષ્ઠની કસોટી' એ તો જાણે આ જગત્ નગરીના જેવો એ ધર્મનગરીનો મુદ્રાલેખ છે.

એને યે સાસરવાસેથી ધનની વીજળીના દીવાના ઝળકાટ કાળબળે સહસા હોલવાઈ ગયા.

સુખની વસન્ત શમણું થઈ ગઈ, ને પછી વિતકની વર્ષા બેઠી.

મહંકાળેશ્વરની તપસ્વિની

તે સુખ કાજે ન્હોતી જન્મી, સેવા કાજે જન્મી હતી.

સુખના પાઠ સોહેલા છે, દુઃખના પાઠ દોહેલા છે; ને એ બન્ને ય પાઠ સહુ જગતવાસીએ શીખવાના છે.

બાળપણમાં માબાપની સેવા કીધી; કૌમારમાં બ્‍હેનબ્‍હનેવીની સેવા કીધી; યૌવનમાં સ્વામીને માનવાને નહિ પણ સેવવાને તે માળવાના રણપગથાર વચ્ચે આવી બેઠી.

સ્વામીને સેવતી, ને મહંકાળેશ્વરને પ્રાર્થતી, તે જીવનમેઘના અમૃતછાંટાની આશાઆંખડીએ દિશાઓને નિહાળતી.

મધ્યદેશના રેતાળ રણમાં દંપતી જઇ રહ્યાં હતાં. લક્ષાધિપતિ દંપતિ ત્ય્હારે ગરીબનાં યે ગરીબ જેવાં હતાં.

એ શિપ્રાને આરે સુદામાજી રહી ગયા હતા, કૃષ્ણ ભગવાન ભણી ગયા હતા, ભર્તૃહરિ માણી-ને ખોઇ ગયા હતા, વિક્રમદેવ આર્ય જાહોજલાલીનાં વીરત્વ ને પરદૂઃખભંજકતા ઝળહળાવી ગયા હતા, કાલિદાસ મેઘદૂત ને શકુન્તલાનાં સુખદુઃખ, જગતનાં સુખદુઃખ જેટલી જ અમરતાથી ગાઈ ગયા હતા.

એમનાં પુણ્યજીવનની અમર કવિતા ગાવાને પુણ્યધર્મીલો કો ગુર્જર શબ્દસ્વામી હજી જન્મે ત્ય્હારે ખરો.

સુખદુઃખની અમર સરિતાને આરે સુખની લહરીઓ વટાવી દુઃખનાં વમળો વચ્ચે તે દંપતી બેઠાં હતાં.

વસન્તની બહાર જેવી એમની યૌવનવાડી હિલોળા લેતી હતી. જીવનની વસન્તતિથિઓમાં સુખદુઃખની સનાતન સરિતાને ઘાટે તે બેઠાં હતાં.

સરખટની માળાની પેઠે એમનો કુલવ્યાપાર ભાગી પડ્યો; વહી જતાં પૂરની પેઠે એમના લક્ષ્મીભંડાર ઠલવાઈ ગયા. વ્હાણ ડૂબ્યા જેવી પિતાજીની ને કુલની અવદશા નિરખી પતિના સુકુમાર આત્માને આઘાત વાગ્યો હતો, ને ત્‍હેને ક્ષય થયો હતો. માળવાનાં સુક્કાં હવાપાણીમાં, અફીણ ને કપાસનાં ખેતરો વચ્ચે, દાક્તરી સલાહથી તેઓ આવી વસ્યાં હતાં.

એ રાંધતી, તે જમતો; એ પાણી ભરી લાવતી, તે પીતો; એ પ્રભુને વિનવતી, તે સૂર પૂરતો.

સીતા ને રામ જેવાં તે એકાન્તવાસી હતાં; એમની પંચવટીના એકાન્તવાસમાં લક્ષ્મણજીનો યે સહયોગ ન હતો.

આથમ્યા બપ્પોર રાત્રિ પડ્યા વિના કદી યે પાછા પ્રભાત થઈ ઉગ્યા છે ?

એમનું યે જીવનબેડલું ફૂટ્યું તે પાછું સ્વર્ગમાં સન્ધાયું.

શિપ્રાના ઘાટશિકરો એમની કરમાયેલી કુંપળોને ફરીથી ખિલાવી શક્યા નહિ, કે મહંકાળેશ્વરની ધૂપઆરતીઓ એમના આથમ્યા પરિમલને પાછી પમરાવી શકી નહિ.

એ મોગરો ને મોગરાની વેલ તો સદા કરમાઈને પડ્યાં.

માળવાના રણમાં માસેક માંડ વીત્યો હશે. યૌવનમાં બહુધા બને છે એમ એ ક્ષયે (Galloping consumption) અતિતીવ્ર ક્ષયનું રૂપ લીધું; ને શું થયું ? કે શું થાય છે ?-સહુ એ ચિન્તવે કે સહુને સ્‍હમજાય એ પહેલાં તો એની આયુષ્યસેર તૂટી ગઈ.

