નાગપ્રજાએ ગ્રહણ કર્યાં, અને અનેક નાગમાન્યતાઓ આર્યપ્રજાએ
સ્વીકારી અનેક આર્યોએ નાગકન્યાઓનાં હરણ કર્યું, અને અનેક
નાગપુરુષોએ આઓને ઊંચકી લાવી નાગપત્નીઓ બનાવી આર્યમુખ
અને નાગમુખ, આર્યસંસ્કૃતિ અને નાગસંસ્કૃતિ મિશ્ર બની ગયું;
ઓળખાય નહિ એવાં એકરૂપ બની ગયાં. છતાં આર્ય અને નાગ નામમાં
રહેલો ભેદ હજી બંને પ્રજાઓના વિરોધને સળગતો રાખતો હતો. આર્યોએ
નદીકિનારે, સમુદ્રકિનારે, સપાટ જમીન ઉપર સંઘો સ્થાપ્યા, અને
પ્રજાસત્તા, રાજસત્તા, સૈન્યસત્તાના બળ ઉપર આધાર રાખતી વિવિધ
રાજ્યપ્રણાલિકાઓ ઉપજાવી નાગપ્રજા ઉપર પોતાનું વર્ચસ્ સ્થાપ્યું. પરંતુ
એ વર્ચસ્નો સર્વદા અસ્વીકાર કરતા નાગલોકો વન, મહાવન, પર્વતશ્રેણી
અને ભૂગર્ભનો આશ્રય લઈ આર્યતાને વારંવાર અવરોધતા, અને તેના
ગૌરવનો ભંગ કરતા. કેટલીક વાર સગપણ અને સમાન સંસ્કાર આર્યપ્રજા
અને નાગપ્રજાને એક બનાવવા મથતાં, અને એમાં કેટલાંય આર્ય થાણાં
નાગ બની ગયાં અને નાગસંસ્થાનો આર્ય બની ગયાં. રૈવા, તપતી તથા
ગોદાવરીના કિનારા શણગારતી પર્વતમાળાના નાગસંઘમાં આર્ય સંસ્કાર
અને આર્ય ભાવના એટલી બધી વિકસી હતી કે તેમનો મોટો ભાગ આર્ય
કહેવરાવવા, આર્ય બનવા તત્પર હતો. પરંતુ આર્ય બનવાની ભાવનાથી
આર્ય શિક્ષણ લેવા મથતા કૈંક નાગયુવકોને છૂપાં પરંતુ જીવનભર સાલે
એવાં અપમાન સહન કરવાં પડતાં. આર્યતાપ્રાપ્તિની ભારે હોંશમાં
વિદ્યાપીઠ સેવતા ઉત્તુંગને પોતાનું નાગમુખ આર્યોથી વિખૂટો પાડતું હતું.
નાગવિશિષ્ટતા ઉત્તુંગના મુખ ઉપર અંકાઈ રહેલી હતી, અને તેટલા જ
કારણે ઉત્તુંગ આર્ય વિદ્યાર્થીઓના તિરસ્કાર અને હાસ્યનું પાત્ર બનતો.
–
શિક્ષણ મેળવતા ઉત્તુંગે ભયંકર આર્ય તિરસ્કાર કેળવ્યો. આર્યતા
તરફ ઢળતા નાગસંઘમાં નાગસંસ્કૃતિની શ્રેષ્ઠતાનું અભિમાન કેળવવા
તેણે મથન કર્યું. ઉત્તમ સૈનિક - ઉત્તમ સેનાપતિ - તરીકે આર્યોને તેણે બહુ
જ સતાવ્યા, અને સૈનિકોમાં આર્યતાનો વિરોધ સળગાવવા કૈંક અંશે સફળ
પ્રયત્ન કર્યા. સુબાહુ-સુકેતુની સાથે તેને ગુરુકુળનો સંબંધ હતો. સુબાહુ
અને સુકેતુની માતુલ પેઢી નાગપ્રજા તરફ લંબાતી હતી એ જ્ઞાત સ્થિતિને
લીધે તેમની સાથે ઉત્તુંગને મૈત્રી પણ ભારે હતી. પરંતુ સુબાહુ અને સુકેતુનાં
આર્ય વલણો ઉત્તુંગને ભયભરેલાં લાગ્યાં. સુકેતુ અને ઉત્તુંગ વચ્ચે એક
કારણે યુદ્ધ પણ જામ્યું અને આર્યોની જૂની રીત પ્રમાણે સુકેતુએ
નાગજનતાનાં વનમાં અગ્નિ સળગાવ્યો. સુબાહુની માન્યતા પ્રમાણે
નાગજાતિની મૈત્રી અનિવાર્ય હતી, તે વચ્ચે પડ્યો. આર્ય અને નાગજાતિનાં