પાર્થને કહો
ન્હાનાલાલ




પાર્થને કહો…

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ: પાર્થને કહો ચડાવે બાણ.
 
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી, કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ:
સજીવન થાય પડ્યાયે પ્હાણ; પાર્થને કહો ચડાવે બાણ.
 
દ્રૌપદીની હજી વેણ છૂટી છે, રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ:
પાર્થની પ્રત્યંચાને વાણ: પાર્થને કહો ચડાવે બાણ.
 
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ !
યુગપલટાના પદ પડછન્દે ગજવો ઘોર ત્રિકાળ:
સજો શિર વીર ! હવે શિરત્રાણ: પાર્થને કહો ચડાવે બાણ.
 
નૃલોક જોશે, કાળ નીરખશે રણરમતો મુજ વંશ;
સત શીલ ને ધર્મયજ્ઞમાં હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો ! નભ નવયુગનો ભાણ: પાર્થને કહો ચડાવે બાણ;
 
વિધિનાં એ જ મહાનિર્માણ: પાર્થને કહો ચડાવે બાણ.