એક દિવસે માળવાના રણપગથાર વચ્ચે યુવતિની હૈયાશય્યા સમી ચિતા ખડકાઈ, ઉપર પિયુજી ચ્‍હડ્યા. પછી અગ્નિની ઝાળ એને ઘેરી વળી. સોળ વર્ષની સૌન્દર્યમૂર્તિ નવયૌવના અનિમિષ આંખે જીવનમૃત્યુની ભેદાવલિનાં એ ઉઘડતાં પાનાં નિરખી રહી.

જગત્‌શાણાઓને નથી સ્હમજાયું એ એને ક્ય્હાંથી સ્હમજાય? એની ફાટેલી આંખો ગહનતાને ગહન પ્રશ્નો પૂછતી હતી કે મૃત્યુ એટલે શું ? સ્વામીનાં આયુષ્યનો એ છેલ્લો ભડકો હતો; પત્નીની એ અણહોલવાયેલી ઝાળ હતી.

સ્વામીની ચિતા સન્મુખ એ બાલાનો આત્મા નિજ જન્મભૂમિના ગિરિવર શો દૃઢ થયો.

અગ્નિસાખે દંપતીએ એક પ્રતિજ્ઞા લીધી હતી; અગ્નિ-સાખે આજ પત્નીએ બીજી પ્રતિજ્ઞા લીધી.

માળવામાં પ્રગટેલો એ નવઅગ્નિ પછી સુવર્ણરેખાને ખોળે હોલવાયો.

સુવર્ણરેખાને ખોળે

અગ્નિહોત્રનો અગ્નિ આયુષ્ય સાથે હોલવાય, એમ એ નવ‌અગ્નિ યે એના આયુષ્ય સાથે હોલવાયો.

'મ્હારે નથી જીવવું ' એટલું જ એનું બોલવું હતું.

માળવાના રણપગથારમાં કે વારાણસીના તીર્થઘાટે ગુજરાતસૌરાષ્ટ્રના સીમાડાના ખારા પાટમાં સતીની પેઠે એક જ ઉચ્ચારતી; ' શા માટે મ્હને જીવાડવા મથો છો ? મ્હારે હવે નથી જીવવું.'

એકતારાનો એક તાર છેડ્યે બીજો તાર રણકી ઉઠે એમ એણે યે પતિના ક્ષયનો રણકો ઝીલી લીધો હતો.

એ પછી તે હસી નથી; એ પછી ત્હેણે આનન્દવર્ણું વસ્ત્ર પહેર્યું નથી.

એનું શેષ જીવન એક અખંડ ભડભડતી સતીની ચિતા સરિખડું હતું.

એની આંખડલી આભની પાછળ જ નિહાળતી. આભની આ બાજુની સૂષ્ટિ ત્હેને તો ભૂંસાઈ ગયેલી ભાસતી.

એ ગેબને પૂછતી. ગેબ ઘેરૂં ઘેરૂં હસતી ને ગહનતાનો ઉત્તર આપતી.

મૂક વાણે તે માનવીને પૂછતી; અજ્ઞાન-પત્થર શો-માનવી મુંગો ઉભતો.

દેવીનાં દર્શન કરે તેમ હું ય દર્શન માત્ર કરી રહ્યો હતો : મ્હારી યે વાગીશ્વરી ત્ય્હારે મ્હને તજી જતી હતી.

જન્મમૃત્યુના પડદા પાછળના સનાતન પ્રશ્નોના ઉત્તરદાતા ગહનતાના નજૂમીઓ હજી ધરતીખોળે જન્મે ત્ય્હારે ખરા.

ત્ય્હાં સુધી તો ઉગવું ને આથમવું, અને વચ્ચેની જીવનલીલા, એ જ આંખડલીનાં મહાસત્યો છે ને ?

છેલ્લીવેલ્લી મ્હેં નિરખી ત્ય્હારે સોરઠ ને ગુજરાતની સીમાઓ સંગમ પામે છે ત્ય્હાં ખારાપાટના એક સરોવરિયાના તીરે તે વસતી હતી. જળમાં રમતાં સારસડાંને તે નિહાળતી ને વાદળિયા આભને મૂંગા પ્રશ્ન પૂછતી કે ' હવે કય્હારે ?'

એનાં પગલાંમાં હાથીની દૃઢતા હતી; એનાં અંગોમાં સતીનું સત હતું; એની મુદ્રામાં સૂર્યની ઉગ્રતા હતી.

એની ઊંડી ઉતરેલી આંખોમાંથી અખંડ બે મશાલો સળગતી દેખાતી. એ બે એનાં આયુષ્યની અખંડ શઘડીઓ હતી.

એનું શેષ જીવન સતીની ચિતા હતું.

કળીએ ને ફૂલડે ફૂલેલી લાડકોડની વસન્તવેલી જેવી જ્ય્હાં તે ઝોલાં ખાતી'તી, પોપટડી જેવી જ્ય્હાં ઉડતી'તી, ને મયૂરી જેવી જ્ય્હાં મ્હાલતી'તી, ને વાછરડી જેવી જ્ય્હાં જીવનનાં ઝાંઝર ઝમકારતી'તી, ત્ય્હાં આજ સંન્યાસિની સમી તે સંચરતી.

એના સંસારરંગ સઘળા યે ઉપટી ગયા હતા.

काम्याणां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः.

જીર્ણ વસ્ત્રો જેવી એની જગત્‌કામનાઓ ઉતરી ગઈ હતી. નિષ્કામનાની તે સાક્ષાત અવતારિણી દીસતી.

પછી તો તે કાળમુખા કાળવાને કાંઠે ગઇ ને સોનરેખને ખોળે સદાયની પોઢી.

ઐહિક જીવનને એમ સંકેલી લીધું.

ગુજરાતનાં કૃષ્ણપ્રાચીન તીર્થજળ આજે યે એની દેહભસ્મથી પાવન થયાં છે.

રાજસતી રાણકદેવડીએ વાવેલી સતીવેલને હજી તો ત્ય્હાં ફૂલ પ્રફુલ્લે છે.

એને ઓળખી ?

વીસમી સદ્દીની પહેલી પચ્ચીસીનાં નરનાર ! એને ઓળખી ? એ આપણા જ યુગમાં ગુજરાતખોળે થઈ ગઈ. વીસમી સદ્દીનાં વિલાસપૂજારીઓને સતીને ઓળખવાની નવરાશ છે કે ?

ગુજરાતના કલાકારો ! ગુજરાતના શબ્દસ્વામીઓ ત્‍હમારી પીંછીમાંથી ને ત્‍હમારી લેખિનીમાંથી આથી ઉલટાં ચિત્રો કેમ જ્ન્મે છે ? ગુર્જર કુંજો હજી પુણ્યસૂની નથી થઇ, હો !

ધારાશાસ્ત્રી ! ત્‍હારૂં ન્યાયશાસન પૂજનીય છે : ત્‍હારી પામરતા યે સ્‍હમજી લે ને સુધાર.

હાઈકોર્ટની હવેલી જેવડો ધારાશાસ્ત્રનો ઢગ થયો છે. સ્વામી સ્વર્ગવાટે સિધાવ્યે જે સતીને જીવવું નથી-જેને સ્વામીનો સંગાથ સાધવો છે, ત્‍હેને જીવાડણહારા એ ગંજ નિષેધ છે કોણ ?

શાણા સંસારશાસ્ત્રી ! પારખી લે સંસારસત્યો. ફરજિયાત વૈધવ્ય વિલાસકામિનીઓને સંસારનો જુલ્મ જ છે. ફરજિયાત સતી થવું જિજિવિષાભાવિનીઓને સંસારનો જુલ્મ જ છે; સંસારવિરક્ત સ્વામીતલ્લીન સતીઓને સ્વામી પાછળ ફરજીયાત જીવાડવી એ શું એથી યે ગંભીર સંસારનો જુલ્મ નથી ?

છએક માસ એના આયુષ્યની અખંડ ચિતા જલતી જ રહી, ને ત્‍હેમાં જલીને તે ખાખ થઈ ગઈ.

એ સતી આપણા યુગમાં થઈ. ગુર્જર સન્નારીઓ ! એ ત્‍હમારી સહિયર હતી.

એનો જન્મ ઈ. સ. ૧૯૦૭ માં થયો.

એનું સંસારલગ્ન ઈ. સ. ૧૯૨૨ માં થયું

એનું સંસારવૈધવ્ય ઈ. સ. ૧૯૨૪ માં થયું.

એનું ચિતાલગ્ન ઈ. સ. ૧૯૨૫ માં ૧૮ ની વયે થયું.

એનાં સંસારલગ્નમાં હાજર રહેવાનું સૌભાગ્ય મ્હારૂં હતું. એનાં ચિતાલગ્ન વેળા ગેરહાજર રહેવાનું દુર્ભાગ્ય મ્હારૂં હતું.

પચાશેક વર્ષ પૂર્વે ઠરેલ બુદ્ધિના આપણા એક સાક્ષરશ્રી એમના સર્વોત્તમ નાટકના મુગટમણિમાં, જાણે ભવિષ્યવાણરૂપે, એનું નામ કોતરી ગયા છે; ને ગુર્જરકુંજવિખ્યાત અમરત્વ એને અર્પી ગયા છે.

ગુર્જરકુંજની આર્યજનતા ! આ ન્હાનકડી શી કરુણ કાદંબરી વાંચી અશ્રુમોતી ખરે તો સતીને વધાવીને ખરવા દેજે, પણ શોચીશ મા.

ગુજરાત ! આ ઈતિહાસે ગુણગર્વીલો થજે. પુણ્ય ને પવિત્રતાનાં સનાતન વ્હેણ વીસમી સદ્દીના સ્‍હવાર સુધી તો ત્‍હારે હૈયેથી સૂકાણાં નથી:

એની જીવનકથા ઉચ્ચરે છે કે, પ્રેયસની ને શ્રેયસ્‍ની પેઠે, વિલાસ ને કલ્યાણ નિરનિરાળાં છે.